ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના સહયોગથી આયોજન
ખેડૂતોને સીધા બજારનો લાભ, નાગરિકોને શુદ્ધ ઓર્ગેનિક ઉત્પાદનો મળશે અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન
- Advertisement -
લોકોને ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરવા માટે અનુરોધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીના હસ્તે પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઈને વિવિધ ઓર્ગેનિક ચીજવસ્તુઓની ખરીદી કરી અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ એક દિવસીય ફાર્મર્સ માર્કેટમાં ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત નોંધાયેલા જસદણ, કોટડાસાંગાણી, જામકંડોરણા સહિતના તાલુકાઓના ગામોમાંથી ખેડૂતો ઓર્ગેનિક ઉત્પાદનના વેચાણ માટે ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોલમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડેલા તાજા શાકભાજી, વિવિધ કઠોળ, ઓર્ગેનિક હળદર, રાય, જીરુ, દેશી ગોળ, સિંગતેલ, ગુલકંદ, આયુર્વેદિક સાબુ, ધૂપ અને માટીના દીવા જેવી વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ થયું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી જમીનની ઉપજાઉ શક્તિ જળવાઈ રહે છે, રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઓછા ઉપયોગથી આરોગ્ય અને પર્યાવરણ બંનેનું સંરક્ષણ થાય છે. આ પ્રકારના ફાર્મર્સ માર્કેટ દ્વારા ખેડૂતોને સીધો ગ્રાહકો સાથે સંપર્ક સાધવાની તક મળે છે, જેથી યોગ્ય ભાવ પણ પ્રાપ્ત થાય છે. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિબેન પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર હસમુખભાઈ વાદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિતભાઈ પટેલ સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મહાનુભાવોએ નાગરિકોને ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ વધારવા અનુરોધ કર્યો હતો અને પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવવા સૌને સહકાર આપવા અપીલ કરી હતી.



