હવામાન સાનુકૂળ હોવા છતાં હેલિકોપ્ટર ક્રેશકેમ થયું? તે જાણવા બ્લેકબોક્ષની શોધખોળ થઈ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
હેલિકોપ્ટર ક્રેશ થાય તે પહેલા તેના ચાલકે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી: અકસ્માત કેમ થયો તેની કોઈ માહિતી નથી લાપત્તા બનેલા જવાનને શોધવાના મિશનમાં નેવી પણ જોડાયું નૌકાદળના 4 જહાજો 72 કલાકથી લાપતા જવાનને શોધવા દરિયો ખુંદવા નીકળી પડયા.માંગરોળ પાસેના દરિયામાં 4 જવાનો સાથે રેસ્કયુ કરવા ગયેલા કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર સમુદ્રમાં તૂટી પડવાની ઘટનામાં કોસ્ટગાર્ડ દ્વારા સઘન તપાસ આરંભી દેવામાં આવી છે. આ હેલિકોપ્ટર તૂટી પડયું તે દુર્ઘટના અંગે ચાલકની ભૂલ હતી કે હેલિકોપ્ટર ખરાબ હતું તે દિશામાં તપાસ કરાશે. હેલીકોપ્ટર રેસ્કયુ કરવા ગયું ત્યારે હવામાન સાનૂકુળ હતું તેમ છતાં આ ગમખ્વાર અકસ્માત કેમ થયો તે અંગે માહિતી મેળવવા હેલિકોપ્ટરનું બ્લેકબોક્ષ ગોતવામાં આવી રહ્યું છે. પોરબંદરથી 45 કીમી દુર માંગરોળના દરિયામાં ગત સોમવારની રાત્રીના 11 કલાકે એક હરીલીલા નામની બોટમાં ગંભીર રીતે ઘવાયેલા ખલાસીનું રેસ્કયું કરવા ગયેલું કોસ્ટગાર્ડનું અગઇં હેલીકોપ્ટર તૂટી પડયું હતું અને હેલીકોપ્ટરમાં સવાર કોસ્ટગાર્ડના 2 જવાનો શહિદ થયા હતા, કોસ્ટગાર્ડના ડાઇવરને બચાવી લેવાયો હતો જયારે કે 1 જવાન હજુ પણ લાપતા છે જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
- Advertisement -
ત્યારે આ સમગ્ર અકસ્માતની દુર્ઘટના કેવી રીતે ઘટી તે એક મોટો સવાલ કોસ્ટગાર્ડ સમક્ષ ખડો થયો છે. આ હેલીકોપ્ટર જયારે ઘટના સ્થળે રેસ્કયુ કરવા પહોચ્યું ત્યારે ત્યાં સમુદ્રનું વાતાવરણ સાનુકુળ હતું તેમ છતાં આવી દુર્ઘટના ઘટી તે માટે હેલીકોપ્ટરનો ચાલક જવાબદાર છે કે હેલીકોપ્ટરમાં કોઇ ટેકનીકલ ખામી સર્જાઇ હતી તે દિશામાં કોસ્ટગાર્ડ દ્વારા ધનિષ્ઠ તપાસ હાથ કરાશે. હેલિકોપ્ટર તૂટી પડયું તે પહેલા જ તેમાં સવાર ડ્રાઇવરે રેસ્ક્યુ કરવા માટે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી હતી અને ત્યારબાદ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તેથી બચી ગયેલા ડ્રાઇવરને પણ અકસ્માત કેમ થયો તેની કોઈ માહિતી નથી ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા અકસ્માત સ્થળે દરિયામાંથી હેલિકોપ્ટરનું બ્લેકબોક્ષ શોધવામાં આવી રહ્યું છે. આ બ્લેકબોક્ષ મળે તો આ દુર્ઘટનાની પૂરી માહિતી મળી શકે તેમ છે. પરંતુ હાલ તો કોસ્ટગાર્ડને તૂટી પડેલા હેલિકોપ્ટરના મલબા સ્વરૂપે માત્ર તેની પુછડીનો ભાગ જ મળી આવ્યો છે. માંગરોળ નજીકના દરિયામાં ગત 2 સપ્ટેમ્બર 2024ની રાત્રીના રેસ્કયુ કરવા ગયેલ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર તૂટી પડયું હતું અને તેમાં સવાર 2 જવાનોના મોત થયા જ્યારે 1 જવાનને બચાવી લેવાયો હતો. જોકે દરિયામાં તૂટી પડેલા કોસ્ટગાર્ડના હેલીકોપ્ટરમાં સવાર 1 જવાન રાકેશ રાણા હજુ પણ લાપતા છે તેની હજુ 72 કલાક પછી પણ ભાળ મળી નથી. આથી હવે નેવીના પણ 4 જહાજો તેની શોધખોળમાં જોડાયા છે. લાપતા જવાન અને હેલિકોપ્ટરના અવશેષો શોધવા માટે કોસ્ટ ગાર્ડ અને નૌકાદળે દરિયો ખુંદવાનું શરૂ કરી દીધું છે.