ઈરાની એર ડિફેન્સ ફોર્સના કમાન્ડર, બ્રિગેડિયર જનરલ અલીરેઝા સબહફાર્ડે કહ્યું, ‘અમારી એર પાવર મજબૂત છે અને આ કવાયતોએ તેમાં સુધારો કર્યો
હાલમાં પાકિસ્તાન અને ઈરાન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન મોટા સમાચાર સામે આવ્યા છે કે, પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ઈરાને એર ડિફેન્સ ડ્રિલ શરૂ કરી છે. નોંધનિય છે કે, 16 જાન્યુઆરીએ ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડા પર હવાઈ હુમલો કર્યો હતો. ઈસ્લામાબાદના જણાવ્યા અનુસાર આ હુમલામાં તેના બે નાગરિકો (બાળકો) માર્યા ગયા હતા અને ત્રણ મહિલાઓ ઘાયલ થઈ હતી. તેના જવાબમાં પાકિસ્તાને પણ ઈરાનમાં હવાઈ હુમલા કર્યા હતા. 18 જાન્યુઆરીએ દક્ષિણપૂર્વ ઈરાનમાં પાકિસ્તાનના જવાબી હુમલામાં નવ લોકો માર્યા ગયા, જેનાથી પ્રાદેશિક તણાવ વધી ગયો.
- Advertisement -
ઈસ્લામાબાદે ઈરાની રાજદૂતને દેશમાંથી હાંકી કાઢ્યા
પોતાની સરહદ પર હવાઈ હુમલા બાદ ઈસ્લામાબાદે ઈરાની રાજદૂતને દેશમાંથી હાંકી કાઢ્યા હતા અને તેહરાનથી પોતાના રાજદૂતને પરત બોલાવ્યા હતા. હવે ઈરાન તેની હવાઈ સંરક્ષણ કવાયત દરમિયાન વિવિધ મિસાઈલો લોન્ચ કરી રહ્યું છે અને ડ્રોન હુમલાની પ્રેક્ટિસ કરી રહ્યું છે. ફાઈટર જેટ ઉડાન ભરી રહ્યા છે. ઈરાની એર ડિફેન્સ ફોર્સના કમાન્ડર, બ્રિગેડિયર જનરલ અલીરેઝા સબહફાર્ડે કહ્યું, ‘અમારી એર પાવર મજબૂત છે અને આ કવાયતોએ તેમાં સુધારો કર્યો છે. ઈરાનના દુશ્મનોએ આને ચેતવણી તરીકે લેવું જોઈએ. આપણા દેશને કોઈએ ખરાબ નજર ન બતાવવી જોઈએ.
ઈરાન અને પાકિસ્તાન વચ્ચે 900 કિલોમીટરની સરહદ
ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવથી મધ્ય પૂર્વમાં વ્યાપક અસ્થિરતા અંગે ચિંતા વધી છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે પહેલેથી જ યુદ્ધ ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ઈરાન અને પાકિસ્તાન વચ્ચે 900 કિલોમીટરની સરહદ છે. 1988માં 8 વર્ષના ક્રૂર ઈરાન-ઈરાક યુદ્ધના અંત પછી ઈરાની ધરતી પર આ પહેલો મિસાઈલ હુમલો હતો. ઈરાન અને પાકિસ્તાન વચ્ચે તોફાની સંબંધોનો ઈતિહાસ છે, પરંતુ બંનેએ આ સપ્તાહના હુમલાને પગલે તણાવ ઘટાડવાની ઈચ્છા દર્શાવી છે.
વધુ વાંચો: ‘આ મુદ્દે તમામ પક્ષોએ…’, વધતા તણાવ વચ્ચે અમેરિકા કૂદ્યું પાકિસ્તાન-ઇરાનની લડાઇમાં
- Advertisement -
આ તરફ બંને દેશોએ એકબીજાના વિસ્તારમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા બાદ પાકિસ્તાનના ટોચના સૈન્ય અધિકારીઓ સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એકઠા થયા હતા. ઈસ્લામાબાદે શુક્રવારે કહ્યું હતું કે, તે ઈરાન સાથે સ્ટેન્ડઓફ વધારવા માંગતો નથી. ઈરાનના વિદેશ મંત્રાલયે તેના પ્રદેશ પર પાકિસ્તાનના ડ્રોન હુમલાની નિંદા કરી હતી અને તેને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. તહેરાને કહ્યું હતું કે, અમે પાકિસ્તાન સાથે ‘સારા પાડોશી અને ભાઈચારા’ની નીતિનું પાલન કરીએ છીએ. બંને દેશોએ તેમના દુશ્મનોને તેહરાન અને ઈસ્લામાબાદ વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા કરવા દેવા જોઈએ નહીં.