સૌથી વધુ અમદાવાદ, દાહોદ અને સાબરકાંઠામાં, રાજકોટમાં 3437 આખલાનું ખસીકરણ
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકારે રખડતા પશુઓથી નાગરિકોને મુક્તિ આપવા માટે આખલાઓનું ખસીકરણ કરવાનું નક્કી કર્યુ હતુ. આખલાની સંખ્યામાં ઘટાડો કરવા માટે અને આખલામાંથી બળદ બનાવવા માટે આ ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવ્યુ છે. પ્રથમ તબક્કે મોરબી, જૂનાગઢ અને કચ્છ એમ ત્રણ જિલ્લામાં ખસીકરણ કરવાનું શરુ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે કરેલી કામગીરી મુજબ વર્ષ 2022-23માં આખલા અને પાડા મળીને કુલ 91059 પશુઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 89682 આખલાનું ખસીકરણ કરવામાં આવ્યું છે જ્યારે 1377 પાડાનું ખસીકરણ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં આખલાનો ત્રાસ વધારે હોય છે.
- Advertisement -
જેથી અમદાવાદમાં 6961 આખલાનું ખસીકરણ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે ગાંધીનગરમાં 1386, જૂનાગઢ 5007, જામનગર 2055, ભાવનગર 2008, વડોદરા 1561, રાજકોટ 3437, સુરત 5611 આખલાનું ખસીકરણ પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ ખસીકરણ સંખ્યમાં શહેરી વિસ્તાર અને ગ્રામિણ વિસ્તારના પશુઓનો સમાવેશ થાય છે. જો કે, આખલાનું સૌથી વધારે ખસીકરણ અમદાવાદ, દાહોદ અને સાબરકાંઠામાં કરવામાં આવ્યું છે. જ્યારે પાડાનું ખસીકરણની સૌથી વધારે વલસાડ જિલ્લામાં કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં બળદના સ્થાને પાડાને જોતરીને ખેતી કરવામાં આવતી હોવાના કારણથી પણ ત્યાં પાડાનું ખસીકરણ વધારે પ્રમાણમાં થયુ હોઇ શકે છે. રાજ્ય સરકારે રાજ્યમાં 50 હજાર રખડતા આખલાનું ખસીકરણ કરવાની જાહેરાત કરી હતી જેના માટે અલાયદુ બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું. જો કે, અત્યાર સુધી 91 હજાર જેટલા આખલાનું ખસીકરવામાં આવ્યું છે. ખસીકરણ બાદ પશુઓનાં નિભાવ અને સાર સંભારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેના સરકારે 8 મનપા વિસ્તારમા 17 અને ઝોન મળીને કુલ 105 પોન્ડસ કાર્યરત કરવાની જાહેરાત કરી હતી.
રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં પશુઓ દ્વારા લોકો પર થયેલા હુમલાની 2656 ઘટનાઓ બની છે. જેમાં સૌથી વધુ અમદાવાદ, સુરત, વડોદરા, ભાનગર, જૂનાગઢમાં હુમલાની ઘટનાઓ નોંધાઇ છે. રાજ્યમાં જાન્યુઆરી માસથી લઇને જૂન માસ સુધીના રખડતા ઢોર હુમલાની વાત કરીએ તો દર મહિને સરેરાશ 400 જેટલા લોકો પર પશુઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જો કે,શહેર વિકાસ વિભાગ દ્વારા 10 સભ્યની એક કમિટી બનાવી છે. જેમાં આ કમિટીની અત્યાર સુધીમાં 3 બેઠક યોજાઇ ગઇ છે. અગામી સમયમાં આ કમિટી દ્વારા હાઇકોર્ટમાં રખડતા ઢોર બાબતે કેવા કેવા પગલા ભરવામાં આવશે તે બાબતે રિપોર્ટ જમા કરવામાં આવશે.