મહેનતની કમાણી ફસાઈ હોય તો ગભરાશો નહીં: નાણાં વસૂલાત માટે કાયદામાં મજબૂત જોગવાઈ
આજના આર્થિક યુગમાં લેણ-દેણ એ વ્યવસાય અને સામાજિક જીવનનો એક અભિન્ન હિસ્સો છે. ઘણીવાર આપણે મિત્રો, સબંધીઓ અથવા વ્યાપારી ભાગીદારોને વિશ્વાસ પર નાણાં આપીએ છીએ, પરંતુ જ્યારે તે પરત માંગવાનો સમય આવે છે ત્યારે સામેવાળી વ્યક્તિ ગલ્લાંતલ્લાં કરવા લાગે છે અથવા સ્પષ્ટ ના પાડી દે છે. જ્યારે મહેનતની કમાણી ફસાઈ જાય છે, ત્યારે વ્યક્તિ માનસિક તણાવ અને આર્થિક સંકટમાં આવી જાય છે. પરંતુ ગભરાવાની જરૂર નથી; ભારતીય કાયદામાં ફસાયેલા નાણાંની વસૂલાત માટે મજબૂત જોગવાઈઓ છે.
(1) કોર્ટ કેસ પહેલા પૂર્વ-તૈયારીઓ
પુરાવા એકત્રિત કરો : તમે નાણાં આપ્યા છે તેનો પુરાવો જેમ કે બેંક સ્ટેટમેન્ટ, ચેક, પ્રોમિસરી નોટ, વોટ્સએપ ચેટ, ઈમેલ અથવા સાક્ષીઓ તૈયાર રાખો, જેથી તમે કોર્ટમાં હકીકતો સાબિત કરી શકો.
મૌખિક વાતચીત અને રેકોર્ડિંગ : જો લેખિત કરાર ન હોય, તો સામેવાળી વ્યક્તિ સાથે વાતચીત કરો અને જો શક્ય હોય તો સ્વીકૃતિનું રેકોર્ડિંગ કરો, તેઓ સાથે મીટીંગ થયેલ હોય તો તેનું ઓડિયો કે વિડીયો રેકોર્ડીંગ રાખો.
હિસાબનું સ્ટેટમેન્ટ : કુલ કેટલી રકમ લેવાની નીકળે છે અને કેટલું વ્યાજ (જો નક્કી હોય તો) ચઢ્યું છે તેનો સ્પષ્ટ હિસાબ રાખો, કોર્ટ વ્યાજ સહીત રકમ ચૂકવી આપવાનો સામાવાળા વિરુદ્ધ હુકમ કરશે.
(2) લીગલ નોટિસ
નાણા વસુલાત માટે કાયદેસરની કાર્યવાહીની શરૂઆત વકીલ મારફત લીગલ નોટિસ થી થાય છે જેમાં સામેવાળી વ્યક્તિને ચોક્કસ સમય મર્યાદા (સામાન્ય રીતે 15 દિવસ) માં નાણાં પરત ચૂકવવાની ચેતવણી આપવામાં આવે છે. ઘણીવાર લીગલ નોટિસ મળતા જ સામેવાળી વ્યક્તિ કાયદાકીય લફડાથી બચવા માટે નાણાં પરત આપી દે છે. લીગલ નોટીસ અને તેની બજવણીના પુરાવાઓ કેસમાં દસ્તાવેજી પુરાવા તરીકે રજુ કરો છો તે કોર્ટમાં સાબિત કરે છે કે તમે નાણાં વસૂલવા માટે પ્રામાણિક પ્રયાસ કર્યો હતો.
