કોઈ કાવતરાં કરતા હશે તો સફળ થશે નહીં, પગ ખેંચવાનું સમાજના અમુક કહેવાતા લોકો બંધ કરે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
લેઉવા પાટીદાર સમાજના બે આગેવાન વચ્ચેનો વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને રાદડિયા વચ્ચેના આ અણબનાવ વચ્ચે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફરી નામ લીધા વિના જ જેમને ખાસ સંદેશ આપવાનો છે તેમને આપી દીધો છે. તેમણે ગત 28 જુલાઈની રાત્રે સુરતમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં હાજરી આપી હતી. આ દરમિયાન જયેશ રાદડિયાએ ફરીવાર ’ટાર્ગેટ’ પર તીર છોડ્યાં છે. પૂર્વ મંત્રી રાદડિયાએ જણાવ્યું હતું કે અમુક લોકોને શું પેટમાં દુખે છે? કોઈને આમાં મજા આવે છે. મેં કહ્યું હતું ને કે સમાજનો મજબૂત આગેવાન હોય તેમને સ્વીકારજો, માયકાંગલાની સમાજને જરૂર નથી. તે પોતે તો તૂટી જશે અને સમાજને પણ તોડી નાખશે. તાકાતવાળો હોય તેને આગળ કરજો. કોઈ પાડી દેવાનાં કાવતરાં કરતા હશે તો તે સફળ થશે નહીં. સુરતમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં હાજરી આપવા આવેલા જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે સુરતના આંગણે મારા પિતાશ્રીની પાંચમી પુણ્યતિથિ અને એ નિમિત્તે જામકંડોરણા-જેતપુર પરિવાર તથા રાદડિયા પરિવાર અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા મહારક્તદાન કેમ્પનું જે ભવ્ય આયોજન કરાયું છે. 28, 29 અને 30 એમ ત્રણ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં આવાં સેવાકીય કાર્યો ચાલી રહ્યાં છે. અંદાજે 11000થી વધુ બોટલ રક્ત એકઠું થાય એ પ્રમાણે આયોજન ચાલી રહ્યું છે. વિઠ્ઠલભાઈ પ્રત્યે જે લાગણી હતી એ અને અત્યારે 5 વર્ષ થયાં છતાં આ સંબંધમાં ઉત્તરોત્તર વધારો થયો છે. એ પ્રમાણેનો માહોલ છે, એ બતાવે છે કે એ સંબંધમાં આપણે દિવસે ને દિવસે વધારો કરી શક્યા. જે પ્રમાણે મારી એન્ટ્રી સમયે તમે પ્રેમ બતાવ્યો એ સુરતના આંગણે જ પ્રેમ મળી શકે છે, કામ કરવાની એ શક્તિ દિવસે ને દિવસે એ અમારામાં કામ કરવાનું બળ પૂરું પાડે છે.
