શિક્ષક સંઘના કાર્યક્રમમાં કામચોર મગન આંકોલિયાના મંડળે ભરપૂર વખાણ કર્યાં
કેળવણી નિરીક્ષકની વિઝિટ સમયે ચાલુ પીરિયડે ખુરશી ઢાળીને મોબાઇલમાં રમતા હતાં!
- Advertisement -
મગન આંકોલિયા વિરુદ્ધ કેળવણી નિરીક્ષકે લેખિતમાં શાસનાધિકારીને અનેક રજૂઆત કરી હોવા છતાં કોઇ પગલાં નહીં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી અને પદાધિકારીની સ્વાર્થી નીતિઓને કારણે કેવી રીતે સરકારી શાળામાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે તેના કેટલાક પુરાવાઓ ખાસ-ખબરને મળ્યા છે. ચેરમેન વિક્રમ પુજારા અને શાસનાધિકારી કિરીટ પરમાર પાસે કેળવણી નિરીક્ષક સહિતનાઓ દ્વારા વાંરવાર કેટલાક શિક્ષકોની ગેરશિસ્ત તેમજ ફરજમાં બેદરકારી અંગે ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ પુજારા અને પરમાર ભેદી કારણોસર શિસ્તમાં ન રહેતા તેમજ ફરજમાં બેદરકારી દાખવતા શિક્ષકો વિરુદ્ધ કોઈ પગલાં ભરતા નથી. ચેરમેન અને શાસનાધિકારી દ્વારા શિક્ષકોને મનફાવે તેવી પ્રવૃત્તિ કરવા જાણે છૂટો દૌર અપાયો હોય, પરિણામસ્વરૂપે સમિતિની શાળાઓમાં શિક્ષણનું સ્તર તો તળિયે જ ગયું છે, અહીં બહેનો-દીકરીઓ પણ સલામતી અનુભવી રહી નથી.
બનાવની વિગત અનુસાર શાળા નં. 87ના શિક્ષક મગન આંકોલીયા વિરુદ્ધ કેળવણી નિરીક્ષક દ્વારા છેલ્લા બે મહિનાથી ગેરશિસ્ત અને ફરજમાં સતત બેદરકારી દાખવવા મામલે શિક્ષાત્મક કાર્યવાહી કરવા લેખિતમાં એકથી વધુ વાર અરજી કરવામાં આવી છે. આમ છતાં ચેરમેન અને શાસનાધિકારી મગન આંકોલીયાની ગેરશૈક્ષણિક પ્રવૃત્તિને છાવરી રહ્યા છે. ગત 5 જાન્યુઆરીએ કેળવણી નિરીક્ષકની શાળા નં. 87 મુલાકાત દરમિયાન મગન આંકોલીયા ચાલુ ક્લાસ દરમિયાન લોબીમાં ખુરશી નાખી મોબાઈલમાં મશગુલ હતા. આ સિવાય તેઓ દૈનિક નોંધપોથી નિભાવતા ન હતા. મનફાવે તેવા જવાબ અને ઉશ્કેરણીજનક નિવેદનો આપતા હતા. શિક્ષણ સમિતિની શાળાઓની શાખ બગડે તેવા કૃત્ય કરતા મગનના આવા એક નહીં અનેક પરાક્રમો છે, જેથી કેળવણી નિરીક્ષકે ચેરમેન-શાસનાધિકારીને મગન આંકોલીયાની બેદરકારીથી લઈ ગેરશિસ્તનો વિસ્તૃત અહેવાલ સોંપ્યો હતો.
- Advertisement -
આ અહેવાલ પછી પણ ચેરમેન-શાસનાધિકારી દ્વારા કોઈ તપાસ કે પગલાં ભરવામાં ન આવતા ફરી એકવાર કેળવણી નિરીક્ષકે મગન આંકોલીયા વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરતો પત્ર લખ્યો હતો છતાં મગનની વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં ન આવ્યા. સમગ્ર મામલે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે ગત શનિવારે ચેરમેન વિક્રમ પુજારા અને શાસનાધિકારી કિરીટ પરમારે શિક્ષક સંઘના કાર્યક્રમમાં મગન આંકોલીયાનું જાહેરમાં સન્માન કર્યું. કેળવણી નિરીક્ષકની વારંવાર રજૂઆત પછી મગન પર કડક પગલાં ભરાવવા જોઈએ તેના બદલે તેનું સન્માન કરવામાં આવતા શિક્ષણ સમિતિના કર્મચારીઓનું ભયંકર મનોબળ ઓછું તો થયું જ છે, સાથોસાથ ચેરમેન અને શાસનાધિકારીની ભૂમિકા પર સવાલ ઉઠ્યા છે.
મગનને અગાઉ પણ ફરજ મોકૂફ કરાયેલો, હજુ કહે છે: હું કોઈ સૂચનાનું પાલન નહીં કરું
આજથી દસ વર્ષ અગાઉ શિક્ષણ સમિતિના તત્કાલીન ચેરમેન તેમજ એ જ સમિતિના સભ્ય વિક્રમ પુજારા દ્વારા મગન આંકોલીયા પર સસ્પેન્શન સુધીના પગલાં ભરવામાં આવ્યા હતા. હવે દસ વર્ષ પહેલા શિક્ષણ સમિતિના સભ્ય રહી ચૂકેલા અને હાલમાં ચેરમેન બનેલા પૂજારાએ બે દિવસ અગાઉ મગન આંકોલીયાનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે જાહેરમાં સન્માન કર્યું છે. આ એ જ મગન આંકોલીયા છે જે પોતાની ગેર શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે. કેળવણી નિરીક્ષક સહિતનાઓ મગન વિરુદ્ધ અનેક લેખિત-મૌખિત ફરિયાદ કરી ચૂક્યા છે. છતાં આ મગન સુધારવાનું નામ જ લેતો નથી. તોફાની વિદ્યાર્થીઓને પણ શરમાવે તેવા તેના કારનામા છે. ચેરમેન અને શાસનાધિકારી તરફથી મનફાવે તેવું વર્તન કરવાનો જાણે તેને પીળો પરવાનો હાંસલ હોય તેમ તે કહે છે કે, હું એકપણ સૂચનાનું પાલન નહીં જ કરું અને બીજા શિક્ષકોએ પણ કોઈ સૂચનાનું પાલન ન કરવું, કોઈ કશી કાર્યવાહી નહીં કરી શકે! મગનના આવા વર્તનથી શિક્ષકોમાં પણ સવાલ ઉઠ્યા છે કે, આખરે પુજારા અને પરમારની કઈ દુ:ખતી નસ મગન પાસે છે કે તેઓ મગનને સજા કરવાની જગ્યાએ સન્માન કરી રહ્યા છે.