કથામૃત: એક વખત એક મુસાફર ટ્રેનમાં પોતાની સીટ પર બેઠા બેઠા એક ધર્મગ્રંથ વાંચી રહ્યો હતો. આ મુસાફરની બરાબર સામે બેઠેલો માણસ ઘણાં સમયથી એની સામે બેઠેલા માણસને ધ્યાનપૂર્વક ધર્મગ્રંથ વાંચતા જોઇ રહ્યો હતો. એનાથી ન રહેવાયું એટલે એણે સામે બેઠેલી વ્યક્તિને કહ્યું, ભાઈ, હું જોઉં છું કે તમે ક્યારના આ પુસ્તક વાંચી રહ્યા છો. ધર્મગ્રંથ વાંચી રહેલા માણસે વિનમ્રતાથી માથું હલાવીને ‘હા’માં જવાબ આપ્યો. પ્રશ્ન પૂછનારે બીજો પ્રશ્ન પૂછ્યો, આ ધર્મગ્રંથ કેટલા વર્ષો પહેલા લખાયેલો હશે? સામેવાળાએ ટુંકમાં ઉત્તર આપ્યો, હજારો વર્ષ પહેલા. અને ફરીથી વાંચવાનું ચાલુ કર્યું. પ્રશ્ન પૂછનારે કહ્યું, હજારો વર્ષ પહેલા લખાયેલા આ થોથા શું કામમાં આવવાના છે? તમે જાણો છો આજે વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું છે. અને તમારા જેવા માણસો હજુ આવા જૂના થોથા પકડીને વાંચ્યા રાખે છે. દિવસે અને દિવસે નવી નવી શોધો થઈ રહી છે. તમારી કલ્પનામાં ન આવે એવા અદ્ભુત કાર્યો વિજ્ઞાન દ્વારા થઈ રહ્યા છે. આવા જૂના ધાર્મિક ચોપડાઓ વાંચવા કરતા થોડું વિજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરો અને એને લગતા પુસ્તકો વાંચો. સામેની સીટ પર બેઠેલી વ્યક્તિ ધ્યાનપૂર્વક આ ભાઈની વાત સાંભળી રહી હતી. પોતાની વાતને ધ્યાનથી સાંભળતા જોયા એટલે વાત કરવાનો એનો ઉત્સાહ વધ્યો. હવે તો ડબ્બામાં બેઠેલ અન્ય વ્યક્તિઓ પણ આ મહાનુભાવની વાત સાંભળવા ઉત્સુક હતા. એણે પોતાની વાત આગળ વધારતા કહ્યું, હું વિજ્ઞાનનો પ્રોફેસર છું. કોલેજના વિદ્યાર્થીઓને ઘણાં વર્ષથી વિજ્ઞાન ભણાવું છું. વિજ્ઞાન મારા લોહીના બુંદે બુંદમાં વણાઇ ગયું છે. તમારા જેવા લોકોને વિજ્ઞાનને બદલે આવા બિનજરૂરી ધાર્મિક પુસ્તકોમાં રસ લેતા જોઉં ત્યારે મારું લોહી બળી જાય છે. વાત વાતમાં છેલ્લું સ્ટેશન આવી ગયું. ધાર્મિક પુસ્તક વાંચી રહેલા ભાઈએ પુસ્તકને બંધ કરીને પોતાની બેગમાં મૂક્યું. વિજ્ઞાનના પ્રોફેસરે નીચે ઉત્તરતી વખતે ધાર્મિક ગ્રંથ વાંચી રહેલી વ્યક્તિને એનું નામ પૂછ્યું. એટલે મધુર સ્મિત આપીને એણે કહ્યું, મહાશય, મારું નામ થોમસ આલ્વા એડિસન છે. અત્યાર સુધી વિજ્ઞાનની વાતો કરનારાનું મોઢું સિવાઈ ગયું કારણ કે દુનિયાને સૌથી વધુ વૈજ્ઞાનિક શોધોની ભેટ આપનાર મહાન વૈજ્ઞાનિકને એ વિજ્ઞાન સમજાવવાનો પ્રયાસ કરતો હતો ! થોમસ આલ્વા એડિસને એ વિજ્ઞાનના પ્રોફેસરને કહ્યું, ભાઈ, વૈજ્ઞાનિક શોધો વખતે મળતી નિષ્ફળતા સામે ટકી રહેવાનું બળ મને આ ધાર્મિક ગ્રંથમાંથી જ મળે છે. એ ક્યારે લખાયેલા છે, એ મહત્ત્વનું નથી; પણ કેવું પ્રેરક કામ કરે છે, એ મહત્ત્વનું છે.
અર્થામૃત: જો સૂરદાસ દર્પણમાં પોતાનો ચહેરો ન જોઈ શકે તો તેમાં દર્પણનો દોષ ? જેની પાસે શાસ્ત્રોને સમજવાની બુદ્ધિ નથી તેનું કલ્યાણ ન થાય તો તેમાં શાસ્ત્રોનો શું વાંક ?
- Advertisement -
બોધામૃત: એક તો ક્યારેય કોઈને સામાન્ય ન સમજવા, અને બીજું કે થોડીઘણી સમજ આવી જાય એટલે ધાર્મિક ગ્રંથોની ટીકા કરવાનું કામ ન કરવું. નહીંતર વિદ્વતા દેખાડવાની આતુરતા આપણી મૂર્ખામી સાબિત કરી દેશે.
અનુભવામૃત: