મુંબઈ-ગુજરાત પોલીસની 20 ટીમનું ઓપરેશન
વેપારીના 12 વર્ષના બાળકને મૂળ સુરતના અપહરણકારોએ ઉઠાવ્યો હતો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દોઢ કરોડની ખંડણી માટે મુંબઈના વેપારીના 12 વર્ષના બાળકનું અપહરણ કરાયુ હતું તેને ગુજરાતમાંથી મુક્ત કરાવવામાં આવ્યો હતો. સળંગ 74 કલાકના ફિલ્મી સ્ટાઈલના ઓપરેશન બાદ મુંબઈ અને ગુજરાત પોલીસની ટીમોએ બાળકને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવ્યો હતો અને 3 મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે ડોંબીવલીમાં રહેતો 12 વર્ષનો બાળક રૂદ્ર ઝા ગત 9મીએ સવારે આઠ વાગ્યે ટ્યુશનમાં જવા ઘેરથી નીકળ્યો હતો. દસ વાગ્યે પરત આવ્યો ન હતો તે દરમ્યાન દોઢ કરોડની ખંડણી માટે તેમના પુત્રનું અપહરણ કરાયાનો અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો. બાળકના પિતા એવા રણજીત ઝાએ તુર્ત પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ તુર્ત એકશનમાં આવી ગઈ હતી. 300 જેટલા જવાનોને સામેલ કરીને 20 ટીમો બનાવવામાં આવી હતી. બાળકને સહી સલામત છોડાવવા ગુજરાત પોલીસને સાથે રાખવામાં આવી હતી. સંવેદનશીલ ઘટના હોવાથી અત્યંત ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.
અપહરણકારોએ ખંડણી માટેનો ફોન બાળક પાસે જ કરાવડાવ્યો હતો અને પોતાનું અપહરણ થયાનુ કહ્યુ હતું. એકશનમાં આવેલી પોલીસે સીસીટીવી ફુટેજના સહારો લીધો હતો. જે કારમાં બાળકને ઉપાડી જવાયો તેની ઓળખ મળી હતી. આ કાર ડોમ્બીવલીથી બદલાપુર, ખડવાલી તથા નાસિક ગયાનુ માલુમ પડયુ હતું. પોલીસથી તથા સીસીટીવી કેમેરાથી બચવા કારને ગામડાઓમાંથી પસાર કરાવવામાં આવી હતી અને નંબરપ્લેટ પણ બદલાવી દેવામાં આવી હતી. 10મીએ અપહરણકારોએ દોઢ કરોડ ચુકવવા 3 કલાકની મહેતલ આપી હતી. અન્યથા બાળકની હત્યાની ધમકી આપી હતી.
પોલીસે તાત્કાલીક બાતમી આપનાર માટે 50000નુ ઈનામ જાહેર કર્યુ હતું. આ દરમ્યાન અપહરણકારોનો ફોન ટ્રેસ થઈ ગયો હતો અને લોકેશન ગુજરાતમાં હોવાનુ ખુલતા અમદાવાદ-મુંબઈ રૂટ પર તપાસ કેન્દ્રીત કરવામાં આવી હતી.