કોરોના બે વર્ષ મેળા બંધ રહ્યાં હતાં : હવે તંત્રે તૈયારીનો પ્રારંભ કરતા આનંદો
ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાને લઇ આયોજનનો પ્રારંભ
- Advertisement -
1955થી સોમનાથમાં મેળો યોજાય છે : પાંચ દિવસનાં મેળાને લઇ તૈયારીઓ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં ગરવા ગિરનારની ગોદમાં દિવાળી બાદ લીલી પરિક્રમા યોજાય છે. લીલી પરિક્રમામાં લાખોની સંખ્યાં ભાવિકો આવતા હોય છે.આજ સમયે સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાય છે. છેલ્લા બે વર્ષ કોરોનાનો માહોલ હોય બન્ને મેળા યોજાયા ન હતાં. પરંતુ ચાલુ વર્ષે તંત્રએ તૈયારીઓ શરૂ કરતા ભાવિકોમાં આનંદની લાગણી જોવા મળી છે. ગિરનારની લીલી પરિક્રમાને લઇ તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ સાનિધ્યે ચાલુ વર્ષે 5 દિવસીય કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાશે. છેલ્લા 2 વર્ષથી કોરોના કાળ અને નિયંત્રણને કારણે મેળો યોજાયો ન હતો.ટ્રસ્ટના મેનેજરે માહિતી આપતા જણાવ્યું હતું કે,નવરાત્રિના દિવસોમાં જ મેળાના સ્થળની અમારા એન્જિનિયરો અને સ્ટાફ સાથે સ્ટાફ મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કરી સરકારી નીતિનિયમ મુજબ મંજૂરી માંગવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.નવેમ્બર માસની તા.4 થી 8 સુધી મેળો યોજાશે. વધુમાં મેનેજરે જણાવ્યું હતું કે,1955ના વર્ષથી પ્રતિ વર્ષ આ મેળો યોજાય છે.જેમાં વ્યાપારી સ્ટોલ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ચકડોળ, મોતનો કૂવો, વિવિધ રાઇડસ અને ખાનપાનના સ્ટોલ તથા પ્રેરણાદાયક પ્રદર્શનો યોજાય છે. કાર્તિક પૂર્ણિમાની રાત્રે સોમનાથ મહાદેવની મહાપૂજા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાતા હોય છે.સોમનાથ તીર્થધામમાં કાર્તિક પૂર્ણિમાનું અનેરું મહત્વ હોય છે. મંદિરના શિખરે પૂર્ણિમાની મધ્યરાત્રિએ ચંદ્ર એવી રીતે સ્થિત થાય છે કે, જાણે સ્વયં ભગવાન સોમેશ્ર્વર ચંદ્રને મુગટ સ્વરૂપે ધારણ કર્યાં હોય.આ દર્શનનો લ્હાવો ભવિકો લેતા હોય છે.ચાલુ વર્ષે મેળાની જગ્યામાં કેટલોક ભાગ બાઇપાસનાં કપાતમાં આવે છે પરંતુ તેનું નિરીક્ષણ કરી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.
ગિરનારની લીલી પરિક્રમાને લઇ આયોજનની બેઠક મળી
જૂનાગઢ કલેકટર રચિત રાજની અધ્યક્ષતામાં લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે બેઠક મળી હતી. આ બેઠકમાં રોડ રસ્તા, ટ્રાફિક નિયમન, પ્રદૂષણ- સ્વચ્છતા, પીવાના પાણી સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.ગરવા ગિરનારની 36 કિલોમીટરની પરિક્રમાનું આગવું મહત્વ રહેલું છે. તેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે ત્યારે આ ભાવિકોને અસુવિધા ન થાય તે માટે વિસ્તૃત ચર્ચા વિચારણા આ બેઠકમાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના પગલે ગત બે વર્ષ દરમિયાન લીલી પરિક્રમાનું આયોજન થઈ શક્યું ન હતું. આ બેઠકમાં કમિશ્ર્નર રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.જી.પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.