કોળી સમાજે ભાજપની મુશ્કેલી વધારી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
- Advertisement -
ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઇ છે. મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે તે નક્કી નથી ત્યારે અત્યારથી મંત્રીમંડળમાં મહત્વનું પદ મેળવવા માટેની માંગ થઇ રહી છે. કોળી સમાજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવા માંગણી કરી છે. રથયાત્રા બાદ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી ગણતરી છે. બોટાદ ખાતે વિસ્તૃત કારોબારીમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે મને મુક્ત કરો તેવી વિનંતી કરી હતી. આ જોતાં આગામી દિવસોમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખનુ નામ જાહેર થઈ શકે છે.
દરમિયાન, મંત્રીમંડળના વિસ્તરણનો ય ગણગણાટ ચાલી રહ્યો છે. કોનું પત્તુ કપાશે અને કોને મંત્રીપદે તક મળશે તે અંગે રાજકીય અનુમાનો ચાલી રહ્યાં છે ત્યાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં પ્રમોશન આપો તેવી માંગ ઉઠી છે. જાણવા મળ્યું છે કે, જસદણ વિંછીયા પંથકના કોળી સમાજના આગેવાનોએ દિલ્હી સુધી રજૂઆત કરી છે કે, ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરફાર થવા જઈ રહ્યો છે ત્યારે કોળી સમાજને પ્રતિનિધિત્વ મળે તે માટે કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવો. દરમિયાન, કુંવરજી બાવળિયાએ તાજેતરમાં દિલ્હીની મુલાકાત લીધી હતી.
તે સૂચક ગણાઈ રહી છે. આમ, ભેસ ભાગોળે, છાસ છાગોળેને ઘરમાં ધમાધમ જેવી સ્થિતી સર્જાઈ છે.