4 મિલકતનો 1.50 લાખનો વેરો સ્થળ પર વસૂલ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
લાંબા સમયથી બાકી વેરો ન ભરનાર આસામીઓ સામે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરાઇ રહી છે. જયારે આવી કાર્યવાહીથી બચવા અનેક આસામીઓએ સ્થળ પર જ વેરાની રકમભરપાઇ કરી દીધી છે. શહેરમાં અનેક આસામીઓ એવા છે કે, જેમણે લાંબા સમયથી બાકી વેરાની ભરપાઇ કરી ન હતી ત્યારે આવા આસામીઓ સામે સીલ મારવાની કાર્યવાહી કરવા મનપાના મમિશનર ડો.ઓમ પ્રકાશે સુચના આપી હતી.
- Advertisement -
જેને પગલે નાયબ કમિશનર એ.એસ.ઝાપડાના માર્ગદર્શનમાં આસિસ્ટન્ટ કમિશનર ટેક્ષ કલ્પેશ ટોલીયા અને હાઉસ ટેક્ષ સુપ્રિટેન્ડેન્ટ વિરલ જોષી દ્વારા મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. દરમિયાન હેઠાણ ફળીયા અને માઢ સ્ટ્રીટમાં આવી 11 મિલકતો છે જેમનો 3,53,787નો વેરો ઘણા લાંબા સમયથી બાકી હતો. આ વેરો ભરવામાં ન આવતા આ તમામ 11 મિલકતોને મનપા દ્વારા સીલ મારી દેવાયુ છે.
જયારે મિલકત સીલની કાર્યવાહીથી બચવા 4 મિલકત ધારકોએ 1,50,071ની રકમ સ્થળ પર જ ભરી આપી છે. આમ, બાકી વેરો વસુલ કરવા મનપાની ઘર વેરા શાખા દ્વારા મિલકતોને સીલ મારવાની કાર્યવાહી કરવામા: આવતી હોય આવા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મનપાના અધિકારીએ જણાવ્યુ છે કે, હજુ પણ બાકી વેરાની વસુલાત કરવા માટે મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હજુ જારી રહેશે.



