દેશના નવા CJI તરીકે જસ્ટિસ સૂર્યંકાતે શપથ લઈ લીધા છે. તેમને રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યા હતા. તેઓ 15 મહિના સુધી આ પદે રહેશે. જ્યારે જસ્ટિસ ગવઇ હવે CJI પદેથી નિવૃત્ત થઈ ગયા છે
જસ્ટિસ સૂર્યકાંતે આજે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ સૂર્યકાંતને પદના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ સૂર્યકાન્ત જસ્ટિસ બીઆર ગવઈના સ્થાને બન્યા છે, જેમણે ગઈ કાલે પદ છોડ્યું હતું.
- Advertisement -
પીએમ મોદી સહિતના દિગ્ગજો હાજર રહ્યા
ઉલ્લેખનીય છે કે આ શપથ સમારોહ ઐતિહાસિક રહ્યો હતો કેમ કે જસ્ટિસ સૂર્યકાંતના શપથ સમારોહમાં સાત દેશના જજો સામેલ થયા હતા. આ સાથે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી સહિત દિગ્ગજ નેતાઓ અને ભારતના રાષ્ટ્રપતિ મુર્મૂ પણ હાજર રહ્યા હતા.
કોણ છે નવા CJI
- Advertisement -
નવા CJI સૂર્યકાંતનો જન્મ 10 ફેબ્રુઆરી, 1962ના રોજ હરિયાણાના હિસાર જિલ્લામાં થયો હતો. તેમનો પરિવાર મધ્યમ વર્ગનો પરિવાર હતો. ત્યાંથી જ તેમણે કાયદા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને વકીલ તરીકેની કારકિર્દીની શરુઆત કરી. ત્યાંથી જ, ન્યાયાધીશ સૂર્યકાંત દેશના સર્વોચ્ચ ન્યાયિક પદ પર પહોંચ્યા છે. તેઓ 2011માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી કાયદાના માસ્ટરમાં “પ્રથમ વર્ગમાં પ્રથમ” ક્રમ મેળવવાનું ગૌરવ પણ ધરાવે છે.
જસ્ટિસ સૂર્યકાંતને આ વર્ષની 30 ઑક્ટોબરે આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ આ પદ પર લગભગ 15 મહિના સુધી સેવા આપશે. તેઓ 9 ફેબ્રુઆરી, 2027ના રોજ 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થશે. તેમણે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અનેક નોંધપાત્ર ચુકાદાઓ આપ્યા હતા. જસ્ટિસ સૂર્યકાંતને 5 ઑક્ટોબર, 2018ના રોજ હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
તેમણે આપેલા મહત્ત્વપૂર્ણ ચુકાદા
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકેનો તેમનો કાર્યકાળ કલમ 370 નાબૂદ કરવા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને નાગરિકતાના અધિકારો અંગેના તેમના નિર્ણયો માટે જાણીતો છે. જસ્ટિસ સૂર્યકાંત તે બેન્ચનો ભાગ હતા જેણે તાજેતરમાં રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો સાથે વ્યવહાર કરવામાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની સત્તાઓ અંગે રાષ્ટ્રપતિની સલાહ અરજીની સુનાવણી કરી હતી. આ નિર્ણયની આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને તેની તમામ રાજ્યો પર અસર પડી શકે છે. તેઓ તે બેન્ચનો ભાગ હતા જેણે વસાહતી યુગના રાજદ્રોહ કાયદા પર રોક લગાવી હતી અને નિર્દેશ આપ્યો હતો કે સરકાર તેની સમીક્ષા ન કરે ત્યાં સુધી તેના હેઠળ કોઈ નવી FIR નોંધવામાં આવશે નહીં. જસ્ટિસ સૂર્યકાંતે ચૂંટણી પંચને બિહારમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં આવેલા 65 લાખ મતદારોની વિગતો જાહેર કરવા પણ કહ્યું હતું.




