ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ગુજરાતના રાજકીય પડઘમ વચ્ચે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના મંત્રીપદને લઈ ચાલી રહેલી અટકળોને આજે વધુ બળ મળ્યું છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ દિલ્હી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અચાનક મુલાકાત અને પાર્ટી હાઈકમાન્ડના સંકેતોને લઈને રાજ્યના મંત્રીમંડળમાં મોટા ફેરફારની પૂરેપૂરી સંભાવના છે. હમણાંજ, પોરબંદરના મોઢવાડા ગામે ગત 19 એપ્રિલે ખાસ લાપસીના આંધણ યોજાયા હતા. લોકસંસ્કૃતિ મુજબ જે કોઈ વ્યક્તિને મોટી પદવી કે જવાબદારી મળવાની હોય ત્યારે એવા શુભ પ્રસંગે લાપસીના આંધણ કરવામાં આવે છે. આ પ્રસંગે પોરબંદર જિલ્લાના અનેક રાજકીય આગેવાનો, વરિષ્ઠ અધિકારીઓ તેમજ પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સામૂહિક હાજરી પોતાની જાતે ઘણું કહી જાય છે. જાણકાર માહિતીપ્રમાણે, અર્જુનભાઈ મોઢવાડિયા માટે હાઈકમાન્ડ તરફથી લીલીઝંડી મળી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં તેઓને મહત્ત્વપૂર્ણ મંત્રાલય સોંપવામાં આવે તેવી પૂરી શક્યતા છે. એક તરફ હવામાન વિજ્ઞાની અંબાલાલ પટેલે પણ પોતાના નિવેદનમાં “રાજકીય હવામાનમાં પલટો” ની આગાહી કરી હતી, જે આજે તદ્દન સાચી પડતી જણાઈ રહી છે. હવે તો માત્ર મહત્વપૂર્ણ તારીખની જાહેરાત બાકી છે. પોરબંદરના રાજકીય દૃશ્યપટ પર એક નવા અધ્યાયની શરૂઆતની ઘડીઓ ગણાઈ રહી છે.
- Advertisement -
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ દિલ્હી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અચાનક મુલાકાત અને પાર્ટી હાઈકમાન્ડના સંકેતોને લઈને રાજ્યના મંત્રીમંડળમાં મોટા ફેરફારની પૂરેપૂરી સંભાવના છે