ગિરનાર નેશનલ આરોહણ-અવરોહણ સ્પર્ધા તા.5 ફેબ્રુઆરીના યોજાશે
જૂનાગઢ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જૂનાગઢમાં 37મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી તા.1 જાન્યુઆરી-2023 અને 15મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા.5 ફેબ્રુઆરી-2023ના રોજ યોજાશે.
દર વર્ષે રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે જૂનાગઢ ખાતે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવામાં આવે છે. 37મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં રાજ્યભરમાંથી કુલ 1,457 સ્પર્ધકોનું તા.12 ડિસેમ્બર અંતિમ તારિખ સુધીમાં રજિસ્ટ્રેશન થયું છે.
જેમાં સિનિયર ભાઇઓ 544, જુનિયર ભાઇઓ 489, સિનિયર બહેનો 233, જુનિયર બહેનો 191 સહિત સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લેશે.
વધુમાં આગામી દિવસોમાં ફોર્મ ચકાસણી અંતે સ્પર્ધકોની ફાઇનલ યાદી બહાર પાડવામાં આવશે. રાજ્યના સાહસિક યુવક-યુવતીઓ માટે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન જૂનાગઢ ગિરનાર ખાતે થશે. આ સ્પર્ધાના સુચારું આયોજન અંગે જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે અધિક કલેક્ટરશ્રી એલ.બી.બાંભણીયાની અધ્યક્ષતામાં આરોહણ-અવરોહણ સ્પર્ધાના સુચારૂ આયોજન અને સંચાલન અંગે બેઠક યોજાઇ હતી. બેઠકમાં સ્પર્ધાની તારીખ, વિભાગો, સ્પર્ધા અંતર અને સમય સહિતની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્પર્ધા માટે અધિકારીશ્રીઓના અધ્યક્ષસ્થાને ઉદ્ધાટન-ઇનામ વિતરણ સમિતિ, પ્રચાર-પ્રસાર અને સંપર્ક સમિતિ, પરિણામ સમિતિ, નિવાસ અને કાર્યલય સમિતિ, મેડિકલ અને ભોજન સમિતિની રચના કરવામાં આવી હતી.
જૂનાગઢ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા તા.1 જાન્યુઆરીએ યોજાશે
