-‘બીગ કેટ’ તરીકે ઓળખાતા આ વન્ય પ્રાણી પ્રથમ વખત ભરૂચ જીલ્લામાં દેખાયા
-63%ના વસતિ વધારા સાથે હવે કુલ 2874 દિપડાઓ રાજયમાં નોંધાયા
- Advertisement -
સૌરાષ્ટ્રના ગીરના સિંહોને પણ હવે તેમના માટેનું અભ્યારણ ટુંકુ પડતા તેઓ આસપાસના વિસ્તારોમાં હવે વસવાટ કરવા લાગ્યા છે અને હવે તેમના માટે નવા સલામત ‘સ્પોટ’ પણ તૈયાર કરવા માટેની ખાસ યોજના છે તો તેમની સાથે સહવસવાટ કરતા અને જંગલી પ્રાણીઓમાં સૌથી મુવેબલ એટલે કે ઝડપથી એકબીજાથી બીજા સ્થળ માનવ વસાહતની વચ્ચે જવાનું સાહસ પણ કરી લેતા દીપડાઓની સંખ્યામાં પણ ગુજરાતમાં વધારો થાય છે અને તે હવે એક તરફ સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારો ઉપરાંત અમદાવાદની નજીક અને છેક ભરૂચ સુધી પહોંચી ગયું છે.
છેલ્લા છ વર્ષમાં ગુજરાતમાં દિપડાઓની સંખ્યા 63% વધી છે જેનો યશ વનવિભાગને જાય છે. જે સિંહોની સાથે તમામ વન્ય જીવનની ચિંતા કરે છે અને ઈકોલોજીકલ બેલેન્સ જળવાઈ રહે તે નિશ્ર્ચિત કરે છે. 2016માં ગુજરાતમાં દિપડાઓની સંખ્યા 1395 હતી જે હવે 2023માં વધીને 2274 થઈ છે અને તે પ્રથમ વખત તેમના નિશ્ચિત ગણાતા ક્ષેત્રોની બહાર નિકળવા લાગ્યા છે તથા જયાં અગાઉ કદી દિપડા દેખાતા ન હતા તે અમદાવાદ આસપાસ પણ એક દિપડો વસે છે.
જો કે ગાંધીનગર અને તેના આસપાસના વિસ્તારોમાં અવારનવાર દિપડા છેક સચિવાલય સુધી પહોંચી ગયાનું નોંધાયુ છે પણ ભરૂચ સહિતના ક્ષેત્રોમાં 105 દિપડાઓની હાજરી નોંધાઈ છે. દિપડાઓનું મૂળ સ્થાન ગીરના જંગલો છે જેમાં જુનાગઢ અને તેની આસપાસમાં 2016માં 354 દિપડા નોંધાયા હતા તે હવે 578 થયા છે તો ગીર સોમનાથમાં 111 દિપડાઓ હતા જે વધીને 257 નોંધાયા છે.