રાજકોટમાં 37 લાખમાંથી માત્ર 5 લાખ રેશનકાર્ડ ધારકોએ પ્રક્રિયા પૂર્ણ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જે રેશનકાર્ડ ધારકોએ ઇ- કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તે રેશનકાર્ડ ધારકોને બે વસ્તુ મળતી બંધ થઈ જશે.
- Advertisement -
નિયમ અનુસાર જો રેશનકાર્ડ ધારકો ઇ-કેવાયસી 31 ડિસેમ્બર પહેલા પૂર્ણ નહીં કરે તો તેમને ચોખા અને ખાંડ મળવાનું બંધ થઈ જશે. અત્યારે રાજકોટના 37 લાખ રેશનકાર્ડ મેમ્બરમાંથી માત્ર પાંચ લાખ જેટલા જ લોકો દ્વારા ઇ- કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
રાશનકાર્ડનું ધારકો ઇ-કેવાયસી કરાવવા માટે રાજકોટની જૂની કલેકટર કચેરી અને અન્ય વિવિધ પુરવઠા કચેરી ખાતે લોકોની વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઓનલાઇન સર્વર પણ ડાઉન હોવાના કારણે ઘરે બેઠા પણ લોકો ઇ-કેવાયસી નથી કરી શકતા, જેમના કારણે કેટલાય લોકોને કચેરી ખાતે ધક્કા ખાવા પડી રહ્યા છે. પરંતુ કચેરી ખાતે પણ સર્વર ડાઉન હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ લોકો પોતાના ધંધા-રોજગાર બંધ રાખી કચેરી ખાતે ધક્કા ખાવા પડી રહ્યા છે. લોકોમાં પણ માંગ ઉઠી છે કે, ઇ-કેવાયસી માટે વધારાના ટેબલો ફાળવવામાં આવે, જેમના કારણે ટ્રાફિક પણ ઓછી થાય અને લોકોને પણ સરળતા પડે.
પુરવઠા વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેર અને જિલ્લામાં 10 લાખ રેશનકાર્ડ ધારકો છે, જેમના સભ્ય 37 લાખથી પણ વધુ થાય છે. જેમાં હાલ 5 લાખ જેટલા લોકોના ઇ-કેવાયસીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલ રાજ્ય સરકારમાંથી સૌથી પહેલા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટેની ઇ- કેવાયસીની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં ઇ-કેવાયસી માટે લોકો જાગૃત બને તેના માટે પુરવઠા વિભાગ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અને અન્ય માધ્યમથી જાગૃતિ આપવામાં આવશે.