જૂનાગઢમાં ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન દ્વારા સહકારી ક્ષેત્રનાં મહાનુભાવોનો સન્માન સમારોહ યોજાયો
ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના અભિયાનને સાર્થક કરવા ગુજરાતનું સહકારી માળખું પાયામાં છે. સહકારી માળખાના વિકાસ અને મજબૂતીકરણમાં પાયાના કાર્યકરોનું યોગદાન મહત્વનું છે. સહકારી ક્ષેત્રના વિસ્તૃતિકરણમાં મહત્વનું યોગદાન આપીને રાષ્ટ્રીય સ્તરે સ્થાન પામેલા સહકારી ક્ષેત્રના આગેવાનોનો ઉપલબ્ધિ અભિવાદન સમારોહ જૂનાગઢમાં ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા કૃષિ યુનિ.ના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.
- Advertisement -
જૂનાગઢના સેવાભાવી અગ્રણી તબીબ ડો.ડી.પી ચીખલીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સમારોહમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે અને અધ્યક્ષ સ્થાને નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે નિયુક્ત થયેલા એન. સી. યુ. આઈ- ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર કો ઓપ બેંક રાષ્ટ્રીય ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા તેમજ ગુજ્કો માસોલના વાઈસ ચેરમેન બીપીનભાઈ પટેલ (ગોતા)નું કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા અને નવસારીના સાંસદ સી.આર.પાટીલની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ઉદ્ઘાટક કેન્દ્રીય પશુપાલન મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે , પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે. આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે,સરકાર અને સહકાર એમ સંયુક્ત પ્રયાસોથી ગામડાનો વિકાસ થયો છે. આજે અમુલ સહિત ગુજરાતની ડેરીઓનું દૂધ દિલ્હી અને ગોવામાં તેની રાહ જોવાય છે.
- Advertisement -
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં સહકારી ક્ષેત્રનો વિકાસ તેજ ગતિએ થઈ રહ્યો છે. આ સાથે જિલ્લાના સહકારી ક્ષેત્રના વરિષ્ઠ અગ્રણીઓ જેમાં 100 વર્ષથી વધુ વયના પીઢ વડીલ પૂર્વ ધારાસભ્ય રત્ના બાપા ઠુંમર તેમજ ભીખાભાઈ ગજેરા, જેઠાભાઈ પાનેરા, લક્ષ્મણભાઈ યાદવ, જસાભાઇ બારડ, રતિભાઈ સાવલિયા, દેવજીભાઈ, ગોવિંદભાઈ સહિતના આગેવાનોનુ સન્માન કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં ડોળીવાળાઓના જીવન પર આધારિત ડો.ડી.પી .ચીખલીયા લીખિત પુસ્તકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. સી.આર. પાટીલની પુસ્તકોથી જ્ઞાન તુલા કરવામાં આવી હતી. આ પુસ્તકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓના વાંચન માટે ડીસ્ટ્રીક લાઇબેરીને આપવામાં આવશે.