ખાસ-ખબર સંવાદદાતા
વર્ષો સુધી એક જ પક્ષમાં રહ્યા હોય, જે-તે પક્ષની વિચારધારાને સમર્પિત હોવાનો દાવો કરતા હોય, પક્ષ દ્વારા સારો હોદ્દો અપાયો હોય છતાં અંગત સ્વાર્થ-લાભ માટે પક્ષ પલટો કરતા રાજકીય નેતાઓમાં ઈન્દ્રનીલ રાજગુરૂનું નામ મોખરે છે. ચૂંટણી ટાણે પક્ષ તો ઠીક બેઠકો બદલવામાં પણ તેમણે રેકોર્ડ સર્જી દીધો હોય તેઓ પક્ષ પલટુની સાથે બેઠક પલટુ તરીકે પણ ઓળખવા લાગ્યા છે. ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક આમ આદમી પાર્ટી તો ક્યારેક ફરી કોંગ્રેસ એમ વારંવાર પક્ષ પલટો કરવામાં માહેર રાજકોટના ઈન્દ્રનીલ રાજગુરૂ બાહુબલી નેતાની ઓળખ ગુમાવી બાગી નેતા તરીકે ઓળખાવવા લાગ્યા છે. ઈન્દ્રનીલ રાજગુરૂ એવું માને છે કે, જગતમાં પૈસો જ સર્વસ્વ છે અને તેનાંથી બધું જ ખરીદી શકાય છે તેવું વિધાનસભા-68 બેઠકનાં મતદારોમાં ચર્ચાઈ રહ્યું છે. ધન અને મદના નશામાં ધૂત ઈન્દ્રનીલ રાજગુરૂ ગત વિધાનસભા ચૂંટણી અગાઉની ચૂંટણી રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી લડીને જીત્યા હતા. ત્યારબાદ ગત વિધાનસભાની ચૂંટણી તેઓ રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર લડવા જતા રહ્યા હતા જ્યાં તેમની કારમી હાર થઈ હતી.
રાજકોટ પૂર્વ બેઠક પર ધારાસભ્ય તરીકે ઈન્દ્રનીલ રાજગુરૂએ પ્રજાની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું નહતું. ધારાસભ્ય બન્યા બાદ લોકોના કામ કરવામાં અસમર્થ રહ્યા હતા એટલે તેઓ અગાઉથી જ હાર ભાળી રાજકોટ પશ્ચિમમાંથી પૂર્વ બેઠક પર ચૂંટણી લડવા જતા રહ્યા હતા જ્યાં પણ તેમને જનતાનો જાકારો મળ્યો હતો. આ ચૂંટણીમાં ફરી એકવખત ઈન્દ્રનીલ રાજગુરૂ રાજકોટ પૂર્વ બેઠક પર ચૂંટણી લડવા આવી ચૂક્યા છે જ્યાં તેમને જાકારો મળશે એવું જણાય રહ્યું છે.
- Advertisement -
ઈન્દ્રનીલ માને છે કે, જગતમાં પૈસો જ સર્વસ્વ છે અને તેનાંથી બધું જ ખરીદી શકાય છે: 68નાં મતદારોનો મત
અગાઉ પણ ધારાસભ્ય તરીકે ઈન્દ્રનીલ લોકોનો વિશ્ર્વાસ કેળવવામાં નિષ્ફળ રહ્યાં હતાં
વિધાનસભા-68માં કૉંગ્રેસનાં ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરૂની હાર નક્કી
- Advertisement -
ચૂંટણી ટાણે જ રાજકરણમાં સક્રિય થાય છે રાજગુરૂ
વિધાનસભા અને લોકસભા જેવી ચૂંટણીઓ વખતે જ ઈન્દ્રનીલ રાજગુરૂ રાજકારણમાં સક્રિય થાય છે. ચૂંટણીની સિઝન સિવાય તેઓ પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોય છે. જેવી ચૂંટણીઓ નજીક આવે તેવી ઈન્દ્રનીલ રાજગુરૂ કોઈ પાર્ટીમાં એન્ટ્રી કરી મની-મસલ્સના જોરે ટિકિટ મેળવી લ્યે છે. ઈન્દ્રનીલ રાજગુરૂની આ પ્રકારની એન્ટ્રી-એક્ઝિટથી કોંગ્રેસ-આપના કર્મઠ કાર્યકરો પણ નારાજ છે.
આપ હોય કે કોંગ્રેસ ઈન્દ્રનીલની માત્ર એક જ ઈચ્છા: સત્તા અને ખુરશી
ઘડીક કોંગ્રેસમાં તો ઘડીક આમ આદમી પાર્ટીમાં જોડાતા ઈન્દ્રનીલ રાજગુરૂની એક જ ઈચ્છા હોય છે, મોટું પદ અને હોદ્દો મળે. તેઓ કાયમી રાજકારણમાં સત્તા અને ખુરશી મેળવવા માટે જ મથતા રહેતા જોવા મળે છે. ઈન્દ્રનીલ રાજગુરૂએ એક રાજકારણી તરીકે લોકસેવાનું કોઈ મોટું કાર્ય કર્યું હોય તે કોઈના ધ્યાનમાં નથી. ઈન્દ્રનીલ રાજગુરૂ માટે સત્તા એ સેવા માટે નહીં, સ્વાર્થ માટે છે.