ભુજવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં: તંત્રના આંખ આડા કાન
ખાસ-ખબર ન્યૂઝ ભુજ, તા.28
- Advertisement -
ભુજમાં ફરીથી નળના પીવાના પાણીમાં ગટરના પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે. ખાસ તો હોસ્પિટલ રોડ અને તેની આજુબાજુના વિસ્તારો ફરીથી ત્રાહિમામ થઈ રહ્યા છે. નળ ખોલતાં જ માથું ફાટી જાય તેવું કાળું અત્યંત ફીણવાળું અને અત્યંત માથું ફાટી જાય તેવી વાસવાળું પાણી આવે છે. એક બાજુ અત્યંત ગરમી અને બફારો અને ગટરવાળા પાણીમાં નાહવાનું તો ઠીક છે પણ તેની નજીક જવાનું શક્ય પણ નથી. ગયા વર્ષે પણ આવું થયું હતું અને ભુજ નગરપાલિકાએ ધીમી ગતિએ પણ રહી રહીને પણ ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ શરૂઆતના સફળતા મળી નહોતી અને દોઢ-બે મહિના સુધી આ ભયંકર તકલીફ ચાલુ રહી હતી પરંતુ પછી વાસણભાઇ આહીરે અંગત રસ લેતા અને ત્યારના નગરપતિ ઘનશ્યામભાઈએ પણ અને કાઉન્સિલરોએ ખૂબ પ્રયત્ન ચાલુ રાખતાં માંડ માંડ છુટકારો થયો હતો. આવા પ્રજાવત્સલ વાસણભાઇને પણ ભારતીય જનતા પાર્ટીના આપખુદ નેતાઓએ દૂર કરી નાખ્યા છે. એકાદ વર્ષ પછી ભુજવાસીઓ માટે ગટરના પાણીના ગોઝારા દિવસો શરૂ થઈ ગયા છે. એક તરફ કચ્છનું માંડવી શહેર કોલેરાગ્રસ્ત જાહેર થઈ ચૂક્યું છે અને ભુજ જાહેર થયા વગર જ ‘ઉકેડાગ્રસ્ત” થઈ ગયું છે.
ત્યારે તેમાં આ નવી સમસ્યા છે. ભુજનું કોઈ ધણીધોરી જો કોઈ હોય તો તાત્કાલિક આ અંગે રાત દિવસ પ્રયત્નો કરી અને જલ્દી ગટરગંગામાંથી મુક્તિ આપવી જોઈએ. લોકોને ફરીથી નાહવા ધોવા તથા જમવાના વાસણ માંજવાનો મોટો પ્રશ્ર્ન ઉભો થયો છે. કચ્છમાં ભુજીયાના સ્મૃતિ વન પાછળ કરોડો રૂપિયા વાપરનાર અને રસ્તાઓ બનાવવામાં અને બુલેટ ટ્રેન પાછળ પ્રજાના અઢળક રૂપિયા વાપરનાર સત્તાધીશો જો પ્રજાના મૂળભૂત પ્રશ્ર્નો પાછળ પહેલાં ધ્યાન નહીં આપે તો લોકોમાં તેમના પ્રત્યે વિપરીત લાગણી સર્જાશે. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ આ માટે જલ્દી ઊંચ લેવલેથી વ્યવસ્થિત સાધનો મંગાવી અને યુદ્ધના ધોરણે કાર્યવાહી કરાવે તેવી લોકોની લાગણી અને તેમનામાં શ્રદ્ધા છે. ભયાનક ગટરના પાણી આવવાને કારણે અંડર ગ્રાઉન્ડ ટાંકા પણ અત્યંત સફાઈ કરાવ્યા પછી પણ વર્ષો સુધી વાસ દૂર ન થાય તેવા થઈ જાય છે. અને વારંવાર કેટલીવાર નવા ટાંકા બનાવવા તેવુ લોકો પૂછી રહ્યા છે.