જિલ્લા કલેક્ટરે જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ સંદર્ભે બેઠક યોજી
આસામ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા જેવા ઉત્તર-પૂર્વના 7 રાજ્યોના 200 કલાકારો કલાના કામણ પાથરશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.3
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તા. 6થી 10 એપ્રિલ દરમિયાન પોરબંદરના માધવપુર ખાતે ભગવાન કૃષ્ણ અને રૂક્મિણી વિવાહના ઉપલક્ષ્યમાં પરાપૂર્વથી યોજાતા પરંપરાગત મેળાના સંદર્ભમાં આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની ચાર જ્યાઓએ પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કર્યાં છે. અમદાવાદ વડોદરા, સુરત અને ત્યારબાદ તા. 05 એપ્રિલના રોજ સોમનાથ મંદિર પરિસરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આ કાર્યક્રમ સુનિયોજીત રીતે આયોજીત થાય તે માટે જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કલેક્ટરએ ઈવેન્ટના ગ્રાઉન્ડની તૈયારીઓથી માંડીને લાઈટ, વીજળી, સ્વાગત-સત્કાર, કલાકારોની રોકાવાની વ્યવસ્થા તેમજ ભોજનની વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓની તલસ્પર્શી સમીક્ષા કરી અને તમામ વ્યવસ્થાઓ યોગ્ય રીતે ગોઠવાઈ તે માટે ઉપસ્થિત સર્વેને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સોમનાથ ખાતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં આસામ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા જેવા ઉત્તર-પૂર્વના સાત રાજ્યોના 200 કલાકારો અને રાજ્યના વિવિધ વિસ્તારોના 200 કલાકારો મળી 400 કલાકારો તેમની કલાના કામણ પાથરશે. સોમનાથ ખાતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોરબંદરનો મણિયારો રાસ, તલવાર રાસ, ડાંગી નૃત્ય સહિતની પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. સાંજે 7 થી 8 દરમિયાન આ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં પધારવા માટે કલેક્ટરએ જિલ્લાના નાગરિકોને સહર્ષ હાર્દિક અનુરોધ કર્યો છે.