ક્રિષ્ના સ્કૂલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પત્ર વાઇરલ…
તત્કાલીન શિક્ષણાધિકારીએ સ્કૂલમાં રેઇડ કરતા ઘણી ગેરરીતિ જોવા મળી હતી પરંતુ ઘીના ઠામમાં ઘી પડી ગયું!
- Advertisement -
ક્રિષ્ના સ્કૂલના સંચાલક તૃપ્તિ મહેન્દ્ર ગજેરાના પોકળ દાવાઓ અને શાળામાં ચાલતી ગેરરીતિનો ભોગ બનેલા જાગૃત વાલીઓ-વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખાસ-ખબરનો
મો. નં. 76982 11111 પર સંપર્ક કરે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
રાજકોટના ગૌતમનગરમાં આવેલી ક્રિષ્ના સ્કૂલ અને ભાવનગર રોડ પર આવેલી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલના કબાડા જગજાહેર થયા બાદ જાગૃત વાલીઓ પોતાના સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ક્રિષ્ના સ્કૂલમાંથી એડમિશન કેન્સલ કરાવવા લાગ્યા છે. ખાસ-ખબર દ્વારા મહેન્દ્ર અને તૃપ્તિ ગજેરા દ્વારા કરવામાં આવી રહેલી ગેરરીતિ વિરુદ્ધ સંપૂર્ણ સચોટ-સત્ય ઝૂંબેશ બાદ વાલીઓ – વિદ્યાર્થીઓ ઉપરાંત ક્રિષ્ના સ્કૂલના શિક્ષકો પણ જાગૃત બન્યા છે, મહેશ ઉર્ફે મહેન્દ્ર ગજેરા અને તૃપ્તી ગજેરાના આર્થિક શોષણનો ભોગ બનેલા કેટલાક પીડિત શિક્ષકોએ એક પત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમાં શીર્ષક આપવામાં આવ્યું છે : ’ક્રિષ્ના સ્કૂલમાં કામ કરતાં શિક્ષકો શા માટે સ્કૂલ છોડે છે? આચાર્ય કે શિક્ષક તરીકે ડમી નામ ચલાવે છે, જેની જે-તે વ્યક્તિને ખબર પણ હોતી નથી. બેંકમાં ઊંચા પગાર બતાવી રોકડ રકમ પરત લેવાનું મોટું કૌભાંડ’
- Advertisement -
વાલીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય શૈક્ષણિકજગત સાથે સંકળાયેલા લોકોને જાગૃત કરતા આ પત્રના અન્ય બે મથાળામાં લખવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીજગતના હિત માટે જિલ્લા શિક્ષણાધિકારી શાળા છોડી ગયેલા કર્મચારીઓની પૂછપરછ કરે તો મોટા કૌભાંડો બહાર આવી શકે. વિદ્યાર્થી આલમનો એક જ પ્રશ્ન, શું શિક્ષણ અધિકારી તપાસ કરશે કે આગાઉની જેમ જ એમનું પોતાનું ખિસ્સું ભરી લેશે અધિકારીઓ ચેતો.. તૃપ્તિ તથા મહેન્દ્ર ગજેરા સ્કૂલના કાર્યક્રમના ઓઠા હેઠળ પોલીસ કમિશનર વગેરે જેવા મોટા અધિકારીઓને બોલાવી ઓળખાણ કરી કાયદાની છટકબારીનો લાભ ઉઠાવે છે. આ પત્રની શરૂઆતમાં લખ્યું છે કે, ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલ કાળીપાટ ખાતે ગત વર્ષે ધોરણ 11 અને 12 સાયન્સમાં ગુજરાતી મીડિયમના સંપૂર્ણ અભ્યાસ માટે શરૂઆતમાં વિદ્યાર્થીઓને આકર્ષવા એક આખી ટીમ રાખવામાં આવી હતી. જેમાં મયુરભાઈ સોની, ધવલભાઈ, ભાવિકભાઈ વગેરે શિક્ષકો હતા. પરંતુ વર્ષ પૂરું થતાં સુધીમાં આ ટીમની સાથે ચતુરાઈપૂર્વકની ચાલ રમીને બનાવટ કરીને પૈસા ના આપીને કે ખૂબ જ ઓછા પૈસા આપીને (રાજકોટથી કાળીપાટ સ્કૂલ સુધી જવાના કારના પેટ્રોલના પૈસા પણ ના થાય એટલા) આપીને બનાવટ કરતાં આ ટીમે મજબૂરીથી અભ્યાસકાર્ય છોડવું પડ્યું હતું. જેના કારણે વિદ્યાર્થીઓનું કારકિર્દીનું મહત્વનું વર્ષ બગડતા કેટલાયે વિદ્યાર્થીઓની કારકિર્દી રોળાઈ ગઈ છે. જેઈઈ અને નિટની તૈયારીની મોટી વાતો કરતી આ શાળામાં રેગ્યુલર અભ્યાસ કરતાં કેટલા વિદ્યાર્થીઓ ખરેખર સારા કોર્ષમાં પ્રવેશ મેળવે છે તેની વાલીએ તપાસ કરવી જોઈએ. શાળામાં લગાડેલા જાહેરાતના બોર્ડ એ ફક્ત કોચિંગ ક્લાસમાં મેળવેલ પરિણામ બતાવે છે.
