અમેરિકાનાં દબાણથી ઈઝરાયેલ યુદ્ધ રોકવા તૈયાર થયું
ખાસ-ખબર ન્યૂઝ તેલ અવીવ, તા.9
- Advertisement -
ઈઝરાયલે ગાઝાપટ્ટીમાંથી સૈનિકો પાછા બોલાવાના લીધેલા નિર્ણય પછી ઈદ પહેલાં જ કે ઈદના દિવસથી પશ્ર્ચિમ એશિયામાં મીઠાશ પ્રવર્તવાની સંભાવના દેખાઈ રહી છે. આ યુદ્ધમાં 6 મહિના વીતી ગયા છે, ત્યારે ઈઝરાયલે અચાનક જ દક્ષિણ ગાઝાપટ્ટીમાંથી સૈનિકો પાછા ખેંચવા નિર્ણય લીધો છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી થોમાવ ગેલન્ટે આ માહિતી આપતાં તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે રાફામાં હમાસ હુમલો કરી પણ શકે તેમ છે. તેવામાં તે માટે તેમજ ભવિષ્યની દ્રષ્ટિએ પણ વધુ તૈયારીઓ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે આશાનું એક કિરણ તેથી પણ પ્રસર્યું છે કે ઈઝરાયલ અને હમાસ બંનેએ પોતપોતાનાં પ્રતિનિધિ મંડળો કેરો મોકલ્યાં છે, જેથી નવા દોરથી મંત્રણા થઈ શકે.
આ ઉપરથી તેમ પણ લાગે છે કે ઈદના દિવસે પશ્ર્ચિમ એશિયામાં મીઠાશ પ્રવર્તી રહેવા સંભવ છે. વાસ્તવમાં ગત વર્ષના ઓક્ટોબરની 7મીએ હમાસે દક્ષિણ ઈઝરાયલ ઉપર ભીષણ હુમલો કર્યો હતો. તેમાં આશરે 1200 લોકોનાં મૃત્યુ થયા હતા અને 250 જેટલાને બંધક બનાવવામાં આવ્યા હતા. તેમાં મોટેભાગે યહૂદી યુવતીઓ જ હતી. આ પછી ધૂંધવાયેલા ઈઝરાયલે ગાઝાપટ્ટી તેમજ વેસ્ટ બેન્કના દક્ષિણ ભાગ ઉપર પ્રચંડ હુમલા શરૂ કરી દીધા જેમાં હમાસ આતંકીઓ સહિત આશરે 13 હજારના મોત થયા છે. તેમાં સૌથી ભીષણ હુમલો ખાન યુનિસ શહેરમાં થયો હતો. બેન્જામીન નેતન્યાહૂની સરકારે સૈનિકો પાછા બોલાવવાની શરૂઆત કરતાં પેલેસ્ટાઈનીઓ હવે ખાન-યુનિસમાં પાછા ફરી રહ્યા છે. હજી સુધી એ શહેરથી થોડે દૂર રહેલાં શેલ્ટર્સમાંથી લોકો પોતાના શહેરમાં જઈ રહ્યા છે, પરંતુ સમગ્ર શહેર ખંડેર બની ગયું છે.