તદ્દન બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા મૌલેશભાઈ સફળ છતાં સરળ ઈન્સાન છે
મૌલેશભાઈ ઉકાણી – મૌલેશ પટેલ. આ નામથી ભાગ્યે કોઈ અજાણ હશે. ફક્ત રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહીં દેશ-વિદેશનાં બિઝનેસ હાઉસમાં આ નામ સતત ગુજતું રહે છે, લોકો આ નામથી માહિતગાર છે. વળી, મૌલેશભાઈ પટેલથી રાજકીય પક્ષોનાં સામાન્ય કાર્યકરથી લઈ દેશનાં પ્રધાનમંત્રી પણ પરિચિત છે. મૌલેશભાઈને બધા ઓળખે, બધા અપનાવે અને બધા આદર આપે છે. કારણ કે, મૌલેશભાઈ પટેલ એટલે ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અભિગમનો ત્રિવેણી સંગમ. સૌને માટે હંમેશા ખડેપગે રહેતું સેવાભાવી વ્યક્તિત્વ. ઉદાર અને નેકદિલ આદમી. તદ્દન બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા મૌલેશભાઈ પટેલ સફળતાને સર કરનાર છતાં સરળ બની રહેનાર ઈન્સાન છે. શાંત અને સૌમ્ય પ્રકૃતિ ધરાવતા મૌલેશભાઈએ પોતાનાં પિતા ડાયાભાઈનાં વિચારબીજ સમી કંપની બાન લેબને આજે હેલ્થ એન્ડ બ્યુટી પ્રોડક્ટ્સ બનાવતી પ્રતિષ્ઠિત કંપનીઓની હરોળ સુધી પહોચાડી છે જે તેમની સક્સેસનું માઈલસ્ટોન છે. આનંદસહ ગૌરવની વાત એ છે કે, મૌલેશભાઈ પટેલની બાન લેબ ટૂંકસમયમાં હોઝીયરી, ક્ધઝયૂમરી સહિતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું પદાર્પણ નોંધાવવા તૈયાર છે. મેક ઈન ઈન્ડિયા મુવમેન્ટને વેગવંતુ બનાવનાર મૌલેશભાઈ પટેલ આવનારા દિવસોમાં અનેક નવી પ્રોડક્ટ સાથે માર્કેટમાં આવી રહ્યા છે. જેમાં હોઝિયરી, સ્ટેશનરી પ્રોડક્ટસ અને પરફ્યુમરી વગેરે જેવા ફિલ્ડનો સમાવેશ થાય છે.
મૌલેશભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. મૌલેશભાઈ પટેલ દર વર્ષે પોતાનો જન્મદિવસ દ્વારકાધીશના ચરણોમાં ઉજવે છે. ત્રણ દિવસ સુધી તેઓ દ્વારકાધીશને ધ્વજા ચડાવે છે. જેમાં પરિવારજનો પણ જોડાય છે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રકૃતિ ધરાવતા મૌલેશભાઈ પટેલ ઈશ્વર પર અખૂટ શ્રધ્ધા અને આસ્થા ધરાવે છે. આ વિશે તેઓ જણાવે છે કે, ‘ઈષ્ટદેવની સાક્ષીએ જ દરેક કામ કરો. જેથી કાર્ય કર્યાનો અહમ નહીં રહે અને કામમાં પણ પ્રામાણીકતા જોવા મળશે.’ 14 ઓકટોબર 1963ના દિવસે જન્મેલા મૌલેશભાઈ પટેલ એટલે પ્રગતિનો પર્યાય. વિવિધ ક્ષેત્રોમાં તેમણે અનેક કીર્તિસ્થંભ સ્થાપ્યા છે. દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં તેમની ગણના થાય છે. તેમણે બાન લેબ્સને એક નવી ઉંચાઈ આપી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની પ્રતિભાના પરચમ લહેરાવ્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, પરિવારજનો તથા શુભેચ્છકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