5ત્રમાં લખ્યું છે કે, અમને જાણવા મળેલ વિગત મુજબ ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતી કમલેશભાઈ નામની વ્યક્તિને આવા ખોટા કાર્યો કરવા માટે દબાણ કરવામાં આવતા તેઓએ રાજીનામું આપી દેતા તેમનો પણ પગાર આપવામાં આવ્યો નથી. શાળાના રેકર્ડ પર આજે પણ તેમનું નામ પ્રિન્સિપાલ તરીકે ચાલુ હોય શકે છે. જેની તપાસ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ કરવી જોઈએ. આ ઉપરાંત કોમર્સ હેડ જૈન સર, સાયન્સ હેડ પરાગભાઈ, ચીફ રેક્ટર વિશ્વેશ્વરસિંઘ વગેરે જેવા કેટલાય કર્મચારીઓને નોટિસ કે પગાર આપ્યા વિના છુટા કરી દીધેલા છે. જિલ્લા શિક્ષણાધિકારી હાલના અને ખાસ કરીને શાળા છોડી ગયેલા કર્મચારીઓને રૂબરૂ બોલાવીને કે ફોન દ્વારા તેમને પગાર મળવા બાબત, રેકર્ડ પર પગાર આપવાનો અને અસલમાં પગાર અલગ તેમજ બેંકમાં પૂરો પગાર આપી રોકડ પૈસા પરત લેવાના અને આ રીતે નફાખોરી કરી બે નંબરના પૈસા વ્યાજખોરીના ધંધામાં રોકાણ કરતાં હોવાની માહિતી મળેલ છે તેની તપાસ કરવી જોઈએ.
વધુમાં આ પત્રમાં જણાવ્યું છે કે, ગત વર્ષે શાળાના પ્રથમ સત્રમાં તત્કાલીન જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ (હાલ નિવૃત્ત) અચાનક રેડ પડતાં શાળામાં માત્ર ગણ્યા ગાઠયા વિદ્યાર્થીઓ હાજર હતા. જ્યારે ઓનપેપર બોલતા (રજીસ્ટર સંખ્યા) ખૂબ વધુ હતી એટલે કે બાકીના વિદ્યાર્થીઓ કોચિંગ કલાસમાં હતા, પરંતુ અંગત મિલીભગતથી ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું. અમને જાણવા મળ્યા મુજબ આ દિવસની રેડનું સીસીટીવી રેકોર્ડીંગ શાળાના કોઈ મુખ્ય કર્મચારીએ સાચવી લીધું છે પરંતુ હાલ એ કર્મચારી પણ શાળાના દબાણમાં હોવાથી ઉપલબ્ધ થયેલા નથી. ખાસ-ખબર એ રેડનું સત્ય બહાર લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે. ખાસ-ખબર એ રેડના સાક્ષી એવા પ્રિન્સિપાલ, કેમ્પસ ડાયરેક્ટર તેમજ અન્ય કર્મચારીઓ વગેરે તમામ લોકોનો સંપર્ક કરવા પ્રયત્ન કરી રહેલું છે. આપની જાણમાં પણ આવી કોઈ વિગત હોય તો નિર્ભયપણે સંપર્ક કરો ખાસ ખબર મોબાઈલ નંબર 76982 11111.
આ મુજબનો પત્ર સોશિયલ મીડિયામાં ક્રિષ્ના સ્કૂલ અને તેના સંચાલક મહેન્દ્ર તૃપ્તી ગજેરાના આર્થિક શોષણનો ભોગ બનેલા શિક્ષકોએ વાયરલ કર્યો હોઈ શકે છે. અલબત્ત વાલીઓ અને વિદ્યાર્થીઓ બાદ શિક્ષકો પણ હવે નિર્ભયતાથી પોતાનો અવાજ ઉઠાવી આર્થિક-માનસિક શોષણનું વળતર મેળવવા મેદાને આવ્યા છે.
