10થી 13 મે 2025 દરમિયાન સિંહ વસ્તી ગણતરી યોજાશે
53 તાલુકામાં વિહરતા ગીરના સિંહોનું પૂનમના દિવસે ખાસ અવલોકન
- Advertisement -
વનવિભાગે ગણતરીકારોને ટ્રેનિંગ સાથે કવાયત તેજ કરી
ફોર્મ ભરવા સાથે કેમેરા સહિત ટેક્નોલોજી ઉપયોગ થશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
ગીરના સિંહોની ડણક વિશ્વ ભરમાં સંભળાઈ છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીર સહીત હાલમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર અને જામનગર સુધી સિંહ વિચરતા જોવા મળે છે. ત્યારે દર પાંચ વર્ષે સિંહોની ગણતરી કરવામાં આવે ત્યારે 2020માં એક અવલોકન પ્રમાણે સિંહોની સંખ્યા 674 જોવા મળી હતી આમ દિવસે દિવસે સિંહોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે 2025ના વર્ષમાં આગામી 10થી 13 મે દરમિયાન સંપુર્ણ ગુજરાતમાં વસતા સિંહની ગણતરી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. છેલ્લે થયેલી સિંહ ગણતરીના આંકડા પરથી એ તારણ નિકળ્યું છે કે, ગુજરાતમાં સિંહોની સંખ્યા ઝડપથી વધી રહી છે, જેથી સિંહો માત્ર જંગલમાં જ નહીં પણ હવે માનવ વસાહતોમાં અવારનવાર નજરે આવે છે.
- Advertisement -
ગીર જંગલ સહીત સિંહ પરિવાર હવે 53 તાલુકામાં વિહરતા જોવા મળી રહ્યા છે ત્યારે આગામી સિંહ વસતી ગણતરીમાં ડાલામથ્થાં સિંહોની ડણકો વધશે અને સિંહોની સંખ્યા 800 પાર થવાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. જયારે 2020માં કરોના કાળ સમયે સત્તાવાર રીતે ગણતરી થઇ ન હતી પણ એક અવલોકન પ્રમાણે સિંહોની સંખ્યા 674 આંકવામાં આવી હતી જોકે 2025માં સત્તાવાર રીતે સિંહ વસતી ગણતરી કરવામાં આવશે તેમ રાજ્ય સરકારે જાહેર કર્યું છે. જેને લઈને વન વિભાગે કવાયત શરુ કરી છે. આ સિંહ ગણતરીમાં વન્ય પ્રેમી સાથે એનજીઓ તેમજ ગાર્ડ, ટ્રેકર સહીત સિંહ પ્રેમીઓને ખાસ ટ્રેનીગ આપવામાં આવી રહી છે. અને એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં સિંહોનું ખાસ વર્ણન કરાશે તેમજ કેમેરા સાથે અન્ય ટેક્નોલોજી ભરપૂર ઉપયોગ કરવામાં આવશે જે લગભગ 53 તાલુકા આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતનું ગર્વ ગણાતા એશિયાટિક સિંહોની 16મી વસ્તી ગણતરી 10થી 13 મે દરમિયાન યોજાનાર છે. દરેક પાંચ વર્ષે થતી આ ગણતરી હવે લગભગ દસ વર્ષે કરવામાં આવી રહી છે. કોરોના મહામારીને કારણે 2020માં પૂરતી તૈયારી સાથે વિધિવત ગણતરી કરી શકાઈ નહોતી, જેના કારણે આ વખતે તે વધુ મહત્વની બની છે. વન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે, આ ગણતરી બે તબક્કામાં 24-24 કલાક ચાલશે. 2020માં કરવામાં આવેલી ગણતરી મુજબ રાજ્યમાં કુલ 674 સિંહો હોવાનું જાહેર કરાયું હતું. તે સમયની લગભગ 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગણતરી કરાઈ હતી. જોકે હવે આ વખતે સિંહોની હાજરી 9 જિલ્લાના 53થી વધુ તાલુકાઓમાં નોંધાય છે. જેમાં બરડા, બોટાદ સહિતના નવા વિસ્તારો પણ સામેલ થઈ રહ્યા છે. જેથી સિંહોની ગણતરી માટેનો વિસ્તાર અને પડકાર બંને વધી ગયા છે.
સૌ પ્રથમ વર્ષ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી મુળુ બેરા તથા રાજ્ય મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી, મુલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌ પ્રથમ વર્ષ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ 1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ 304 જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ 2001માં કુલ 327, વર્ષ 2005માં કુલ 359, વર્ષ 2010માં કુલ 411, વર્ષ 2015માં કુલ 523 અને છેલ્લે વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.