પ્રારંભિક તારણોએ એરલાઇનના ઓપરેશનલ વિક્ષેપોમાં ફાળો આપનાર ક્ષતિઓ દર્શાવ્યા બાદ DGCA એ ઇન્ડિગોની દેખરેખ રાખતા ચાર ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કર્યા છે.
ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન(DGCA)એ ઇન્ડિગો એરલાઇન પર યોગ્ય દેખરેખ ન રાખવા બદલ ચાર ફ્લાઇટ ઑપરેશન્સ ઇન્સ્પેક્ટર્સ(FOIs)ને બરતરફ કર્યા છે. આ FOIs ઇન્ડિગો માટે મુખ્ય કામગીરી નિરીક્ષક(PIO) તરીકે નિયુક્ત હતા અને એરલાઇન પાસે નિયત સંસાધનો, ખાસ કરીને ક્રૂની સંખ્યા છે કે નહીં તેની નજીકથી દેખરેખ રાખવા માટે જવાબદાર હતા.
- Advertisement -
બેદરકારીને કારણે DGCAનું સખત પગલું
આ તમામ ઇન્સ્પેક્ટરો ઇન્ડિગોની ફ્લાઇટ્સની સુરક્ષા અને સંચાલન સંબંધિત તપાસ સાથે સંકળાયેલા હતા. તેમની મુખ્ય જવાબદારી એરલાઇન્સ, ખાસ કરીને ઇન્ડિગોની સુરક્ષા અને ઑપરેશનલ ઓવરસાઇટ(સંચાલન દેખરેખ) કરવાની હતી અને તેઓ DGCAમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા.
તપાસ અને દેખરેખમાં દાખવેલી બેદરકારીને કારણે જ DGCAને આટલું સખત પગલું ભરવું પડ્યું હોવાનું માનવામાં આવે છે, જેના પરિણામે આ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.
- Advertisement -
નવા નિયમો છતાં પાયલટની ભરતી ન થતાં સંકટ
આ કાર્યવાહીનું મુખ્ય કારણ ઇન્ડિગોમાં પાયલટ્સની અછત છે. સૂત્રોના જણાવ્યા મુજબ, એરલાઇનને 1 જુલાઈ, 2025 અને ત્યારબાદ 1 નવેમ્બરથી લાગુ થનારા નવા ‘ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન'(FDTL) અથવા ક્રૂ રોસ્ટરિંગ નિયમો વિશે સંપૂર્ણ જાણ હતી, જેના કારણે પાયલટની જરૂરિયાત વધવાની હતી, તેમ છતાં એરલાઇને પૂરતી ભરતી કરી નહોતી.
આ અછતને કારણે એરલાઇન નવા FDTL મુજબ કામગીરી કરી શકતી નહોતી અને વ્યાપકપણે કેન્સલેશન ટાળવા માટે DGCAએ એરબસ A320 એરક્રાફ્ટ માટે આ નિયમોનો અમલ 10 ફેબ્રુઆરી, 2026 સુધી મુલતવી રાખવો પડ્યો હતો.
પાયલટની અછત: ઇન્ડિગોની જાણી જોઈને કરેલી ભૂલ
સૂત્રોએ જણાવ્યું કે, ‘ઇન્ડિગો નવા FDTL વિશે DGCA સાથે ચર્ચામાં હતી અને પાયલટની વધેલી જરૂરિયાતથી વાકેફ હતી, છતાં તેમણે પાયલટની ભરતી ન કરી જેથી આ પરિણામ આવ્યું.’
આ સમગ્ર વિવાદ છતાં, ઇન્ડિગોએ હજુ પણ પાયલટની અછત હોવાનો ઇનકાર કર્યો છે. જોકે, DGCA એરલાઇનને પાયલટની ભરતી ઝડપી બનાવવા માટે નિર્દેશ આપ્યો છે.
ઇન્ડિગોમાં પાયલટ્સ-મેનેજમેન્ટ વચ્ચે અવિશ્વાસ અને તણાવ
ઇન્ડિગોના પાયલટ્સ અને મેનેજમેન્ટ વચ્ચે સંપૂર્ણ અસહમતિ અને અવિશ્વાસનું વાતાવરણ છે. પાયલટ્સ ઑપરેશન્સ કંટ્રોલ સેન્ટર(OCC)ને નાપસંદ કરે છે અને નાઇટ લેન્ડિંગનું વધારાનું પેમેન્ટ અટકાવતા તેમણે રાત્રિના લેન્ડિંગનો ઇનકાર કરવાનું શરૂ કરી દીધું હતું. નવા કરારમાં ફ્લાઇંગના કલાકો મર્યાદિત થવાથી પણ તણાવ વધ્યો છે.
પાયલટ્સમાં અસંતોષ માત્ર FDTLના અમલને મોકૂફ રાખવાથી જ નહીં, પરંતુ પગાર, મેડિકલ રજાની નીતિ અને બીમાર પડવા પરના નિયમો બદલવાથી પણ ઊભો થયો છે. ભારતીય કેરિયર્સ દ્વારા પાયલટ્સને વિદેશી(ખાસ કરીને ગલ્ફ) એરલાઇન્સમાં કામ કરવા જતાં રોકવાની માંગણીથી સ્થિતિ વધુ બગડી છે.




