ફરાળી ખાખરા, ફરાળી પીઝા, ફરાળી ભાખરી જેવી વાનગીઓનું ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કેમ થતું નથી?
ફૂડ તંત્ર દ્વારા શ્રાવણ માસ પૂરો થવામાં છે ત્યારે હજુ માત્ર 2થી 3 સ્થળેથી જ ફરાળી વાનગીઓના નમૂના લેવાયા !
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
શ્રાવણ માસના પ્રારંભ થયો ત્યારથી રાજકોટમાં ફરાળી વાનગીઓનું વેંચાણ પૂરજોશમાં શરૂ થયું છે. ત્યારે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા કે તેના તાબા કબજાની ફૂડ શાખા શ્રાવણ માસ પુરો થવાને આરે છે ત્યારે પણ ચેકિંગના નામે ઉંઘતી ઝડપાઇ છે. પરિણામે, ફરસાણના ધંધાર્થીઓ ખુલ્લેઆમ ફરાળી વાનગીઓ ભેળસેળ કરી ભાવિકોના ઉપવાસ ભાંગી લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે રમત રમી રહ્યા છે. રાજકોટ મહાપાલિકાની ફૂડ શાખામાં નોંધાયેલા ફરસાણના વેપારીઓ ઉપરાંત શ્રાવણ માસ, ગણેશ મહોત્સવ અને નવરાત્રી તહેવાર દરમિયાન શેરી-ગલીઓમાં પણ ફરાળી વાનગીઓના હાટડા શરૂ થઈ જાય છે. પણ આરોગ્ય શાખા અને તેના તાબા કબજા હેઠળની ફૂડ શાખા માટે તહેવારો એ નોંધનીય કામગીરી થતી નથી. અલબત્ત ફૂડ શાખાએ ગત અઠવાડિયે આંગળીના વેઢે ગણી શકાય એમ એક બે સ્થળેથી પેટિસ જેવી ફરાળી વાનગીઓના નમુના લીધા છે. પણ ફૂડ શાખામાં નોંધાયેલા ફરસાણના વેપારીઓની સંખ્યાના પ્રમાણમાં આ કામગીરી નગણ્ય જ કહી શકાય તેમ છે.
ફૂડ શાખા માટે ખાણીપીણીના ધંધાર્થીઓનુ ચેકિગ અને ફૂડ લાયસન્સ માટે સુચના આપવાની કામગીરી કરી આત્મ સંતોષ માનવામાં આવે છે. જ્યારે ફરાળી વાનગીઓમાં ભેળસેળ કરનારા ધંધાર્થીઓ સામે આરોગ્ય અધિકારી કે ફૂડ શાખાના અધિકારીઓ આંખ પણ ઉંચી કરી શકતા નથી. આ સામે રાજકિય ચંચૂપાત હોવાની ચર્ચાએ જોર પકડયું છે. બીજી તરફ અગ્નિ કાંડ પછી મહાનગરપાલિકા ભ્રષ્ટાચારની ગંગોત્રી સાબિત થઈ હોય તેમ બદનામ થઈ ગઈ છે. ત્યારે આરોગ્ય અધિકારી કે ફૂડ શાખાના અધિકારીઓ પોતાના હાથ પણ દાઝે એવી કામગીરી કરવા તૈયાર ન હોય તેમ છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ છે. ફરસાણના વેપારીઓ દ્વારા ફરાળી વાનગીઓના બનાવવા દાજીયા તેલનો બેફામ ઉપયોગ થાય છે. વાનગીઓ આપવા પસ્તી અને પ્લાસ્ટિક બેગ વાપરવામાં આવે છે. પણ આરોગ્ય શાખા કે ફૂડ શાખાને ખુલ્લી આંખે આ કશું દેખાતું નથી. ફરસાણના વેપારીઓ જ ફરાળી વાનગીઓ બનાવે છે એવું નથી. બજારમાં હવે ફરાળી પીઝા, ખાખરા કે ફરાળી ભાખરી જેવી વાનગીઓ પણ મળી રહી છે પણ ફૂડ શાખા તેના વિભાગમાં નોંધાયેલા ફરસાણના વેપારીઓનું ચેકિગ પણ કરી શકતી નથી ત્યારે આવી ફરાળી વાનગીઓનુ ઉત્પાદન કરતા ધંધાર્થીઓ સામે તો ક્યાંથી કામગીરી કરી શકે ? જો ચેકિગ કરે તો કોઈ ને કોઈ રીતે રાજકિય ભલામણ આવી જાય અને કામગીરી અટકાવી દેવી પડે તો ભ્રષ્ટાચારથી ખદબદતી મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ શાખા સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપ થાય. આથી અધિકારીઓ કામગીરી કરતા ડરી રહ્યા છે.