સમગ્ર મામલે સૌરાષ્ટ્રના ભાજપના ત્રણેક દિગ્ગજ નેતાઓની મુખ્ય ભૂમિકા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દિકરી પાયલ ગોટીનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવતાં પાટીદારો ભાજપ સરકારથી ભારોભાર નારાજ છે. આ પ્રકરણમાં સીટની રચના કરાયા પછીય આ વિવાદ શમ્યો નથી. આ મુદ્દે સરકારે ભારે બદનામી વ્હોરવાનો વારો આવ્યો છે. હકીકતમાં ચર્ચા એવી છેકે, લેટરકાંડ મુદ્દે સરકારને સાણસામાં ફસાવવા ખુદ ભાજપના જ અસંતુષ્ટો પડદા પાછળના અસલી ખેલાડી છે. પાટીદાર દિકરીને ન્યાય લડનાર કોંગ્રેસ તો માત્ર રાજકીય મહોરું જ છે. આમ, ઘર કા ભેદી લંકા ઢાયે જેવી સ્થિતી સર્જાઇ છે.
પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય આપો તેવા મુદ્દે સૌરાષ્ટ્રભરમાં દેખાવો-વિરોધ પ્રદર્શન થઇ ચૂક્યાં છે. હજુય આ મુદ્દો સળગતો રહ્યો છે. અત્યારે કોંગ્રેસમાં મેદાનમાં તો ઉતરી છે ત્યારે આખાય ખેલ પાછળ અસંતુષ્ટો દોરીસંચાર કરી રહ્યાં છે. ચર્ચા છેકે, ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરૂદ્ધ વાયરલ થયેલા પત્ર સાચો છે તે એફએસએલનો રિપોર્ટ કોંગ્રેસના નેતાઓ સુધી કેવી રીતે પહોંચ્યો? કોંગ્રેસના નેતાઓને આ જાણકારી કોણે આપી? કોંગ્રેસના નેતાઓને ભાજપની રજેરજની માહિતી કોણ પહોંચાડે છે? કોંગ્રેસના બંધને અંદરખાને કોણ સમર્થન આપી રહ્યુ છે તે સવાલ ઉઠ્યો છે.
કૌશિક વેકરિયા પોલીસ પાસેથી હપ્તા લે છે એવા અન્ય આરોપો સાબિત કરવા ખુદ ભાજપના અસંતુષ્ટો મેદાને પડ્યાં છે. આ સમગ્ર મામલે સૌરાષ્ટ્રના ભાજપના ત્રણેક દિગ્ગજ નેતાઓની મુખ્ય ભૂમિકા રહી છે.પાયલ ગોટીના બહાને પાટીદારોને સરકાર સામે મેદાને ઉતારી અસંતુષ્ટો રાજકીય બદલો લેવા સક્રિય બન્યાં છે. લેટરકાંડને પગલે સરકાર એટલી હદે હચમચી ઉઠી છેકે, સીટની રચના કરવી પડી છે.
નિર્લિપ્લરાયને તપાસ સોંપવી પડી છે. એક સરપંચ અને ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા પડ્યાં છે. આમ છતાંય પાટીદારોને સંતોષ નથી. સૌરાષ્ટ્રમાં હાલ આ મુદ્દે રાજકીય ઘમાસાણ જામ્યુ છે ત્યારે ખુદ ભાજપ પ્રદેશ નેતાગીરી પણ ડંમેજકંટ્રોલ કરવામાં ઉણી ઉતરી છે. નવા પ્રદેશ પ્રમુખની વરણી થાય, મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યાં સુધી સરકાર અને પક્ષને બદનામી વ્હોરવી પડે તે માટે અસંતુષ્ટોએ આખોય રાજકીય કારસો રચ્યો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યાં છેકે, લેટરકાંડ ધારાસભ્ય કૌશિક વેકરિયા લઇ ડૂબશે. મંત્રીમંડળના વિસ્તરણ થશે તો વેકરિયાને નાયબ દંડક પદ ગુમાવવું પડે તો નવાઇ નહી.
