રાજકોટવાસીઓને પાણીની પળોજણમાંથી મળશે છૂટકારો
ડેમ છલોછલ થતાં સૌની યોજનાનું પાણી બંધ કરાયું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ગઈકાલે મેઘરાજાએ મહેર વરસાવતાં તંત્ર અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટના જીવાદોરી સમાન આજી, ન્યારી અને ભાદરમાં પાણીની આવક સારી માત્રામાં થઈ છે. છેલ્લાં 24 કલાકમાં પડેલા વરસાદના પગલે આજી-1 ડેમમાં 4.5 ફૂટ, ન્યારી-1 ડેમમાં 2 ફૂટ અને ભાદરમાં પોણો ફૂટ નવા નીરની આવક થવા પામી છે.
આજી ડેમમાં ગઈકાલે જળ સપાટી 18.9 ફૂટ હતી તે આજે વધીને 23 ફૂટ થવા પામી છે એટલે કે 4 ફૂટ નવા નીરની આવક થવા પામી છે. આ પાણી તા. 6-10-2022 સુધી ચાલે તેટલું છે. જ્યારે ન્યારી-1માં ગઈકાલે 14.92 ફૂટ હતી જે આજે વધીને 17.6 ફૂટ પહોંચી છે અને ભાદર-1 ડેમમાં ગઈકાલે સપાટી 19.70 ફૂટ હતી જે આજે વધીને 20.35 ફૂટ થઈ છે. રાજકોટને પાણી પૂરૂં પાડવા માટે તાજેતરમાં સૌની યોજનાથી આજી-1 ડેમમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આજ સુધીમાં 131.99 એમ.સી.એફ.ટી. પાણી આજી-1માં ઠલવાયું છે અને 50 એમ.સી.એફ.ટી.નો જીવંત જળજથ્થો સંગ્રહિત થયો છે જેનાથી ડેમનું પાણી દિવાળી સુધી ચાલી શકે તેમ છે. આમ સૌની યોજનાનું પાણી વરસાદ થતાં આજી-1માં ઠલવવાનું બંધ કરવામાં આવ્યું છે.
આમ અંતમાં રાજકોટમાં જે વરસાદની કાગડોળે રાહ જોતાં હતા ત્યારે વરસાદ થતાં જગતનો તાત ખુશખુશાલ થવા પામ્યો છે.