જીવનશૈલીમાં બદલાવ અને સતર્કતાથી પ૦ ટકા જેટલા કેન્સરના કેસો અટકાવી શકાય- નવી પેઢીને વ્યસન તરફ જતા અટકે તે જરૂરી -રાજકોટ કેન્સર સોસાયટીના મેડિકલ ડાયરેક્ટર ડો.વી.કે. ગુપ્તા.
સૌરાષ્ટ્રમાં યુવાધનને તમાકુના વ્યસનથી મુકત કરવા અને કેન્સર સામે જાગૃતિ માટે રાજકોટમાં કુંડારીયા કેન્સર પ્રિવેન્સન ફાઉન્ડેશનની સેવાકીય કામગીરી- મહિલાઓને થતા કેન્સર અટકાવવા રાજકોટ જિલ્લામાં ૨૫૦૦ બહેનોને એચ.વી.પી. રસી અપાઇ.
- Advertisement -

ગુજરાત પ્રેસ અકાદમી અને રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા કેન્સર સામે જાગૃતિ લાવવાનો સેમિનાર અત્યારની જરૂરીયાત છે.- મુંબઇના કેન્સર સર્જન ડો. વિક્રમ સંઘવી
કેન્સરથી બચવા બાળકો અને પરિવારજનો હેલ્ધી ફુડ લે તે જરૂરી- કેન્સર એટલે કેન્સલ એવું નથી- મતી વર્ષાબેન જાની
- Advertisement -
રાજકોટના મીડિયા કર્મીઓ માટે યોજાયો કેન્સર પ્રત્યેની જાગૃતિ અંગેનો પરિસંવાદ: તજજ્ઞ વક્તાઓની ઉપસ્થિતિ
રાજકોટ – રોજિંદી જીવનશૈલીમાં નજીવો બદલાવ કરવાથી કેન્સરથી બચી શકાય છે, તેમ રાજકોટ કેન્સર સોસાયટી ,ચિકિત્સા ભવન મેડિકલ ડાયરેકટર ડો.વી.કે. ગુપ્તાએ ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના સંયુકત ઉપક્રમે રાજકોટ ખાતે યોજાયેલા કેન્સર સામે સતર્કતા અંગેના સેમિનારમાં જણાવ્યું હતું.

રાજકોટના મીડિયા કર્મીઓ માટે યોજાયેલા કેન્સર પ્રત્યેની જાગૃતિ અંગેના પરિસંવાદમાં કેન્સર ચિકિત્સા ભવનના મેડિકલ ડાયરેકટર ડો.વી.કે. ગુપ્તાએ સમગ્ર વિશ્વ , દેશ અને ગુજરાતમાં હાલ કેન્સરની સ્થિતિ અને કેન્સર સામે જાગૃતિની જરૂરીયાત અંગે અભ્યાસુ વકતવ્ય પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આપી કહ્યું હતું કે સમગ્ર દેશમાં મોઢું અને ગળાના કેન્સરનુ સૌથી વધુ પ્રમાણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળે છે, જે માટે તમાકુનું સેવન કારણભૂત છે, આથી તમાકુનું સેવન ટાળવું જ જોઈએ. સમગ્ર વિશ્વમાં જોવા મળતા કેન્સર પૈકી પાંચથી દસ ટકા વારસાગત કારણોસર અને ૯૦ ટકા કેન્સર લાઇફ સ્ટાઇલ આધારીત જણાતા હોય છે.

