ઉનાળાની બળબળતી બપોરે એક ભિખારી જેવો માણસ બજારમાં આમતેમ આંટા મારી રહ્યો હતો. એને ખૂબ જ તરસ લાગી હતી અને એ પાણી શોધી રહ્યો હતો પરંતુ તાપ એટલો બધો હતો કે બધાં જ દુકાનદારો પોતાની દુકાન બંધ કરીને જતા રહ્યા હતાં. તરસથી વ્યાકુળ થયેલા પેલા માણસની નજર છેવાડાની એક દુકાન પર ગઈ. એ દુકાન ખુલ્લી હતી. પેલો માણસ ઝડપથી એ દુકાન સુધી પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો દુકાનમાં બીજું કોઈ તો નહોતું પરંતુ શેઠ થડા પર બેઠા-બેઠા હિસાબ કરતા હતા. ભિખારી જેવા આ માણસે પેલા શેઠને કહ્યું, શેઠ. બહુ તરસ લાગી છે. થોડું પાણી પાશો ? શેઠે કહ્યું, માણસ બહાર ગયો છે. થોડીવાર ઊભો રહે. પેલો ભિખારી ત્યાં જ ઊભો રહ્યો. 10 મિનિટ જેવો સમય થયો એટલે ભિખારીએ ફરીથી કહ્યું, શેઠ, થોડું પાણી આપોને. ગળું સુકાય છે. પેલા શેઠે કહ્યું, હજુ માણસ નથી આવ્યો. આવે એટલે તને પાણી આપે. વળી થોડો સમય પસાર થયો એટલે ફરી પેલા ભિખારીએ કહ્યું, શેઠ, એક પ્યાલો જ પાણી આપોને… જીવ જાય છે, હવે તો આ તરસને કારણે. શેઠે ખિજાઈને કહ્યું, એલા, તને કેટલી વાર કહેવું કે માણસ નથી. એ આવે એટલે તને પાણી પાશે. ભિખારીએ શેઠની સામે જોઈને એટલું જ કહ્યું, શેઠ, થોડીવાર માટે તમે જ માણસ બની જાવ ને! આપણું પણ આ શેઠ જેવું જ છે ! ડોક્ટર, વકીલ, એન્જિનિયર, શિક્ષક, અધિકારી, કર્મચારી, ખેડૂત, ઉદ્યોગપતિ તો રોજ હોઈએ છીએ; ક્યારેક ક્યારેક માણસ પણ બની જોઈએ !
માણસાઇનો દુકાળ દૂર કરવો છે તો તમે જાતે જ સારા માણસ બનવાનો આગ્રહ રાખો
– બંધુ ત્રિપુટી