પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ ખેલાયો!
ખાસ-ખબર ન્યૂઝ પાલીતાણા
- Advertisement -
ભાવનગરના પાલીતાણામાં પિતાએ જ પુત્રીની હત્યા કરી હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચક્કચાર મચાવી દીધો છે. જેમાં પુત્રીના અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાથી પિતાએ પુત્રીનું ગળું દબાવી હત્યા કર્યાનું તેમજ પોતાના ભાઈની મદદથી હત્યા બાદ પુત્રીના મૃતદેહને કોઈને પણ જાણ કર્યા વિના ગામના મોક્ષ મંદિરે જઈ અગ્નિદાહ આપી પુરાવાઓનો નાશ કરી સાહેદને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાતા પાલીતાણા રૂરલ પોલીસે ગુનો દાખલ કરી બન્નેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
રાણપરડા ગામે રહેતી એક 19 વર્ષિય યુવતીની તેના પિતા અને કાકાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રેમ પ્રકરણમાં પિતાએ પુત્રીનું ગળું દાબીને હત્યા કર્યા બાદ સગા સંબધીને જાણ કર્યા વગર અંતિમ સંસ્કાર કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબધ હોવાથી પિતા અને કાકાએ હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આજ રોજ યુવતીના નાનાએ દીપક રાઠોડ અને ભવસાંગ રાઠોડ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
પાલીતાણા રૂરલ પોલીસ સૂત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ, ગારિયાધાર તાલુકાના સાંઢખાખરા ગામે રહેતા પોપટભાઈ મનજીભાઈ ગોહિલ(ઉં. વ. 63)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, પોતાની ભાણેજ જલ્પાબેન(ઉં.વ. 19)ને અન્ય સમાજના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાથી તેના પિતા દિપક ધીરૂભાઈ રાઠોડે ગત તા. 7 માર્ચના રોજ સવારના સમયે તેના પ્રેમસંબંધ અંગે બોલાચાલી કરી ઝાપટ મારી ઉશકેરાઈને જલ્પાબેનનું ગળું દાબી હત્યા કરી નાખી હતી.
પુત્રીની હત્યા બાદ તેના પિતા દિપક રાઠોડ અને તેના ભાઈ ભાવસંગ ઉર્ફે લાલજી ધીરૂભાઈ રાઠોડે જલ્પાબેનના મૃતદેહને ગામના મોક્ષ મંદિરે લઈ જઈ તેને અગ્નિદાહ આપી દઈ પૂરાવાઓનો નાશ કરી સાહેદ ધ્રુવાંશીબેનને પણ ધમકી આપી હતી. પોપટભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પાલીતાણા રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રબારીએ દિપક ધીરૂભાઈ રાઠોડ અને ભાવસંગ ઉર્ફે લાલજી ધીરૂભાઈ રાઠોડ સામે હત્યા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી બન્નેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.