સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ગાંધીનગર ખાતેથી ડ્રો દ્વારા પસંદગી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતેથી અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ થ્રી વ્હીલર યોજનાના 665 લાભાર્થીઓની કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા પસંદગી કરી હતી. આ યોજનાઓનો હેતુ અનુસૂચિત જાતિના નાગરિકોને નાના વ્યવસાયો દ્વારા સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બનાવવાનો છે.
- Advertisement -
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સશક્તિકરણ અને સમાન તકના વિઝન હેઠળ આ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પસંદગી પામેલા આ લાભાર્થીઓને નજીવા દરે રૂ. 7.32 કરોડથી વધુ રકમનું ધિરાણ આપવામાં આવશે, જેનાથી તેઓ સ્વરોજગારલક્ષી સાધનો ખરીદી નાના વ્યવસાયોમાં રોજગારી મેળવી આત્મનિર્ભર બનશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, 337 લાભાર્થીઓના લક્ષ્યાંક સામે 665 લાભાર્થીઓની સંપૂર્ણ પારદર્શિતાથી ઓનલાઈન ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ પ્રક્રિયાનું યુ-ટ્યુબમાં લાઇવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. પસંદગી પામેલા લાભાર્થીઓની તબક્કાવાર ડોકયુમેન્ટ ચકાસણી કરવામાં આવશે, જેમાંથી 337 પાત્ર લાભાર્થીઓને નજીવા દરે ધિરાણ અપાશે. આ ડ્રોમાં અનુસૂચિત જાતિ કલ્યાણના નિયામક અને અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના એમ.ડી શ્રી રચિત રાજ સહિત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