- Advertisement -
મૌલેશભાઈની કામ કરવાની ધગશ અને ઈચ્છિત પરિણામ મેળવવાની ધીરજ ગજબનાક છે. જેનું જીવતું-જાગતું જાજરમાન દ્રષ્ટાંત ‘બાન લેબ’ છે. સેસા તેલનો ઉપયોગ તો બધા કરતા જ હશે. એ સેસા તેલ બાન લેબની બનાવટ છે. બાન લેબ અનેક આયુર્વેદિક હેર એન્ડ સ્કિનની સંખ્યાબંધ બ્યુટી પ્રોડક્ટ્સનાં ઉત્પાદન અને વેંચાણમાં પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે આ ઉપરાંત કેન્સર, એઈડ્સ, સ્કિન ડીસિસ, ટીબી સહિત પાંચ પ્રોસેસ પેટર્ન કરાવી છે. બાન લેબમાં બનેલી પ્રોડક્ટ્સ દુનિયાના 50થી વધુ દેશોમાં વેચાય છે. આ પ્રોડક્ટ્સ કંપની ઈથિકલ આયુર્વેદ પ્રોડક્ટ્સ જેને ડોક્ટર પ્રીસ્કાઈબ કરી શકે છે. આમ 11 હજાર રૂપિયાની મૂડીથી બાન લેબની શરૂઆત કરનાર મૌલેશભાઈની બાન લેબની કંપનીનું વાર્ષિક ટર્નઓવર આજે હજારો કરોડમાં પહોંચી ગયું છે. વિશ્વનાં તમામ ઘરમાં પહોંચતી બાન લેબને ભારત સરકારની મીનીસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આઉટ સ્ટેન્ડીંગ એક્સપોર્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
પાટીદાર સમાજના અગ્રણી અને વિખ્યાત ઉદ્યોગપતિ મૌલેશભાઈ સામાજીક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી 50 જેટલી વિવિધ સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલા છે. તેઓ સમાજને જણાવે છે કે, ‘હું જે છું તે સમાજ થકી છું, એટલે જે કરું છું તે સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાની સૂક્ષ્મ અને વિનમ્ર કોશિશ માત્ર છે. સમાજની દરેક વ્યક્તિએ સમાજને બનતું યોગદાન આપવું જોઈએ. સમાજને જો ન આપી તો નગુણા કહેવાય.’ ખંત ખુમારી અને ખેલદિલી જેમનાં આગવા લક્ષણ છે એવા મૌલેશભાઈ યુવાધનને સૂચવે છે કે, ‘દરેક કામ કરતો માણસ બળદ છે. ત્રણ પ્રકારના બળદ હોય છે. ઘાંચીનો બળદ, કોશનો બળદ અને ગાડાનો બળદ. ઘાંચીનો બળદ આંખે પાટા બાંધીને ગોળ ગોળ ફરતો રહે છે. કોશનો બળદ સો ફૂટ આગળ જઈને નવ્વાણું ફૂટ પાછો આવતો હોય છે. જ્યારે ગાડાનાં બળદ માટે વિશાળ ધરતી અને મુક્ત ગગન હોય છે. એ બધે જ જઈ શકે છે, દુનિયા જોઈ શકે છે… એટલે આજના યુવાનોએ કેવા પ્રકારનાં બળદ બનવું તે આપમેળે વિચારી આગળ વધવું જોઈએ.’
