રાજકોટના લોકોને ઉનાળામાં પાણીની મુશ્કેલી નહીં પડે
જૂન મહિનાનાં અંત સુધી રોજ 20 મિનિટ નિયમિત પાણી અપાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં ઉનાળાની સિઝનનો પ્રારંભ થતાની સાથે જ પાણીની માગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વધતી જતી ગરમી અને પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગત સપ્તાહે જ રાજકોટનાં બંને મુખ્ય જળાશયો આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ઠાલવવાનું શરૂ કરાયું હતું. આ કામગીરી હાલ પણ પુરજોશમાં ચાલું છે. આ બંને ડેમો છલકાઈ જાય ત્યાં સુધી સૌની યોજનાનાં નીર ઠાલવવામાં આવનાર હોય આગામી જૂન મહિનાનાં અંત સુધી લોકોને રોજ 20 મિનિટ નિયમિત પાણી મળી રહેશે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરની પ્રજાને ખાતરી આપતા જણાવ્યું છે કે, ઉનાળામાં લોકોને પાણી અંગેની કોઈ મુશ્કેલી ન પડે તેના માટે અગાઉ જ મનપા દ્વારા રાજ્ય સરકાર પાસે ’સૌની યોજના’ હેઠળ નર્મદાના નીરની માગણી કરવામાં આવી હતી, જેને પગલે અત્યારે આજી અને ન્યારી ડેમમાં નર્મદાના પાણી ઠાલવવા માટે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલ બંને ડેમો 80 ટકાથી વધારે ભરાઈ ચુક્યા છે. અને જ્યાં સુધી બંને ડેમો છલકાઈ ન જાય ત્યાં સુધી કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે. ત્યારે ઉનાળામાં રંગીલા રાજકોટીયનોને પાણીની કોઈ પ્રકારની તકલીફ પડવા દેવામાં આવશે નહીં.
વર્તમાન પરિસ્થિતિ મુજબ, રાજકોટની વસ્તી તેમજ સતત વિસ્તરતા જતા વિસ્તારોને કારણે દરરોજ 20 મિનિટ પાણી વિતરણ કરવામાં આવે છે. ખાસ કરીને માર્ચ મહિનાથી જૂન મહિના સુધીના સમયગાળામાં પાણીની માંગ વધતી હોય છે. આ કપરી પરિસ્થિતિમાં સ્થાનિક જળાશયોમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે અત્યંત આવશ્યક છે. જેને લઈને ગત સપ્તાહથી બંને મુખ્ય જળાશયોમાં પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાથી આગામી દિવસોમાં આ બંને ડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના સચોટ આયોજન અને ’સૌની યોજના’ના સહારે ભર ઉનાળામાં પણ રાજકોટના બંને મુખ્ય જળાશયો છલોછલ જોવા મળશે. આ કામગીરીથી શહેરના જળ સ્ત્રોતો મજબૂત બનશે અને ઉનાળાના આકરા દિવસોમાં પણ નાગરિકોને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. જોકે અમુક વિસ્તારોમાં હાલ પણ ટેન્કરો દ્વારા પાણી વિતરણ થઈ રહ્યું હોવા અંગે કમિશનરે જણાવ્યું કે બંને ડેમમાં પુરતી માત્રામાં જળરાશી હોવાના કારણે સમયસર ટેન્કર દ્વારા પાણી વિતરણ થશે. તેમજ અનેક સોસાયટીઓ અને વિસ્તારોમાં હાલ નવી લાઈનો નાખવાનું કામ ચાલુ હોય ધીમે ધીમે ટેન્કર પ્રથા બંધ કરવામાં આવશે અને મોટા ભાગના વિસ્તારોમાં નળ મારફતે દરેક ઘરે પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.
10 દિવસમાં આજીડેમ ભરાઈ જશે
- Advertisement -
આજી-1 ડેમમાં 9 માર્ચથી નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે. આજી ડેમમાં અત્યાર સુધીમાં 150 એમસીએફટી પાણીનો જથ્થો આવતા હાલ ડેમનું લેવલ 27.13 ફૂટ (800 એમસીએફટી) પર પહોંચી ગયું છે. આજી ડેમની કુલ સપાટી 29 ફૂટની છે અને તેમાં મહત્તમ 917 એમસીએફટી પાણીનો સંગ્રહ થઈ શકે છે. તંત્રના અંદાજ મુજબ, જે ગતિએ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે તે જોતા આગામી 10 દિવસમાં આજીડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે.
અત્યાર સુધીમાં ન્યારી ડેમમાં 180 MCFT પાણીનો જથ્થો ઠલવાઈ ચૂક્યો છે
ન્યારી-1 ડેમમાં 6 માર્ચથી નર્મદાના પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ન્યારી ડેમમાં કુલ 180 એમસીએફટી પાણીનો જથ્થો ઠલવાઈ ચૂક્યો છે. હાલમાં ન્યારી ડેમની જળ સપાટી 21.25 ફૂટ સુધી પહોંચી છે, જે 834 એમસીએફટી જથ્થો સૂચવે છે. ન્યારી ડેમની કુલ ઊંડાઈ 25.09 ફૂટ છે અને તેની કુલ ક્ષમતા 1248 એમસીએફટી જેટલી છે. આમ ન્યારી ડેમ પણ ગણતરીના દિવસોમાં છલકાઇ જશે.