(3) સિવિલ રિકવરી સૂટ
જો લીગલ નોટિસ બાદ પણ નાણાં ન મળે, તો દિવાની કાર્યરીતી અધિનિયમનાં ‘ઓર્ડર 37’ હેઠળ ’સમરી સૂટ’ સંક્ષિપ્ત દાવો દાખલ કરી શકાય છે. આ પ્રક્રિયા સામાન્ય સિવિલ કેસ કરતા ઝડપી હોય છે. જો દેવાદાર પાસે કોઈ નક્કર બચાવ ન હોય, તો કોર્ટ સીધો તમારા પક્ષમાં ચુકાદો આપી શકે છે. આ મુખ્યત્વે લેખિત કરાર, બિલ અથવા પ્રોમિસરી નોટ પર આધારિત હોય તેવાં પ્રકારના દાવા માટે લાગુ પડે છે. સિવિલ સ્યુટ દાખલ કરવામાં વાદીએ રકમનાં પ્રમાણમાં કોર્ટ ફી (સ્ટેમ્પ ડ્યુટી) ભરવી પડે છે.
(4) નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ
જો તમારી પાસે દેવાદારનો આપેલો ચેક હોય અને તે બેંકમાં ‘અપૂરતા ભંડોળ’ને કારણે બાઉન્સ થાય, તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-138ની જોગવાઈઓ મુજબ આ એક ફોજદારી ગુનો બને છે. ચેક બાઉન્સ થયાના 30 દિવસની અંદર લીગલ નોટિસ મોકલવી ફરજિયાત છે. જો નોટિસ પછી પણ 15 દિવસમાં નાણાં ન મળે, તો તમે કોર્ટમાં કેસ કરી શકો છો. જેમાં દેવાદારને 2 વર્ષ સુધીની જેલ અથવા ચેકની રકમથી બમણો દંડ થઈ શકે છે.
(5) પોલીસ ફરિયાદ અને ક્રિમિનલ કેસ
જ્યારે નાણાં આપતી વખતે જ સામેવાળી વ્યક્તિની દાનત ખરાબ હોય અથવા તેણે છેતરપિંડી કરી હોય, ત્યારે ફોજદારી કાર્યવાહી કરી શકાય છે, જો કોઈએ ખોટા વાયદા કરીને કે છેતરીને તમારી પાસેથી નાણાં પડાવ્યા હોય તો તમે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-316 અને 318 હેઠળ પોલીસ સ્ટેશનમાં ઋઈંછ નોંધાવી શકો છો અથવા મજિસ્ટ્રેટ પાસે ફરિયાદ કરી શકો છો. આ માટે પુરાવા તરીકે કોઈ લખાણ કે રેકોર્ડીંગ કે સ્ક્રીનશોટ વગેરે રજુ કરી શકાય છે.
(6) નાના ઉધોગો માટે ખજઊઋઈ સમાધાન
જો તમે ખજખઊ (ખશભજ્ઞિ, જળફહહ ફક્ષમ ખયમશીળ ઊક્ષયિિાંશિતયત) હેઠળ નોંધાયેલા છો અને કોઈ કંપની તમારા નાણાં ચૂકવતી નથી તો તમે ખજખઊ સમાધાન પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. કાયદા મુજબ, ખરીદદારે માલ મળ્યાના 45 દિવસમાં નાણાં ચૂકવવા પડે છે. જો ન ચૂકવે તો તેણે છઇઈં દ્વારા નિર્ધારિત વ્યાજ દર કરતા ત્રણ ગણું વ્યાજ ચૂકવવું પડી શકે છે.
(7) મધ્યસ્થતા અને લોક અદાલત
કોર્ટની વર્ષો સુધી ચાલતી લાંબી અને ખર્ચાળ કાયદાકીય પ્રક્રિયાથી બચવા માટે ‘મધ્યસ્થતા’ (ખયમશફશિંજ્ઞક્ષ) અને ‘લોક અદાલત’ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં નિષ્પક્ષ મધ્યસ્થી દ્વારા બંને પક્ષોને સામસામે બેસાડી, પરસ્પર સહમતીથી સુખદ અને વાજબી રસ્તો કાઢવામાં આવે છે. આ પ્રક્રિયાથી માત્ર સમય અને પૈસાની જ બચત નથી થતી, પરંતુ પક્ષકારો વચ્ચેના વ્યાપારી કે સામાજિક સંબંધો પણ જળવાઈ રહે છે, જે ભવિષ્ય માટે ફાયદાકારક છે.