જીવનમાં ઋજુતા, હકારાત્મક વલણ અને વર્તન તથા વાણીમાં મીઠાશ સાથે સદા ઉત્સાહીપણું દાખવતા મેડીકો-ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ મૌલેશભાઈ જોડે કોઈપણ વ્યક્તિની જ્યારે પહેલી મુલાકાત હોય છે ત્યારે તે ઘણા વર્ષોની મુલાકાત જેવી અંગત સંબંધની ભાવના આપે છે. બાન લેબનું સંચાલન, સતત કામની વ્યસ્તતાની વચ્ચે પણ મળવા આવતા મુલાકાતીઓને એક જ સરખા પ્રેમ, ભાવ અને લાગણીથી પ્રત્યુત્તર પાઠવતા અને મળતાવડા સ્વભાવનાં ધણી મૌલેશભાઈ કબીરજીનાં એક દુહાનું સતત રટણ કરે છે અને તેને જીવન મંત્ર તરીકે સ્વીકારે છે : ‘કબીરા, જબ હમ પૈદા હુએ જગ હસે હમ રોયે, ઐસી કરની કર ચલો, હમ હસે જગ રોયે!. બસ જગત મને એક માનવી તરીકે મૂલવે અને સહ્રદય માનવ તરીકે ઓળખે, એ જ મારી સફળતા છે.’ કોરોનાના કપરા સમયમાં જ્યારે અન્ય કંપનીઓએ આયુવેર્દિક દવામાં પૈસા કમાવાનું વલણ રાખ્યું ત્યારે મૌલેશભાઈ પટેલે કરોડો રૂપિયાના ગિલોય અને મહાસુદર્ષન ટેબલેટ, ગ્રીન ટી, માસ્ક, સેનેટાઈઝર ફ્રીમાં આપ્યા છે. આ સિવાય કોરોનાકાળ દરમિયાન કરોડો રૂપિયાની આર્થિક સહાય જરૂરિયાતમંદ વ્યક્તિઓને કરી છે.
- Advertisement -
મૌલેશભાઈ પટેલની સિદ્ધિઓ પર ઝલક નાખીએ તો તેઓ જગત મંદિર દ્વારકામાં ટ્રસ્ટી તરીકે નીમણુક પામ્યા છે. ઉમિયાધામ ટ્રસ્ટ સિદસરમાં ચેરમેન તરીકે તેમની વરણી થઈ છે. તેમણે વિકસાવેલી સેસા બ્રાંડ સૌથી વધુ કિંમતે વહેચાઈ છે. સૌથી વધુ એડવાન્સ ટેકસ ભરવા બદલ ભારત સરકાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે. સિદ્ધિ અને પ્રતિભાથી છલોછલ બાન લેબનાં મુખિયા મૌલેશભાઈ પાસેથી દરેક ક્ષેત્રનાં નાના-મોટા વ્યક્તિને કંઈકને કંઈક શીખવા-સમજવા મળી રહે છે. તેમનાં બે પુસ્તકો અણમોલ જિંદગી ભાગ-1 અને ભાગ-2માં જીવન જીવવા તેમજ સફળતાનાં રહસ્યો આપવામાં આવ્યા છે. જે દરેક વ્યક્તિએ અચૂક વાંચવા અને જીવનમાં ઉતારવા જોઈએ. મૌલેશભાઈ પટેલની એ મહાનતા છે કે તેઓ સંચાલન અને સફળતાનું જ્ઞાન આપતી હરતી-ફરતી યુનિવસિર્ટી હોવા છતાં ‘ડાઉન ટુ અર્થ એન્ડ ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડિંગ’ પર્સનાલિટી ધરાવે છે. મૌલેશભાઈ પટેલ એટલે મજાના અને મળવા જેવા માણસ. તેઓ અજાતશત્રુ છે. સૌરાષ્ટ્રના ભામાશા તરીકેની ઓળખ ધરાવે છે. સીધુ-સાદુ નિરાભીમાની વ્યકિતત્વ છે, જેમના હોઠ ઉપર સદાય જય દ્વારકાધીશનું નામ, મુખ ઉપર સદાય સ્મિત છે, જેમને મળવાથી એક નવી ઉર્જા મળે છે એવા ધરતીપુત્ર મૌલેશભાઈ રાજકોટ-સૌરાષ્ટ્રનું ગૌરવ છે. ઉધોગઋષિ મૌલેશભાઈ માટે એવું જરૂર કહી શકાય – મંઝિલ ઉન્હી કો મિલતી હૈ, જીનકે સપનો મેં જાન હોતી હૈ. મૌલેશભાઈ પટેલને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ..