- Advertisement -
રાજનીતિનો માણસ સમાજમાં ન ચાલે અને સમાજનું કામ કરતી હોય એ વ્યક્તિ રાજકારણમાં ન જાય. વિઠ્ઠલભાઈના આ વારસામાં સામાજિક, રાજકીય કે સહકારી ક્ષેત્ર હોય તો એ કામમાં આપણે વધારો કરી શક્યા છીએ. રાજકીય માણસનું કામ માત્ર રાજનીતિનું હોય, પરંતુ રાજનીતિથી પર ઊઠીને આજે ઉલ્લેખ થયો સમાજની વાતનો. બે દિવસ પહેલાં જામનગરમાં કહ્યું હતું કે એનો જવાબ હું સમય આવ્યે આપીશ. કોણે ક્યાં શું કર્યું? ક્યાં કેટલી ખાનદાની હોય, ક્યાં કેટલી વફાદારી હોય, એ ટૂંક સમયમાં સમય આવ્યે મારી બતાવવાની તૈયારી છે. આ વાત કરવામાં અભિમાન ન હોય, અભિમાન કરતો પણ નથી, કારણ કે એ જ સમાજ અને એ જ લોકો ટોચ પર બેસાડી શકે અને નીચે બેસાડી દેવામાં વાર પણ લાગે નહીં. આમ છતાં પણ ક્યાંક અમુક લોકોને શું પેટમાં દુ:ખે છે? કોઈને આમાં મજા આવે છે.’ ‘મેં કહ્યું હતું ને કે સમાજનો મજબૂત આગેવાન હોય તેને સ્વીકારજો, માયકાંગલાની સમાજને જરૂર નથી. એ પોતે તો તૂટી જશે અને સમાજને પણ તોડી નાખશે. તાકાતવાળો હોય તેને આગળ કરજો. રાજકીય રીતે મજબૂત આગેવાન મળે ત્યારે જયેશ રાદડિયાની નીચે બેસવાની તૈયારી છે. આજે આવડા મોટા સમાજમાં દુ:ખ સાથે કહેવું પડે કે અનેક એવા લોકોને જરૂર પડે છે, પણ તેનો હાથ ના ખેંચી શકો તો કંઈ નહીં, પણ તેના પગ ખેંચવાનું સમાજના અમુક કહેવાતા લોકો બંધ કરી દે. સમાજનો કોઈ ભાવ નહીં પૂછે એ દિવસો પણ હવે નજીકના ભવિષ્યમાં જોઈ રહ્યા છીએ.
એ સમય આવશે અને સમય આવ્યે પણ મારી કહેવાની તૈયારી છે.’ ’અમે ગુલામી કરી નથી અને કરવા માગતા નથી’ ’રાજનીતિ, સહકારી ક્ષેત્ર કે સમાજમાં અમે હાથ અમારા ચોખ્ખા રાખ્યા છે અને પેટમાં પાપ નથી. અમે કોઈનું સારું ના કરી શકીએ તો કોઈને પાડી દેવાની અમારામાં ક્યારેય નીતિ આવી નથી. સારું ન કરી શકીએ તો અમે કહી દઈએ કે આ અમારાથી નથી થાય એમ, પણ મારાથી નથી થાય એમ તો કોઈ ન કરી જવો જોઇએ અને કોઈને ન કરવા દેવાની વૃત્તિ અમારામાં નથી, કારણ કે આ વિઠ્ઠલભાઈનું લોહી છે. કોઈને પાડી દેવાની વૃત્તિ ક્યારેય નહીં આવે, અમે ગુલામી કરી નથી અને કરવા માગતા નથી, અમે અમારી તાકાતથી આગળ ચાલીએ છીએ. મને સુરતની મારી ટીમ પર ભરોસો છે. મને મારી ટીમ પર ભરોસો છે અને કોઈ પાડી દેવાનાં કાવતરાં કરતા હશે તો તે સફળ થશે નહીં.’
રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સમાજનાં કામ ન થાય: નરેશ પટેલ
- Advertisement -
આ પહેલાં 11 જુલાઈ, 2024ના રોજ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જયેશ રાદડિયા સાથેના કોલ્ડ વોર અંગે જણાવ્યું હતું કે રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે જયેશ રાદડિયા પાટીદાર યુવા નેતા છે અને તેમને જ્યારે જરૂર પડે ત્યારે ખોડલધામ તેમની સાથે ઊભું રહ્યું છે. રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય અને રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય છે. આ મુદ્દો સવા માસ જૂનો (ઇફ્કો ચૂંટણી) છે. એક પત્રિકા સવા મહિના પછી વાઇરલ થઈ છે, જેનાથી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને લાગે છે. કોઈપણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી. સાચી વાત સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ. જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજનાં કામ ન થાય. જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ. જોકે પોતે રાજકારણમાં જોડાશે કે કેમ એ બાબતે કહ્યું હતું કે હું રાજકારણમાં નહીં જોડાઉં.



