247 ખાણો ઝડપી લીધાને શાહી પણ સુકાઈ નથી ત્યાં કોલસાનો કારોબાર ફરી શરૂ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
સુરેન્દ્રનગર જિલ્લાના ખનિજ માફીયાઓ એટલી હદે બેખોફ બન્યા છે કે હવે તો તેઓને કાયદા કે અધિકારીનો જરાય ડર લાગતો નથી. ગેરકાયદેસર કોલસાની ખાણો ચલાવતા માફીયાઓ તંત્ર અને અધિકારીઓને તો ગાજે મૂળા સમજતા હોય તેવા દ્રશ્ય અહીં નજરે પડે છે જેમાં થાનગઢ પંથકના ભડુલા અને જામવાડી વિસ્તારમાં ગત અઠવાડિયે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કોલસાની આશરે 247 જેટલી ગેરકાયદેસર ખાણો પર દરોડો કરી કુલ 3200 ટન જેટલો કોલસાનો જથ્થો જપ્ત કરાયો હતો જે બાબતની હજુ તો સાહી સુકાઈ નથી ત્યાં ફરીથી ભડુલા વિસ્તારમાં ખનિજ માફીયાઓ દ્વારા કોલસાનો કાળો કારોબાર ફરી એક વખત સ્થાપ્યો છે. ભડુલા વિસ્તારમાં ફરીથી 15 કરતા પણ વધુ કોલસાની ખાણો શરૂ કરી દેવાઈ છે. ગેરકાયદેસર કોલસાની ખાણો શરૂ કરી પહેલાની માફક અહીં જમીનની પેટાળમાંથી કોલસો કાઢી વાહનો થકી હેરફેર કરવાનું શરૂ કર્યું છે જે સમયે પ્રાંત અધિકારી દ્વારા દરોડો કરાયો ત્યારે બે ચાર દિવસ આ ગેરકાયદેસર ખાણો બંધ કરી દેવાઈ હતી પરંતુ જ્યારે દરોડાની કામગીરી પૂર્ણ કરી તમામ મુદામાલ લઈ જવામાં આવ્યો કે તરત જ ફરી પાછું કોલસાનું ખનન શરૂ થઈ ચૂક્યું છે. કહેવાય છે કે પ્રાંત અધિકારીની કામગીરી પૂર્ણ થયા બાદ સ્થાનિક તંત્રના જ કેટલાક વહીવટી કર્મચારીઓ દ્વારા ખનિજ માફિયાઓને કોલસાનો ખનન શરૂ કરવાના આદેશ આપી દીધા હતા. એટલે કે અહીં તો તંત્રના એક વિભાગના અધિકારી કોલસાનું ખનન રોકે તો બીજા વિભાગ શરૂ કરવાના આદેશ આપે તેવો ઘાટ સર્જાયો છે.