કમલેશભાઇ, જૈન સર, પરાગભાઇ અને વિશ્ર્વેશ્ર્વરસિંહ નામનાં કર્મચારીઓને નોટિસ કે પગાર આપ્યા વગર છૂટા કરી દીધાનો વાઇરલ પત્રમાં આક્ષેપ
ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપરાંત શિક્ષકોને પણ ગજેરા દંપતીનો કડવો અનુભવ
ખાસ-ખબર દ્વારા આ ગેરરીતિનો પુરાવા સાથે સિલસિલાબંધ અહેવાલો પ્રગટ થયા બાદ અસંખ્ય વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ પોતાને થયેલા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. દરમિયાન જાણવા મળ્યું છે કે, ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓને ઉઠા ભણાવવા ઉપરાંત શિક્ષકોનું શોષણ કરવામાં પણ ગજેરા દંપતિએ સોમાંથી સો ગુણ મેળવ્યા છે. કેટલાય શિક્ષકોના બેંકમાં ખાતા ખોલાવી વધુ પગાર આપી, પછી એ પગાર બેંકમાંથી રોકડ સ્વરૂપે પરત લઈ મસમોટું કૌભાંડ ચલાવ્યું છે, નોટબંધીમાં ગજેરા દંપતીએ બે હજારની નોટોના કાળાધોળા કરવા શિક્ષકોને લાઈનમાં ઉભા રાખેલા એવું પણ શિક્ષકોએ જણાવ્યું છે. કેટલાય કર્મચારીઓના પગાર ચાઉં કરી ચૂક્યા છે. આ સિવાય ગજેરા દંપતી એલેન સાથે મળી ડમી વિદ્યાર્થીઓ અને ડમી પ્રિન્સિપાલ રાખી મોટા પ્રમાણમાં ગેરરીતિ આચારી રહ્યા છે. જો કોઈ શિક્ષક આ મામલે અવાજ ઉઠાવે તો તેમને કોઈ જ જાણ કર્યા વિના કે નોટિસ પિરિયડ આપ્યા વિના રાતોરાત સ્કૂલમાંથી છૂટા કરી દેવામાં આવે છે અને તેમને ડોક્યુમેન્ટ સહિત સેલેરી પણ આપવામાં આવતી નથી. આમ, ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપરાંત શિક્ષકોને પણ ગજેરા દંપતીનો કડવો અનુભવ થયો છે.
વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો
ટૂંક સમયમાં તૃપ્તિ – મહેન્દ્ર ગજેરા અને ક્રિષ્ના સ્કૂલ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજશે
એવું કહેવાય છે કે, પડે છે ત્યારે સઘળું પડે છે. ક્રિષ્ના સ્કૂલના તૃપ્તિ મહેન્દ્ર ગજેરાના બનાવટ પરથી હવે પડદો ઉઠવાની તૈયારીમાં છે, તેમના જૂઠ અને ચાલાકી પર ઉભું કરેલું સામ્રાજ્ય ડગમગીને પડવા લાગ્યું છે. શૈક્ષણિક જગતમાં ગજેરા દંપતીને હદથી વધુ ગેરરીતિ આચારી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને છેતરવાનું ભારે પડી રહ્યું છે. ભ્રામક જાહેરાત, ડમી વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલ સાથે અપૂરતા સ્ટાફ પાસે કરાવવામાં આવતા અયોગ્ય કાર્યો અને ગેરવહીવટ મામલે હવે ક્રિષ્ના સ્કૂલ – તૃપ્તિ મહેન્દ્ર ગજેરા વિરૂદ્ધ. નિર્ભયતાથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો એક મંચ પર આવીને પ્રેસ કોંફ્રેન્સ યોજવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં મોટા ધડાકાભડાકા થવાના એંધાણ છે. ક્રિષ્ના સ્કૂલ અને તેમના સંચાલકોનો ભોગ વધુ ન કોઈ બને તે માટે વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા કરવામાં આવનાર આ પ્રેસ કોન્ફરન્સ શૈક્ષણિક જગતમાં એક મિશાલ બનશે . અને બીજા હજારો વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શિક્ષણના નામે છેતરપિંડી આચરનારાઓથી બચાવશે.