ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે હવે રાજકારણ ગરમાયું છે. વાત જાણે એમ છે કે, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીને આમંત્રણ અપાયું હતું. જો કે કોંગ્રેસ હાઈકમાન્ડે આ આમંત્રણ ઠુકરાવી દેતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. નોંધનિય છે કે, અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કોંગ્રેસે રામમંદિરના આમંત્રણને ઠુકરાવતાં કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ ચાલી રહ્યું છે. વિગતો મુજબ એક બાજુ કોંગ્રેસે રામમંદિર આમંત્રણનો અસ્વિકાર કર્યો છે ત્યારે બીજી બાજુ નેતાઓ પક્ષમાં આંતરિક લોકશાહીના નામે પોતાના જ નેતાઓને નિશાને લઇ રહ્યા છે.
‘રામ આપણા આરાધ્ય દેવ, આવું નિવેદન કાર્યકર્તાઓ માટે નિરાશાજનક’: અંબરીશ ડેર
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેરે સોશિયલ મીડિયા પોસ્ટ લખી રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ ઠુકરાવવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયામાં અંબરીશ ડેરે લખ્યું કે, મર્યાદા પુરષોત્તમ ભગવાન રામ આપણા આરાધ્ય દેવ છે. ભારતભરના અસંખ્ય લોકોની શ્રદ્ધા નવનિર્મિત મંદિર પ્રત્યે વર્ષોથી શ્રધ્ધા જોડાયેલી હોય તે સ્વભાવિક છે. રાષ્ટ્રીય કોંગસના કેટલાક લોકોએ તે ચોક્કસ પ્રકારના નિવેદનથી અંતર જાળવવું જોઈએ અને સાર્વજનિક ભાવનાઓને દિલથી માન આપવું જોઈએ. આવા નિવેદનથી મારા જેવા ગુજરાત કોંગ્રેસના અનેક કાર્યકરો નારાજ છે.
- Advertisement -
રાષ્ટ્રીય કૉંગ્રેસે આવા રાજનૈતિક નિર્ણયોથી દુર રહેવું જોઈતું હતું: અર્જુન મોઢવાડિયા
આ તરફ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા પણ રામમંદિર અંગે હાઇકમાનના નિર્ણયથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી જણાવ્યું કે, ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને આસ્થાની વાત છે. રાષ્ટ્રીય કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું.
પાટણ કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા રામમંદિરના સમર્થનમાં
આ બધાની વચ્ચે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ રામમંદિરના સમર્થનમાં આવ્યા છે. કિરીટ પટેલે ફેસબુક પર જયશ્રી રામ લખીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની પોસ્ટ મૂકી છે. મહત્વનું છે કે, કોંગ્રેસ દ્વારા રામ મંદિરના આમંત્રણનો અસ્વિકાર કરાયો છે ત્યારે હાઇકમાનના નિર્ણય સામે ગુજરાતના અનેક કોંગ્રેસ નેતાઓએ વિરોધ દર્શાવ્યો છે. આ તરફ કિરીટ પટેલે સ્પષ્ટ નિવેદન આપવાને બદલે રામમંદિર અંગે મૌન પોસ્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કિરીટ પટેલે કોંગ્રેસ પક્ષ છોડવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.
હું જલ્દીથી રામમંદિરે દર્શન કરવા જઇશ: કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલ
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલે ટ્વીટ કરી હાઇકમાનના નિર્ણય સામે આડકતરી રીતે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, હું જલ્દીથી રામમંદિરે દર્શન કરવા જઇશ. રામ મંદિર માટે જો મને નિમંત્રણ મળ્યું હોત તો હું અવશ્ય અયોધ્યા ગયો હોત.
- Advertisement -
BJPની રાજકીય ઇવેન્ટમાં કૉંગ્રેસ નહીં જાય, મંદિર નિર્માણ પૂર્ણ થયા પછી નેતા જશે: શક્તિસિંહ ગોહિલ
ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી: રાજકોટ આવેલા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યામાં રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ભાજપનો ચુંટણીલક્ષી રાજકીય એજન્ડા ગણાવી કોંગ્રેસના સોનિયા ગાંધી અને અધિરરંજન ચૌધરી સહીતના નેતાઓએ રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો અસ્વિકાર કરતા કોંગ્રેસમાં મહાભારત સર્જાયું છે. કોંગ્રેસ રામવિરોધી હોવાની વાતને આ નિર્ણય સમર્થન કરતો હોવાની ભાજપની આક્રમક ટીકા વેઠી રહેલા પક્ષમાં પણ ખુલ્લેઆમ નારાજગીના તેવર જોવા મળ્યા છે. ત્યારે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસમાં કોઈપણ નારાજગી નથી પરંતુ બધા જ નેતા પોતપોતાનો અભિપ્રાય આપી શકે છે. પરંતુ અંતે તો જે હાઈ કમાન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમનો પાલન બધા નેતા ઘરે જ છે.’
ઞઙ કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમાંથી માંડી ગુજરાત કોંગ્રેસના પીઢ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય અમરિશ ડેરે હાઇકમાન્ડના નિર્ણય સામે નારાજગી જાહેર કરી અભિપ્રાય આપ્યો છે.
આજરોજ રાજકોટમાં રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શંકરાચાર્યજી મહારાજ જ્યારે એમ કહેતા હોય કે મંદિરનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ન થઈ શકે ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ કરે તેમા ના જઈ શકાય દર્શન કરવા દરેક કોંગ્રેસી જશે, પરંતુ શંકરાચાર્ય કહેશે કે કામ પૂર્ણ થઈ ગયો છે ત્યારે જશે.
વધુમાં શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા ત્યારે પણ તેઓ દર્શન કરવા ગયા હતા હું પણ એક હિન્દુ છું દર્શન માટે અમે રોજ મંદિરે જઈએ છીએ. ભગવાન ના દર્શન માટે આમંત્રણ ની જરૂર નથી.’