(8) આર્બિટ્રેશન
જો તમારા અને સામેવાળી વ્યક્તિ વચ્ચે થયેલા કરારમાં ‘આર્બિટ્રેશન ક્લોઝ’ હોય, તો તમે કોર્ટમાં ગયા વગર આર્બિટ્રેટરની નિમણૂક કરી શકો છો. આ પ્રક્રિયા કોર્ટ કરતા ઘણી ઝડપી છે. આર્બિટ્રેટર જે ચુકાદો આપે તેને ‘આર્બિટ્રલ એવોર્ડ’ કહેવાય છે, જેની કિંમત સિવિલ કોર્ટના ઓર્ડર જેટલી જ હોય છે. જો સામેવાળી વ્યક્તિ તે મુજબ નાણાં ન ચૂકવે, તો તમે સીધા જ કોર્ટમાં એક્ઝિક્યુશન (અમલીકરણ) કરાવી શકો છો.
(9) નાણાં ઉછીના આપતા પહેલાં
જયારે કોઈને નાણા ઉછીના આપવામાં આવે છે ત્યારે લેખિત કરાર કરવનો આગ્રહ રાખો, ઉપરાંત ઈમેલ અથવા વોટ્સેપ દ્વારા તેને નાણા આપ્યા છે અને સામાવાળાએ સ્વીકાર્યા છે તેનું લખાણ રાખો, રોકડમાં નાણા ઉછીના આપવાનું ટાળો અને બેંક વ્યવહારથી જ આપો, નાણાકીય વ્યવહારમાં તટસ્થ સાક્ષીઓની હાજરી રાખો, નાણા મેળવનાર પાસેથી પોસ્ટ ડેટેડ ચેક મેળવી શકો. એક વાત યાદ રાખો કે સંબંધમાં વિશ્વાસ હોય તે સ્વાભાવિક છે પણ નાણાકીય વ્યવહારમાં વિશ્વાસની સાથે સાથે પુરાવા પણ મેળવી લેવા જરૂરી છે, માણસની દાનત ક્યારે બગડે તે કહી શકાય નહિ, જો પુરાવા હશે તો માણસ વિશ્વાસ જાળવી રાખવા અને સંબંધો જાળવવા પણ મજબુર થશે. ઘણીવાર કરાર અને લખાણ જ માણસને નૈતિક બનાવે છે.
ફસાયેલા નાણાં પરત મેળવવા એ ધીરજ અને કાયદાકીય જ્ઞાન માગતી પ્રક્રિયા છે. જો તમારી પાસે પાકા પુરાવા અને યોગ્ય કાયદાકીય માર્ગદર્શન હોય, તો ભારતીય ન્યાય વ્યવસ્થામાં રિકવરી માટે મજબૂત જોગવાઈઓ ઉપલબ્ધ છે. ગભરાયા વગર સમયસર લીગલ નોટિસ કે કોર્ટ કાર્યવાહી જેવા પગલાં લેવા એ જ તમારી મહેનતની કમાણી બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. નાણા વસુલાત માટે ગેરકાયદેસર રીતે વસુલાતનો માર્ગ ક્યારેય અપનાવવો ન જોઈએ અથવા કાયદો હાથમાં લઈને વસુલાત માટે સામે કોઈ અપરાધ ન કરવો જોઈએ. જો ગેરકાયદેસર વસુલાત કરવામાં આવે તો જે તે વ્યક્તિ તમારા વિરુદ્ધ પણ કાનૂની પગલા લઇ શકે છે તેથી તે રસ્તો નૈતિક નથી.



