ભારત સરકારના સતત પ્રયાસોથી 2014થી અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં મુક્તિ
રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રી દ્વારા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્ર્નનો જવાબ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારત સરકારના સતત રાજદ્વારી પ્રયાસોના પરિણામે, વર્ષ 2014થી અત્યાર સુધીમાં કુલ 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનમાંથી મુક્ત કરીને સ્વદેશ પરત મોકલાયા છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા ગુજરાતના માછીમારોના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, કેલેન્ડર વર્ષ 2025 દરમિયાન અત્યાર સુધીમાં ગુજરાતના 18 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયા છે. જોકે, 01 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાતના અંદાજિત 123 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ હતા. કેલેન્ડર વર્ષ 2024માં ગુજરાતના એક પણ માછીમારને મુક્ત કરાયા નહોતા, પરંતુ તે પૂર્વે 2023માં 432 માછીમારોને મુક્ત કરાયા હતા. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારત સરકાર ભારતીય માછીમારોની સલામતી, સુરક્ષા અને કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. પાકિસ્તાની અધિકારીઓ દ્વારા ધરપકડની જાણ થતાં જ, ઇસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશન દ્વારા તાત્કાલિક કોન્સ્યુલર ઍક્સેસ મેળવવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ દરમિયાન અધિકારીઓ જેલમાં કેદ માછીમારોની મુલાકાત લઈને તેમની સુખાકારી વિશે જાણી શકે છે અને તેમને કાનૂની સહાયતા સહિતની તમામ શક્ય મદદ પૂરી પાડે છે. ભારત સરકાર આ મુદ્દો માત્ર માનવતા અને આજીવિકા રળવાના પ્રયાસના ધોરણે વિચારણા હેઠળ લેવાય તે માટે પાકિસ્તાન સમક્ષ સતત ઉઠાવે છે.
123 ગુજરાતી માછીમારો હજી પણ કેદ
ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ કેદીઓની યાદીઓનું આદાન-પ્રદાન કરે છે. 01.01.2025 ના રોજ અપાયેલી યાદી મુજબ, પાકિસ્તાને 217 ભારતીય/ ભારતીય મનાતા માછીમારો તેની કસ્ટડીમાં હોવાનું સ્વીકાર્યું હતું. માર્ચ 2025 સુધીમાં 22 માછીમારોને મુક્ત કરાયા બાદ, હાલમાં પાકિસ્તાનમાં કેદ બાકીના 194 માછીમારોમાંથી 123 માછીમારો ગુજરાતી/ગુજરાતના હોવાનું માનવામાં આવે છે. આ 123 માછીમારોમાંથી સૌથી વધુ 68 માછીમારોની 2022માં ધરપકડ કરાઈ હતી.



