જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાની નદીઓને ઝેરયુક્ત કરનાર સામે વિરોધ
ત્રણ જિલ્લાના ખેડૂતને જાગૃત કરવા ગામડે ગામડે એકત્ર કરી આંદોલન છેડ્યું
- Advertisement -
લોકમાતાઓને ‘ઝેર’ પીવડાવતા સાડી ઉદ્યોગો સામે ધર્મયુદ્ધ કરતા કરશનબાપુ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન નદીઓને જેતપુરના સાડી ઉદ્યોગોએ ‘ગટર’ બનાવી દીધી હોવાના ગંભીર આક્ષેપ સાથે પ્રદૂષણ વિરોધી આંદોલન તેજ બન્યું છે. વંથલીના કોયલી મઠ ખાતે મહાદેવના દર્શન કરી અગ્રણી કરશનબાપુ ભાદરકાએ આ પ્રદૂષણ સામે લડતનું રણશિંગું ફૂંક્યું છે. આ લડતમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો જોડાયા છે, જે સાડી ઉદ્યોગના ઝેરી કેમિકલયુક્ત પાણીથી થતા વિનાશ સામે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. કરશનબાપુએ ખૂબ જ આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જેતપુરના ઉદ્યોગો દ્વારા નદીઓમાં છોડવામાં આવતું આ કેમિકલયુક્ત ઝેર કોઈ સામાન્ય પ્રદૂષણ નથી, પણ એક ‘પરમાણુ બોમ્બ’ સમાન છે. જે રીતે પરમાણુ વિસ્ફોટ બધું જ ભસ્મીભૂત કરી નાખે છે, તેવી જ રીતે આ પ્રદૂષણ પશુધન, જમીનની ફળદ્રુપતા અને માનવ જીવનને ખતમ કરી રહ્યું છે. વધુ કહ્યું કે, આગામી સમયમાં ઝેરી પાણીના કારણે નાની ઉંમરે લોકોના મૃત્યુ થવાની ઘટનાઓ ડરામણી હદે વધશે તેમજ ચામડીના અસાધ્ય રોગો, કેન્સર અને શ્ર્વાસની બીમારીઓ ઘર-ઘરમાં જોવા મળશે અને નદીનું ઝેરી પાણી પીવાથી પશુઓ જીવ ગુમાવી રહ્યા છે, જે ગ્રામીણ અર્થતંત્રને પાયમાલ કરશે અને આ કેમિકલયુક્ત પાણીને કારણે ખેતીલાયક જમીન બંજર જેવી થઈ રહી છે, જેમાં ભવિષ્યમાં કાંઈ પણ ઉગશે નહીં તેવું વાત સાથે ગ્રામ્ય વિસ્તારના લોકોને જાગૃત કરી રહ્યા છે. આ આંદોલનમાં સ્પષ્ટપણે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ પ્રદૂષણ પાછળ રાજકીય નેતાઓની મિલીભગત અને ઉદ્યોગ માલિકોની નિર્દયતા જવાબદાર છે. જે નદીઓને આપણે ‘લોકમાતા’ કહીએ છીએ, તેને આર્થિક લાલચમાં ઉદ્યોગોના માલિકોએ ‘ઝેરી કુંડ’ બનાવી દીધી છે. કરશનબાપુએ ઉદ્યોગોને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું કે, હવે માત્ર બે જ વિકલ્પ છે કાં તો પ્રદૂષણ સદંતર બંધ કરો અથવા ઉદ્યોગોને તાળા મારો. જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના ખેડૂતો અને નાગરિકોને આ લડતમાં જોડાવા હાકલ કરવામાં આવી છે. કરશનબાપુએ જણાવ્યું હતું કે, જો આજે આપણે “મારે શું? મને ક્યાં અસર થાય છે?” એવી માનસિકતા રાખીને બેસી રહીશું, તો આપણું અસ્તિત્વ ટકાવવું મુશ્ર્કેલ બની જશે. આ લડત કોઈ વ્યક્તિગત લડત નથી, પરંતુ ભવિષ્યની પેઢીને બચાવવા માટેનો ‘ધર્મયુદ્ધ’ છે. અગાઉ પણ બાલોટના ગ્રામજનોએ ઉબેણ નદીના કેમિકલયુક્ત પાણીને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. નદીનું પાણી લાલ-કાળું થઈ ગયું છે અને તેમાંથી નીકળતી દુર્ગંધ જીવવું મુશ્ર્કેલ બનાવી રહી છે. ખેડૂતોની પાયમાલી અને લોકોના બગડતા સ્વાસ્થ્યના પુરાવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જેના કારણે હવે જન આંદોલન સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. “આવો લડીએ, અસ્તિત્વ બચાવીએ” ના નારા સાથે શરૂૂ થયેલું આ આંદોલન હવે સમગ્ર સૌરાષ્ટ્રમાં ફેલાઈ રહ્યું છે. જો સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ત્વરિત અને કડક પગલાં લેવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. કરશનબાપુ ભાદરકાએ સંદેશો અપાતા કહ્યું કે, “ખેડૂતો, જાગો! આજે જમીન અને પાણી બચાવશો તો જ આવતીકાલે તમારી પેઢી બચી શકશે. આ પ્રદૂષણ રાક્ષસને રોકવા માટે એકતા જ એકમાત્ર શસ્ત્ર છે.”



