ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે 20 સપ્ટેમ્બરને શુક્રવારે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. ત્યારે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ આવી પહોંચતાં જ તેમનું ઢોલ-નગારાંના તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં આવ્યા હતા. ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. આ સંમેલનમાં “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ની જાહેરાત થઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલનું વિજયમુહૂર્ત 12.39 વાગ્યે તિલક કરી તાજપોશી કરવામાં આવી હતી. સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચના પ્રમુખ તરીકે મહારાજા વિજયરાજસિંહ ગોહિલની જાહેરાત કરવામાં આવી હતી.
- Advertisement -
ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે મોટી જવાબદારી આપી છે. મારી સરખામણી કૃષ્ણકુમારસિંહજી સાથે કરવી યોગ્ય નથી. આ મંચ પોલિટિકલ કે વાદવિવાદ માટે નથી. સમસ્ત ગુજરાતના ક્ષત્રિય એક થાય તેના માટે આ મંચ છે. સમાજના દીકરા દીકરીઓને સારું શિક્ષણ. વેપાર અને વ્યવસાયમાં આગળ વધે તેવા પ્રયત્નો કરવાના છે. આગળ જતા બીજા કૃષ્ણકુમારસિંહજી અને બીજા ભગવતસિંહજી પણ પેદા થઈ શકે. સૌને અભિનંદન આપું છું.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાવનગરના મહારાજા વિજયરાજસિંહને પ્રમુખ બનવા બદલ તેઓનો આભાર માનું છું. કાર્યકારી પ્રમુખ તરીકે દાંતાના રિદ્ધિરાજસિંહને પણ અભિનંદન આપું છું. કાઠી રાજપુત, કારડિયા રાજપૂત સમાજ અને ઠાકોર સમાજના આગેવાનો ઉપપ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે. તમામને અભિનંદન આપું છું.
આજે ક્ષત્રિય સમાજના સંમેલનમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન મળે તેના માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. જો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન નહિ મળે તો ક્ષત્રિય સમાજે આગળ નક્કી કરવાનું છે.
દાંતા સ્ટેટના રાજવી અને ઉપપ્રમુખ રિદ્ધિરાજસિંહે જણાવ્યું હતું કે, મહારાજા વિજયરાજસિંહને અભિનંદન આપું છું. જ્યારે આ જવાબદારી સ્વીકારવાની હતી ત્યારે એક જ શરત હતી કે, કોઈપણ રાજકીય વાત નહીં થાય. આજે સમાજ તરફથી સન્માન મળ્યું છે જે મા અંબા અને ખોડિયારની કૃપાથી મળ્યું છે. કૃષ્ણકુમારસિંહજીના પરિવારને આ સ્થાન મળ્યું છે. સરદાર પટેલની પ્રતિમા બની છે. ક્ષત્રિય સમાજે જાણવું જરૂરી છે કે, કેમ સરદાર પટેલની પ્રતિમા બની છે. કારણ કે, કૃષ્ણકુમારસિંહજી સરદાર પટેલની સાથે હતા માટે પ્રતિમા બની છે. જો તેઓ સાથે ન હોત તો ભાગલા પડી ગયાં હોત. કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે તેના માટે અમે લડીશું. સમસ્ત ક્ષત્રિય સમાજે રાજ આપ્યું છે. માત્ર રાજવીઓએ જ રાજ આપી દીધું એવું નથી. આજે સમાજે સાથે ચાલવું જરૂરી છે. ઇતિહાસમાંથી પાટણની રાણી નાયકાદેવીને ભૂલાવી દેવામાં આવ્યા છે. સૌથી પહેલી લડનારી રાણી છે. નાયકાદેવીની પ્રશંસા કરવી જોઈએ તમામ ક્ષત્રિયોને આહવાન છે કે, તમે દાંતા માતાજીના દર્શન કરવા આવજો.
- Advertisement -
સ્ટેજ પર સ્થાન ન મળતાં પદ્મિનીબા વાળાએ હોબાળો કર્યો
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબા વાળાએ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા હોબાળો કર્યો હતો. પદ્મિનીબાએ કહ્યું, કેમ અમારું સન્માન જાળવવામાં આવતું નથી. સ્ટેજ ઉપર જ્યારે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ફોટો સેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક જ પદ્મિનીબા વાળા દ્વારા હોબાળો કરી આંદોલન વખતે પણ અન્યાય કરવામાં આવ્યો હોવાની વાત કહી અને વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. પુરુષોતમ રૂપાલાના બફાટ બાદ રાજપૂત સંમેલન દરમિયાન પણ પદ્મિનીબા વાળા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિયોના સંમેલનમાં પદ્મિનીબા વાળા દ્વારા બીજી વખત વિરોધ કરવામાં આવ્યો છે.
કૃષ્ણકુમારસિંહને ભારત રત્ન આપવામાં આવે: મહંત આનંદનાથજી સ્વામી
મહંત આનંદનાથજી સ્વામીએ જણાવ્યું હતું કે, આપણા છેલ્લા રાજા કહી શકાય એવા કૃષ્ણકુમારસિંહજીના પૌત્ર વિજયરાજસિંહનું તિલક કરવાનું છે. 70-70 વર્ષથી આ સંસ્થાએ રાજપુત સમાજને એક કરવાનાનું સપનું આજે પૂરુ થશે. હું મરી જઉં અને તમને જીવાડું એટલે આ ક્ષાત્ર ધર્મ છે. આપવાની વાત આવી ત્યારે ક્ષત્રિયોના દીકરા આગળ આવ્યા. સૌથી પહેલા કૃષ્ણકુમારસિંહજીએ એક રાષ્ટ્રને બનાવવા માટે 1800 પાદર એક ઝાટકે આપી દીધા હતા. કૃષ્ણકુમારસિંહને ભારત રત્ન આપવામાં આવે.