બોગસ આધારકાર્ડ સાથે ખોટું કુલમુખત્યારનામું બનાવી લીધું, ચાર આરોપીઓ સામે ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. માધાપરમાં આવેલી જમીન બોગસ દસ્તાવેજના આધારે પચાવી પાડવા અંગે કુલ ચાર આરોપીઓ સામે ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ થયો છે. જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
- Advertisement -
હાલ સુરતના અડાજણમાં આવેલી સ્મિત સાગર સોસાયટીમાં રહેતા અને રિલાયન્સ કંપનીમાં છેલ્લા 32 વર્ષથી શિફટ એન્જિનિયર તરીકે નોકરી કરતા મુકેશભાઈ રવિશંકરભાઈ જાની (ઉ.વ.પ8) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની રાજકોટના માધાપર ગામે બિનખેડાણ વાળો વારસાઇ પ્લોટ આવેલો છે. દરમિયાન આ કિંમતી પ્લોટ પર ભૂમાફિયા મધુકાંત મોહનલાલ શાહે 2019માં ખોટું કુલમુખત્યારનામું બનાવ્યું હતું. અને અલ્તાફહુશેન સૈયદને દસ્તાવેજ કરી આપી વેચાણ કરવા માટે કાવતરું ઘડી મૃતક પિતા અને મોટાબાપુના બોગસ આધારકાર્ડના આધારે તા.16-1-2020માં નવો દસ્તાવેજ બનાવ્યો હતો. જેમાં પિતા, મોટાબાપુ ગુજરી ગયા હોય અને તેમને જીવિત બતાવી દસ્તાવેજમાં સાક્ષી તરીકે બતાવ્યા હતા. તેમાં બોગસ સહી યોગેન્દ્રસિંહ ઝાલા અને ઇકબાલ જુણાચે કરી પોતે ઓળખતા હોવાની વિગતને સમર્થન આપ્યું હતું. આમ ખોટું કુલમુખત્યારનામું, ખોટું આધારકાર્ડ હોવાનું જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી ખુલ્લા પ્લોટનું વેચાણ કરી જમીન ફરતે દીવાલ બનાવી પચાવી પાડી હતી. આ બનાવની 2019માં જાણ થયા બાદ કલેક્ટર તંત્રમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે અરજી કરી હતી. જેના આધારે કલેક્ટર તંત્રે બનાવની તપાસ કરી હતી. તેમાં ઉપરોક્ત ભૂમાફિયાઓએ કૌભાંડ આચર્યાનું ખૂલતા પોલીસને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો. આદેશને પગલે માલવિયાનગર પોલીસે મુકેશભાઇની ફરિયાદ પરથી ચારેય ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. બનાવની તપાસ એસીપી પી.કે.દિયોરા ચલાવી રહ્યા છે.