40 વર્ષમાં ગુજરાતની 700થી વધુ KMની દરિયાઈ પટ્ટીનું ધોવાણ
સંશોધન રિપોર્ટમાં ચોંકાવનારા તારણો 45.8% પ્રભાવિત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
આબોહવા પરિવર્તનથી તાપમાનમાં વૃધ્ધિ સહીતના ચોંકાવનારા કુદરતી ફેરફાર થઈ જ રહ્યા છે. ત્યારે હવે ગુજરાતના 703.6 કીમીનાં દરીયાકાંઠાનું પણ ઝડપથી ધોવાણ થઈ રહ્યાનો ખુલાસો થયો છે. છેલ્લા 40 વર્ષનાં અભ્યાસનાં આધારે તૈયાર કરાયેલા રીપોર્ટમાં એવુ બહાર આવ્યું છે કે ખંભાતનાં અખાતથી કરવાના આયાત તથા સૌરાષ્ટ્રનાં દરીયાકાંઠાથી દક્ષિણ ગુજરાતના સમુદ્ર કિનારાનું ખૂબ ઝડપથી ધોવાણ થઈ રહ્યું છે. રાજયના 16માંથી 10 દરીયાઈ જીલ્લાઓનાં સમુદ્ર કિનારા ધોવાણનો શિકાર બન્યા છે અને તેનાંથી રાજયની 45.8 ટકાની દરિયાઈ પટ્ટી પ્રભાવીત બની છે. એટલુ જ નહિં દસ લાખની વસ્તી ધરાવતાં 549 ગામડાઓ અસરગ્રસ્ત બન્યા છે. અમદાવાદ સુરત તથા ભરૂચ જેવા જીલ્લાઓનાં દરીયાકાંઠામાં 30 મીટરનું ધોવાણ છે અને તે પાછળનું કારણ દરિયાઈ સપાટીનું વધતુ તાપમાન જવાબદાર છે. ખંભાતનાં અખાતની દરીયાઈ પટ્ટીમાં મહી વિસ્તારની સમુદ્ર પટ્ટી 113.9 મીટરથી વધીને 831.4 મીટર થઈ છે.વાર્ષિક ધોરણે સરેરાશ 39.76 મીટરનો વધારો થઈ રહ્યો છે.
ભાસ્કરાચાર્ય નેશનલ ઈન્સ્ટીટયુટ ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જીયો ઈન્ફોર્મેટીકસનાં અભ્યાસ રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 13 જીલ્લા અને 35 તાલૂકાને લાગુ પડતો 1617 કિલોમીટરનો દરીયા કિનારો દેશનો સૌથી લાંબો છે. કચ્છની દરિયાઈ પટ્ટીમાં સૌથી વધુ ધોવાણ છે. બીજા ક્રમે જામનગર તથા ત્યારબાદ ભરૂચ અને વલસાડ છે. 1617 કીમીની દરીયાઈ પટ્ટીમાંથી 703.6 કીમીનું ધોવાણ થઈ ગયુ છે.
દક્ષિણ ગુજરાતમાં 83.06 ટકા દરીયાઈ પટ્ટીનું ધોવાણ થઈ રહ્યું છે સુરતના દાંડીથી વલસાડના ઉંમરગામ સુધી આ ફેરફાર છે. 1978 થી 2020 સુધીનાં સેટેલાઈટ ડેટાના વિશ્ર્લેષણના આધારે તૈયાર કરાયેલા આ રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે કચ્છ અને જામનગરની દરીયાઈ પટ્ટીમાં સૌથી મોટુ ધોવાણ છે.કચ્છમાં 130 મીટર તથા જામનગરમાં 30 મીટર દરીયો ધોવાયો છે.
દરીયાઈ પટ્ટીના વધતા ધોવાણ માટે સમુદ્રી સપાટીના વધતા તાપમાનને જવાબદાર ગણાવવામાં આવે છે. 1860 થી 2020 સુધીના ડેટા એવુ સુચવે છે કે કચ્છ, ખંભાતનાં આયાત તથા સૌરાષ્ટ્રની સમુદ્રી સપાટીનાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ખંભાતનાં અખાતની સમુદ્રની સપાટીનું તાપમાન સૌથી વધુ 1.5 ડીગ્રી વધ્યુ છે સૌરાષ્ટ્રનાં દરીયાકાંઠાનાં તાપમાનમાં 1 ટકા તથા કચ્છનાં અખાતનાં તાપમાનમાં 0.75 ટકાનો વધારો છે. જામનગર જીલ્લામાં દરીયાપટ્ટીમાં મોટુ ધોવાણ છે. 1978 થી 1998 ની સરખામણીએ 1998 થી 2.50 ગણી ઝડપે ધોવાણ થયુ છે. સુરતમાં આ ઝડપ 1.24 ગણી અને વલસાડની 1.10 ગણી વધી છે.
- Advertisement -
2018ના સંશોધન મુજબ ગુજરાતનો દરિયાકાંઠો 27.6 ટકાના દરે ધોવાય છે
દેશનો સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતને મોટી અસર થઈ રહી છે. મંત્રી અશ્વિનકુમાર ચૌબેએ રાજ્યસભામાં જણાવ્યુ હતું કે 1990થી 2018 દરમિયાન દેશના 6632 કિમી લાંબા દરિયા કિનારાનો અભ્યાસ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના 1945.60 કિમીના દરિયાનો પણ સમાવેશ થાય છે. 2018ના સંશોધન મુજબ ગુજરાતનો દરિયાકાંઠો 27.6 ટકાના દરે ધોવાઈ રહ્યો છે. એટલે કે ગુજરાતના 1945.60 કિમી લાંબા દરિયાકિનારામાંથી 537.5 કિમી વિસ્તારનું ધોવાણ થઈ રહ્યું છે અને 1030.90 કિમી સ્થિર જણાયો છે. જ્યારે 377.20 કિમી વિસ્તારની વૃદ્ધિ થઈ રહી છે જેમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ડભારીમાં 16.40 લાખ ચોમી અને ઐતિહાસિક દાંડી (નવસારી) બીચ પર 69.43 હજાર ચોમી દરિયાનું ધોવાણ થયું છે.
4 વર્ષમાં દરિયો ગામ તરફ આવી રહ્યો છે
ડભારી ગામના સરપંચ જણાવે છે કે ખરેખર દરિયાની સપાટી વધી રહી છે. 4 વર્ષમાં દરિયો ગામ તરફ આવી રહ્યો છે, જે અમારા માટે ચિંતાનો વિષય છે. દરિયાકાંઠે આવેલા ખોડિયાર મંદિરથી પહેલાં દરિયો ઘણો દૂર હતો પરંતુ આજે ભરતી આવે તો મંદિરની દીવાલને દરિયાનાં મોજાં અથડાઈ રહ્યાં છે, જે દરિયાની સપાટી વધી હોવાનો પુરાવો છે.