ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય રજૂઆત: ઉદ્યોગને બચાવવા રાજ્ય સરકારની હૈયાધારણા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.10
- Advertisement -
હાલમાં ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પરિણામે મોરબીના વિશ્વપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગમાં ગેસની મોટી કટોકટી સર્જાઈ છે. ઇમ્પોર્ટેડ ગેસના ભાવ અને એક્સપોર્ટમાં ઉભી થયેલી મુશ્કેલીઓને કારણે ઉદ્યોગ બંધ થવાની આરે પહોંચ્યો છે. આ ગંભીર પરિસ્થિતિના ઉકેલ માટે મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને સાથે રાખી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન આગેવાનોએ યુદ્ધના કારણે ઉદ્યોગ પર પડી રહેલી અસરો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ ઉદ્યોગપતિઓની રજૂઆતને સાંભળી ખાતરી આપી હતી કે, રાજ્ય સરકાર આ વિકટ સમયમાં હરહંમેશા ઉદ્યોગોની સાથે રહેશે અને શક્ય તમામ મદદ પૂરી પાડશે. આ ઉપરાંત, એસોસિએશનના હોદ્દેદારોએ ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, અગ્ર સચિવ એમ.કે. દાસ અને ગુજરાત ગેસના એમડી અવંતિકાસિંગ સાથે પણ મુલાકાત કરી ગેસના પુરવઠા બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ અને ઉદ્યોગની ઉન્નતિ માટે આપેલા સાથ-સહકાર બદલ સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ બેઠકથી મંદી અને ગેસ કટોકટીના વાદળો વચ્ચે ઘેરાયેલા મોરબીના ઉદ્યોગપતિઓમાં આશાનું કિરણ જાગ્યું છે.