જીવનશૈલીમાં નજીવો બદલાવ કરવાથી કેંસરથી અચૂક રીતે બચી શકાય છે.
કેટલાક કેન્સર ખાસ કરીને જીવનશૈલી બદલાવ અને વ્યસન ન કરવાથી અને જરૂરી એડવાન્સ ટેસ્ટ સહિતની સતર્કતાથી ૫૦ ટકા સુધી કેન્સર ટાળી શકાય તે પ્રકારના હોય છે, પ્રતિ વર્ષ ૧૨ લાખ લોકો દેશમાં કેન્સરથી મૃત્યુ પામે છે. કેન્સર અટકાયત માટે રાજકોટમાં કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન દ્વારા લેવાઇ રહેલા વિવિધ કાર્યક્રમોનો ટૂંક સાર રજૂ કર્યો હતો અને સૂર્યપ્રકાશથી બચવા, રસી લેવા, નિયમિત સમયાંતરે શારીરિક પરીક્ષણો કરવા, જોખમી વર્તણૂકો ટાળવા, તમાકુના વ્યસનથી બચવા વગેરે જેવા પગલાં લેવા અનુરોધ કર્યો હતો. કેન્સર રોગનું નિદાન થયા બાદ તબીબી અધિકારી સલાહ વગર જરૂરી રેડિયેશનવાળા તબીબી પરીક્ષણો ન કરાવવા તથા જરૂરી પ્રાથમિક જાણકારી મેળવવા પર ડો. ગુપ્તાએ ભાર મૂક્યો હતો.
મુળ મોરબીના વતની અને સમયાંતરે મોરબીમાં કેન્સર નિદાન અંગે કેમ્પ કરી સેવાકીય પ્રવૃતિ કરતા અને મુંબઇના કેન્સર તજજ્ઞ ડો. વિક્રમ સંઘવીએ પ્રશ્નોત્તરીના માધ્યમથી ઉપસ્થિત પત્રકારોની કેન્સર અંગેની જિજ્ઞાસા સંતોષી હતી. રાજકોટ ખાતે કરાઈ રહેલા કેન્સર રોગને નાથવાના પ્રયત્નોમાં કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનની ભૂમિકાની તેમણે ખૂબ સરાહના કરી હતી. અને સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ આયોજકોને અભિનંદન આપ્યા હતા. માહિતીખાતા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમને આવકારી આવી જાગૃતિ સમયની માંગ છે તેમ જણાવ્યું હતું. કેન્સર અટકાયત અંગેના કોઇ પણ કાર્યક્રમમાં સદૈવ સહકાર આપવા ડોક્ટર સંઘવીએ ખાતરી ઉચ્ચારી હતી.

કેન્સર અંગે જનજાગૃતિ કેળવવા માટે ગ્રાસરૂટ લેવલે કામ કરતા ભાવનગરના મતી વર્ષાબેન જાનીએ કેન્સર અંગેના પોતાના અંગત અનુભવો મીડીયા કર્મીઓ સમક્ષ વર્ણવ્યા હતા અને ગ્રામ્ય તથા વંચિત વિસ્તારોના નાગરિકોને કેન્સરની પૂરેપૂરી સારવાર લેવા હિમાયત કરી હતી. કેન્સરથી બચવા માટે ઘરનો જ ખોરાક લેવા, ઓર્ગેનિક આહારનો આગ્રહ કેળવવા, સતર્કતા દાખવવા, ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા, નિયમિત જીવનશૈલી અપનાવવા વગેરે પર મતી જાનીએ ભાર મૂક્યો હતો.
ગુજરાત પ્રેસ અકાદમી,ગાંધીનગર પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ અને રાજકોટ કેન્સર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અનિલાબેન કોઠારી કેન્સર ચિકિત્સા ભવન ખાતે “કેન્સર સામે સતર્કતા” વિષયક પરિસંવાદ યોજાયો હતો. આમંત્રિતોના હસ્તે આ કાર્યક્રમનો દિપપ્રાગટ્યથી શુભારંભ કરાયો હતો.
સહાયક માહિતી નિયામક જગદીશભાઈ સત્યદેવે સ્વાગત પ્રવચન કર્યું હતું. ભુજના નાયબ માહિતી નિયામક મિતેષ મોડાસીયાએ વક્તાઓનો પરિચય આપ્યો હતો. અને કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી.

આ પરિસંવાદમાં સંયુક્ત માહિતી નિયામક એસ.એમ. બુબડીયા, નાયબ માહિતી નિયામક નીરાલા જોષી, રાજકોટના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો, કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનના સભ્યો, ઇન્ટર્ની જર્નાલિસ્ટસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેતન દવેએ અને આભાર દર્શન સહાયક માહિતી નિયામક હેતલભાઈ દવેએ કર્યું હતું.


