લઘુમતીઓ પર હિંસા અને પાકિસ્તાન સાથે વધતી નિકટતા વચ્ચે ભારતનો કડક સંદેશ: ભૂટાન માટે ફંડમાં વધારો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
- Advertisement -
ભારત સરકારે કેન્દ્રીય બજેટ 2026-27માં બાંગ્લાદેશને અપાતી મદદમાં મોટો ઘટાડો કર્યો છે. આ વર્ષે બાંગ્લાદેશ માટે માત્ર 60 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે, જ્યારે ગયા વર્ષે 120 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. એટલે કે ભારતે બાંગ્લાદેશની મદદ અડધી કરી દીધી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. તેનું કારણ બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિંદુ સમુદાય વિરુદ્ધ થઈ રહેલી હિંસા અને ત્યાંની વિદેશ નીતિમાં બદલાવ આવી રહ્યો છે. 2024માં શેખ હસીનાની સરકાર પડ્યા પછી બાંગ્લાદેશે પાકિસ્તાન સાથેના પોતાના સંબંધો મજબૂત કરવાનું શરૂ કર્યું છે. બાંગ્લાદેશ ઉપરાંત માલદીવને 550 કરોડ રૂપિયા મળશે, પરંતુ તે ગયા વર્ષ કરતાં ઓછું છે. મ્યાનમાર માટે 300 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે, જે પહેલાં કરતાં ઓછા છે. આ બજેટમાં ભારતે ભૂટાન માટે 2,288.55 કરોડ રૂપિયા રાખ્યા છે, જે ગયા વર્ષ કરતાં લગભગ 138 કરોડ રૂપિયા વધુ છે. વિદેશ મંત્રાલયે 29 જાન્યુઆરીએ રાજ્યસભાને જણાવ્યું કે ભારત સરકાર બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાઓના અહેવાલો પર સતત નજર રાખી રહી છે. આ હુમલાઓમાં તેમના ઘરો, દુકાનો, સંપત્તિઓ અને પૂજા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું કે ભારતે અનેકવાર રાજકીય અને રાજદ્વારી સ્તરે બાંગ્લાદેશ સરકાર સમક્ષ લઘુમતીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે ઙખ મોદીએ 4 એપ્રિલ 2025ના રોજ બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત દરમિયાન આ મામલો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટીકા કરતા કહ્યું કે ત્યાં અવારનવાર લઘુમતીઓ પરના હુમલાઓને અંગત અદાવત અથવા રાજકીય મતભેદ ગણાવીને ટાળી દેવામાં આવે છે. મંત્રાલય અનુસાર, તેનાથી ગુના કરનારાઓનો ઉત્સાહ વધે છે અને લઘુમતીઓમાં ડર અને અસુરક્ષા વધે છે. આ દરમિયાન બાંગ્લાદેશની વર્તમાન સરકાર પાકિસ્તાન સાથે સંબંધો મજબૂત કરવામાં વ્યસ્ત છે. આ એક મોટો બદલાવ માનવામાં આવી રહ્યો છે, કારણ કે 1971માં બાંગ્લાદેશના અલગ થવા દરમિયાન ગંભીર અત્યાચારો થયા હતા. બંને દેશો વચ્ચે સીધા કાર્ગો જહાજો ચાલી રહ્યા છે અને ટૂંક સમયમાં સીધી ફ્લાઇટ્સ પણ શરૂ થવાની છે. પાકિસ્તાની એરલાઇન્સ ફ્લાય જિન્નાહ અને એર સિયાલને આ ફ્લાઇટ્સ માટે મંજૂરી મળી ચૂકી છે. તાજેતરમાં ઢાકાથી એક વિમાન કરાચી પહોંચ્યું, જેનાથી 14 વર્ષ પછી બંને દેશો વચ્ચે સીધી હવાઈ સેવા ફરી શરૂૂ થઈ. આ ઘટનાઓ વચ્ચે 2024થી ભારત અને બાંગ્લાદેશના સંબંધો સતત બગડતા ગયા છે. ભારત સરકારે યુનિયન બજેટ 2026-27માં ઈરાનના ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ માટે આ વખતે કોઈ પૈસા રાખ્યા નથી, ન્યૂઝ એજન્સી ઙઝઈંએ આ માહિતી આપી છે. જ્યારે દર વર્ષે ભારત આ પ્રોજેક્ટ માટે લગભગ 100 કરોડ રૂપિયા આપતું રહ્યું છે. ચાબહાર પોર્ટ ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન વિસ્તારમાં છે અને તેના વિકાસમાં ભારતની મહત્વની ભૂમિકા રહી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે અમેરિકાએ ઈરાન પર નવા અને કડક પ્રતિબંધો લગાવ્યા છે. 13 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી કે જે પણ દેશ ઈરાન સાથે વેપાર કરશે, તેના પર 25% સુધીનો વધારાનો ટેક્સ લગાવી શકાય છે. ત્યારથી ભારત ચાબહાર પોર્ટ પ્રોજેક્ટને લઈને અન્ય વિકલ્પો પર પણ વિચાર કરી રહ્યું છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાએ ઈરાન પર કડક આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. જોકે, ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ માટે ભારતને છ મહિનાની ખાસ છૂટ આપવામાં આવી હતી, પરંતુ આ છૂટ 26 એપ્રિલે પૂરી થવાની છે.



