રાજકોટ: સાહિત્ય ક્ષેત્રના નોબેલ પ્રાઈઝ ગણાતા જ્ઞાનપીઠ એવોર્ડના ૧૯૬૮ના વિજેતા એવા ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત કવિ ઉમાશંકર જોષીની જન્મજયંતિ કોટડાસાંગાણી ખાતે સાહિત્યસભર વાતાવરણમાં ઉજવવામાં આવી હતી.
ગુજરાત સરકાર સંચાલિત ઠાકોર મૂળવાજી વિનયન કોલેજ, કોટડાસાંગાણીના ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ દ્વારા ૨૧ જુલાઇના રોજ ઉમાશંકર જોષીની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી આ ઉજવણી પ્રસંગે સેમેસ્ટર-૩ ના વિદ્યાર્થી પટોડીયા હિમાંશુએ ઉમાશંકર જોશીના જીવન વિશેનું વક્તવ્ય રજૂ કર્યું હતું જ્યારે કવિતા પંડ્યાએ સર્જકના તમામ સાહિત્યસર્જનનો રસાસ્વાદ કરાવ્યો હતો. અલ્પ વાગડિયા, ધ્રુવી કુમરખાણીયા વગેરેએ કવિ ઉમાશંકરની કવિતાઓનો આસ્વાદ કરાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેમેસ્ટર-૫(પાંચ)ના વિદ્યાર્થી દેવાંગ જોશીએ વિશિષ્ટ શૈલીમાં કર્યું હતું. ઉમાશંકર જોશીની સર્જક પ્રતિભાને વિદ્યાર્થીઓએ પોતાના પ્રયત્નો થકી ઉજાગર કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાતી વિષયના પ્રાધ્યાપિકા ડો. સુશીલા ખડાયતા દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમ અંગેનું માર્ગદર્શન આચાર્ય ડો. ગુણવંતરાય વાજાએ પૂરૂં પાડયું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.


