મહાકુંભમાં આવતીકાલે અંતિમ અમૃત સ્નાન પુર્વે માનવમહેરામણ: વારાણસી પણ ચિકકાર : ઉતરપ્રદેશના તમામ ધાર્મિક જીલ્લામાં એલર્ટના આદેશ
પ્રયાગરાજના મહાકુંભનો આવતીકાલે મહાશિવરાત્રીનો દિવસ છેલ્લો હતો અને 13મી જાન્યુઆરીથી ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાનુ સમાપન થશે તે પુર્વે મોટીમાત્રામાં ભાવિકો ઉમટવા લાગતા તંત્ર એલર્ટ બન્યુ છે.
- Advertisement -
મહાશિવરાત્રી પુર્વે મહાકુંભ ઉપરાંત વારાણસી તથા અયોધ્યામાં પણ ભાવિકોનો મહાસાગર છલકાયો છે જેને પગલે વ્યવસ્થા સંભાળવા વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભીડ નિયંત્રીત રહે તે માટે સુરક્ષા સહિતની ગોઠવણો કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા અયોધ્યા, વારાણસી, મિર્જાપુર સહિત તમામ ધાર્મિક જીલ્લામાં તંત્રને એલર્ટ રહેવાના આદેશ કરાયા છે. મહાકુંભમાં અત્યાર સુધીમાં એટલે કે સોમવાર સુધીમાં સ્નાન કરનારા શ્રદ્ધાળુઓનો આંકડો 63 કરોડે પહોંચી ગયો હતો. સ્નાન કરનારાઓમાં ફિલ્મી સ્ટાર્સ પણ સામેલ થઈ ચૂકયા છે.
સોમવારે અક્ષયકુમાર, કેટરીના કેફ, પ્રીતિ ઝીંટાએ પણ સંગમમાં ડૂબકી લગાવી હતી. જયારે અનેક રાજનીતિક હસ્તીઓ પણ મહાકુંભમાં પહોંચી હતી. આવતીકાલે મહાશિવરાત્રીનું પર્વ છે. મહાકુંભમાં સ્નાન બાદ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં કાશી તરફ જઈ રહ્યા છે. આ સ્થિતિમાં ત્યાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા વધારવામાં આવી છે. સાથે સાથે કાશી વિશ્વનાથ મંદિરમાં મહા શિવરાત્રીના અવસરે શ્રદ્ધાળુઓની ભીડ જોતા 25થી27 ફેબ્રુઆરી સુધી વીઆઈપી દર્શન પર રોક લગાવી દેવામાં આવી છે.
વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય કાર્યપાલક અધિકારી વિશ્વ ભૂષણ મિશ્રાએ જણાવ્યું હતું કે મહા શિવરાત્રીએ મોટી સંખ્યામાં વિભિન્ન અખાડાના સાધુ, સંતો અને નાગા સાધુ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજન કરશે. આ અવસરે નાગા અખાડા તરફથી શોભાયાત્રા કાઢીને દર્શન પૂજન કરવામાં આવશે. જેથી મંદિરના ગેટ નં.4 થી સામાન્ય લોકોનો પ્રવેશ બંધ થશે. બધા જિલ્લા માટે એલર્ટ જાહેર: મહાકુંભ અને મહાશિવરાત્રીને લઈને ડીજીપીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ લોકો બધા રાજયમાંથી આવી રહ્યા છે, જે પ્રયાગરાજની સાથે સાથે અન્ય ધાર્મિક જિલ્લા જેમકે અયોધ્યા, વારાણસી, મિર્ઝાપુરમાં પણ દર્શન માટે જઈ રહ્યા છે, એટલે બધા જિલ્લામાં ખાસ સતર્કતા રાખવામાં આવે.
- Advertisement -
મહાકુંભમાં ઝોનલ સ્કીમ લાગુ: શ્રદ્ધાળુઓને માર્ગમાં આવતા ઘાટ પર જ સ્નાનની છુટ્ટ અપાશે
આવતીકાલે મહાશિવરાત્રીએ મહાકુંભમાં અંતિમ સ્નાન માટે ફરી એક વખત માનવ સમંદર સર્જાવાની ગણતરીથી સરકાર-વહીવટીતંત્ર વધુ સતર્ક બન્યુ છે. અંતિમ મુખ્ય સ્નાન માટે માર્ગદર્શિકા જારી કરી છે જે અંતર્ગત જે માર્ગોથી શ્રદ્ધાળુઓ આવે તેની નજીકના જ ઘાટ પર તેઓને સ્નાન કરવા- ડુબકી લગાવવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ માટે ઝોનલ સ્કીમ લાગુ કરવામાં આવી છે અને આજથી જ તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર મહાકુંભ ક્ષેત્ર નો-વ્હીકલ ઝોન તરીકે યથાવત રહેશે. અંતિમ સ્નાનમાં એક કરોડ ભાવિકો ઉમટે તેવો અંદાજ મુકવામાં આવ્યો છે.
