ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે જુના મનદુખને લઈને એક જ સમાજના બે જૂથો સામસામે આવી ગયા હતા જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબી અને રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. બનાવના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મારામારીમાં સંડોવાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની કામગીરી હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ હળવદના નવા માલણીયાદ ગામે જુના મનદુખને લઈને ગત મોડી સાંજે જૂથ અથડામણ થઈ હતી જેમાં છ થી વધુ લોકોએ પાઈપ અને તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ઘનશ્યામભાઇ માવજીભાઇ કણઝારીયાને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે કંચનબેન ત્રિભોવનભાઇ કણઝારીયા અને ત્રિભોવનભાઇ માવજીભાઇ કણઝારીયાને પણ ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબી અને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે નવા માલણીયાદ ગામે દોડી જઈને મારામારીના બનાવમાં સંડોવાયેલા શખ્સોને પકડવાની તજવીજ હાથ ધરીને આગળની કાર્યવાહી કરી હતી.
હળવદના નવા માલણીયાદ ગામે મોડી સાંજે જૂથ અથડામણ, ત્રણ ઈજાગ્રસ્ત
