ઉતરપ્રદેશની યુનિવર્સીટીનો કિસ્સો: શિક્ષણ જગતમાં હોબાળો
ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનાં નિર્માણ બાદ રામ ભકતોનો ઉત્સાહ અસામાન્ય બન્યો છે. વિદ્યાર્થીઓ પણ રામનામનાં આધારે શૈક્ષણીક પરીક્ષા પાર કરી લેવા માંડયાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉતર પ્રદેશમાં વીર બહાદુરસિંહ પૂર્વાંચલ સરકારી યુનિવર્સીટીમાં યોજાયેલી ડીપ્લોમા ઈન ફાર્મસીની પરીક્ષામાં ચાર વિદ્યાર્થીઓએ ઉતરવહીમાં માત્ર ‘જયશ્રી રામ’ અને અમુક ક્રિકેટરોના નામો લખ્યા હતા. છતા પરિક્ષકોએ 50 ટકા માર્કસ આપીને પાસ કરી દીધા હતા.
- Advertisement -
માહિતી અધિકાર કાયદા હેઠળ આ હકીકતનો ખુલાસો જતા શિક્ષણ જગતમાં ખળભળાટ સર્જાયો છે.તપાસ બાદ નવી પરીક્ષા લેવાતા ચારેય વિદ્યાર્થીઓનો સ્કોર ઝીરો થયો હતો. એક માર્ક પણ હાંસલ કરી શકયા ન હતા. વિદ્યાર્થીઓએ કાંઈપણ લખ્યુ ન હોવા છતાં 50 ટકા માર્કસ આપનાર બન્ને શિક્ષકોની હકાલપટ્ટી કરવાની ભલામણ કરવામાં આવી છે. યુનિવર્સીટીનાં ચાન્સેલર એવા રાજયપાલ આનંદીબેન પટેલની મંજુરી મળ્યા બાદ હકાલપટ્ટીનો આદેશ થશે.
યુનિવર્સીટીમાં જ પૂર્વ વિદ્યાર્થી દ્વારા પરીણામ વિશે આરટીઆઈ ફાઈલ કરવામાં આવી હતી અને તેને પગલે તપાસ થતા ભાંડો ફૂટયો હતો. યુનિવર્સીટીનાં વાઈસ ચાન્સેલર વંદનાસિંઘે કહ્યું કે બે શિક્ષકોની હકાલપટ્ટીની ભલામણ કરવામાં આવી છે.યુનિવર્સીટીની એકઝીકયુટીવ કમીટીની મંજુરી મળ્યા બાદ ચાન્સેલર સમક્ષ મુકાશે.