‘ગીધોને લાશો, ડુક્કરને ગંદકી… મહાકુંભમાં જેણે જે શોધ્યું તેને તે મળ્યું’: મુખ્યમંત્રી યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે મહાકુંભ વિરુદ્ધ બોલનારા વિરુદ્ધ કહ્યું કે, ‘મહાકુંભમાં જેણે જે શોધ્યું, તેને તે મળ્યું. ગીધોને લાશો, ડુક્કરને ગંદકી મળી… જ્યારે સંવેદનશીલ લોકોને સંબંધોની સુંદર તસવીર મળી, સજ્જનોને સજ્જતા મળી, વેપારીઓને રોજગાર મળ્યો, શ્રદ્ધાળુઓને સ્વચ્છ વ્યવસ્થા મળી, જેની જેવી નિયત હતી, દ્રષ્ટિ હતી, તેને તેવું મળ્યું.’
મુખ્યમંત્રી યોગીએ વિપક્ષો પર આક્રમક અંદાજમાં પ્રહાર કરતા કહ્યું કે, ‘તમે મહાકુંભ અંગે જે નિવેદનો કર્યા, એક વિશેષ જાતિના વ્યક્તિને મહાકુંભમાં જતો અટકાવ્યો, પરંતુ અમે કહ્યું હતું કે, જે લોકો સદભાવના સાથે આવે છે, તેઓ મહાકુંભમાં જઈ શકે છે, પરંતુ જો કોઈ દુર્ભાવનાથી આવશે, તો તે મુશ્ર્કેલીમાં પડી જશે. અમે કોઈની પણ ધાર્મિક ભાવના સાથે રમત રમી નથી, સમાજવાદી પાર્ટીની જેમ, તેમના મુખ્યમંત્રી પાસે કુંભની દેખરેખ અને વ્યવસ્થા જોવાનો સમય ન હતો અને તેથી જ તેઓએ બિન સનાતનને કુંભમાં પ્રભારી બનાવ્યો.’
યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, ‘વિપક્ષના નેતાને વાંધો હતો કે, ભાજપે લોક કલ્યાણ સંકલ્પ પત્ર અને રાજ્યપાલના અભિભાષણમાં મહાકુંભનું વૈશ્ર્વિસ્તરે આયોજન કરવા માટેનો કેમ ઉલ્લેખ કર્યો? જો મહાકુંભમાં વિશ્ર્વસ્તરની સુવિધા ન હોત તો, અત્યાર સુધીમાં 63 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ન આવ્યા હોત. હું દેશના દરેક મહાપુરુષોનું સન્માન કરું છું, જેમણે ભારતમાં જન્મ લીધો છે.’
આજે સાંજથી પ્રયાગરાજમાં વાહનોનેનો એન્ટ્રી
મહાકુંભ: મહાશિવરાત્રી માટે નવો પ્લાન અને અપીલ
25 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યાથી મેળા વિસ્તારને નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ કમિશનરેટ એટલે કે શહેરને સાંજે 6 વાગ્યાથી નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે, સાંજથી કોઈ વાહન શહેરમાં પ્રવેશી શકશે નહીં.
બધા ભક્તોએ તેમના પ્રવેશદ્વારની નજીકના ઘાટ પર સ્નાન કરવું જોઈએ. દક્ષિણ ઝુસીથી આવતા ભક્તોએ સંગમ દ્વાર ઐરાવત ઘાટ પર સ્નાન કરવું જોઈએ. ઉત્તર ઝુસીથી આવતા ભક્તોએ સંગમ હરિશ્ર્ચંદ્ર ઘાટ અને સંગમ ઓલ્ડ જીટી ઘાટ પર સ્નાન કરવું જોઈએ.
પરેડમાંથી આવતા ભક્તોએ સંગમ દ્વાર ભારદ્વાજ ઘાટ, સંગમ દ્વાર નાગવાસુકી ઘાટ, સંગમ દ્વાર મોરી ઘાટ, સંગમ દ્વાર કાલી ઘાટ, સંગમ દ્વાર રામ ઘાટ અને સંગમ દ્વાર હનુમાન ઘાટ પર સ્નાન કરવું જોઈએ.
અરૈલ વિસ્તારમાંથી આવતા ભક્તોએ સંગમ દ્વાર અરૈલ ઘાટ પર સ્નાન કરવું જોઈએ.
દૂધ, શાકભાજી, દવાઓ, પેટ્રોલ/ડીઝલ, એમ્બ્યુલન્સ વાહનો અને સરકારી કર્મચારીઓ (ડોક્ટરો, પોલીસ અને વહીવટીતંત્ર વગેરે) જેવી કોઈપણ આવશ્ર્યક ચીજવસ્તુઓની અવરજવર ક્યાંય પણ બંધ કરવામાં આવશે નહીં.
26 ફેબ્રુઆરીએ મહાકુંભ પર્વની સાથે મહાશિવરાત્રીનો ઉત્સવ પણ છે. ભક્તોને નજીકના ઘાટ પર સ્નાન કરવા, શિવ મંદિરમાં દર્શન કરવા અને પછી શક્ય તેટલી વહેલી તકે પોતાના ઘરે પાછા ફરવા વિનંતી છે.
ભીડ અને ટ્રાફિકને લઇને બધા પોન્ટૂન પુલ ભક્તોની ભીડના દબાણ મુજબ સંચાલન કરવામાં આવશે. બધા ઘાટોને સંગમ તરીકે સમાન માન્યતા છે.