જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે માતા વૈષ્ણો દેવી યાત્રા ટ્રેક પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં 34 લોકોના મોત થયા છે અને 23 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓને ડર છે કે હજુ પણ વધુ લોકો કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે.
ભારે વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેના લીધે અત્યાર સુધીમાં માતા વૈષ્ણોદેવી ધામ જતા માર્ગ પર ભૂસ્ખલનને કારણે 34 શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે 23થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના મંગળવારે બપોરે 3 વાગ્યાની આસપાસ અધકવારી નજીક ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય નજીક સર્જાઈ હતી. જે લગભગ 12 કિમી લાંબા પગપાળા માર્ગની વચ્ચે આવેલો હિસ્સો છે.
- Advertisement -
રિયાસીના એસએસપીએ આપી માહિતી
રિયાસીના એસએસપીએ પુષ્ટિ કરતા કહ્યું કે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું અને ઘણા શ્રદ્ધાળુઓ તેમાં ફસાઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ તરત જ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
રેસ્ક્યુ ચાલુ છે
- Advertisement -
સેનાએ માહિતી આપી હતી કે તેના સૈનિકોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. અમે સતત જીવ બચાવવા, જરૂરિયાતમંદોને મદદ પૂરી પાડવા અને નાગરિકોને સલામત સ્થળોએ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
હજુ ભારે વરસાદનું એલર્ટ
દરમિયાન, ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જે જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમાં અનંતનાગ, કિશ્તવાડ, ડોડા, કઠુઆ, રામબન, ઉધમપુર, રિયાસી, રાજૌરી, જમ્મુ, સાંબાનો સમાવેશ થાય છે. વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા અને સલામત સ્થળોએ રહેવાની અપીલ કરી છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે હજારો શ્રદ્ધાળુઓ કટરાથી માતા વૈષ્ણો દેવી દર્શન માટે જઈ રહ્યા હતા.