અમરેલી લેટરકાંડમાં પોલીસની કામગીરી પણ શંકાસ્પદ બની રહી છે. મોડી સાંજ પછી મહિલાને પકડી શકાય નહીં,જાહેરમાં સરઘસ કાઢી શકાય નહી તેવા કાયદાથી ખાખી વર્દી અજાણ હોય તે વાત ગળે ઉતરે તેમ નથી. આમ છતાં પાટીદાર દિકરી પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું તે મુદ્દે એવા સવાલ ઉઠ્યાંકે, આ બધુ ગાંધીનગરના ઇશારે થયું કે પછી ભાજપના ધારાસભ્ય કૈાશિક વેકરિયાને રાજી રાખવા પોલીસે આ કરતૂત કર્યું? તે રહસ્ય ઉજાગર થઇ શક્યુ નથી.
- Advertisement -
પાયલ ગોટી, પોલીસ કર્મચારીઓ અને જેલહવાલે થયેલા આરોપીઓનાં નિવેદનો લેતા DIG નિર્લિપ્ત રાય
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લામાં ચકચારી બનેલા નકલી લેટરકાંડ મામલે અમરેલી પોલીસ સામે પાયલ ગોટીને માર મારવા તથા તેણીનું જાહેરમાં સરઘસ કાઢવાના મુદે પાયલ ગોટી દ્વારા પોલીસ સામે આક્ષેપ કરેલ હતા. જેના પગલે પાયલ ગોટીએ રાજ્ય પોલીસ વડાને કરેલ ફરિયાદના મુદે તપાસ કરવા માટે છેલ્લા બે દિવસથી ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલના ડી.આઇ.જી. નિર્લિપ્ત રાય અમરેલી આવ્યા હતા.
અત્રેના સર્કિટ હાઉસ ખાતે તપાસનો ધમધમાટ શરૂ કરેલ હતો. અને સતત બે દિવસ તપાસ બાદ એસ.એમ.સી.ની ટીમ તપાસ પુર્ણ કરી અમરેલીથી રવાના થઇ હતી. તપાસના બીજા દિવસે એસ.એમ.સીની ટીમ દ્વારા આ બનાવના જેલ હવાલે રહેલાં આરોપીનીની પણ પુછપરછ કરવામાં આવ્યાનું જાણવા મળેલ છે.
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલના ડી.આઇ.જી. નિર્લિપ્ત રાય અમરેલી આવ્યા બાદ અમરેલી પોલીસ સામે ફરિયાદ કરનાર પાયલ ગોટીનું નિવેદન અત્રેના સર્કિટ હાઉસ ખાતે નોંધાયું હતું. અને લાંબી પુછપરછ બાદ આ બનાવમાં લાગતા વળગતા પોલીસ કર્મીઓને પણ એક પછી એકના નિવેદન નોંધવામાં આવ્યા હતા.
ગઇકાલે બીજા દિવસે પણ આ કેસમાં લાગતા વળગતા લોકોને એક પછી એકને બોલાવી અને વધુ નિવેદન નોંધવાની કામગીરી આગળ ચાલી હતી. જ્યારે અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલા નકલી લેટરકાંડના મુખ્ય આરોપી હાલ જેલમાં રહેલાં આરોપીના નિવેદન લેવાં માટે જિલ્લા જેલ ખાતે પહોંચ્યા હતા. અને તેમના નિવેદન પણ નોંધ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલના ડી.આઇ.જી. તથા સ્ટાફના લોકો તપાસ પુરી કરી અને અને એસ.એમ.સી.ની ટીમ અમરેલીથી રવાના થઈ હતી. આ તપાસનો રીપોર્ટ રાજ્યના પોલીસ વડાને સુપ્રત કરનાર હોવાનું જાણવા મળેલ છે. ત્યારે અમરેલીમાં છેલ્લા બે દિવસથી ભારે ચકચાર મચી જવા પામી હતી.