ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને CM પદ છોડ્યાને એક વર્ષ બાદ મુખ્યમંત્રી પદ છોડવા મુદ્દે વિજય રૂપાણીએ કર્યો મોટો ખુલાસો.
વિજય રૂપાણીએ પોતાના CM પદ પરથી રાજીનામું આપવા અંગે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, ‘રાતે હાઈકમાન્ડે રાજીનામું આપવા મને આદેશ આપ્યો હતો. આથી મે સવારે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. જોકે, પાર્ટીએ મને રાજીનામું આપવાનું કારણ નથી કહ્યું. મે પણ પાર્ટી પાસે રાજીનામું લેવાનું કારણ નથી પૂછ્યું. મે હંમેશા પાર્ટી માટે કામ કર્યું છે. પાર્ટીએ કહ્યું ત્યારે CM બન્યો અને પાર્ટીએ કહ્યું ત્યારે પદ છોડ્યું. મે હસતા મોઢે રાજીનામું આપ્યું હતું.’ ઉલ્લેખનીય છે કે, તારીખ 11 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના CM પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું.
- Advertisement -
જો મે કારણ પૂછ્યું હોત તો હાઇકમાન્ડે મને કીધું હોત: વિજય રૂપાણી
તેઓએ વધુમાં કહ્યું કે, ‘જો મે કારણ પૂછ્યું હોત તો મને વિશ્વાસ છે કે, હાઇકમાન્ડે મને કારણ કીધું હોત. પરંતુ હું હંમેશા પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર રહ્યો છું. પાર્ટીએ મને મુખ્યમંત્રી બનવાનો આદેશ આપ્યો હતો ત્યારે હું CM બની ગયો. જ્યારે પાર્ટીએ મને કહ્યું કે, તેઓ મારું પદ પરત લઇ રહ્યાં છે તો મે તેઓને હસતા મોઢે આ પ્રકારે કરવા જણાવ્યું.’
‘હસતા મોઢે મે રાજીનામું સોંપ્યું’: વિજય રૂપાણી
- Advertisement -
તેઓએ વધુમાં જણાવ્યું કે, ‘પોતાની પાર્ટી તરફથી આદેશ પ્રાપ્ત કર્યાના થોડા જ કલાકો બાદ તેઓએ કોઇ પણ પ્રકારના વિરોધ કે ગુસ્સા વગર 21 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. એક સારા કાર્યકર્તાના રૂપમાં હું ક્યારેય પણ પાર્ટી લાઇનની વિરૂદ્ધ નથી ગયો. મે મારું રાજીનામું હસતા ચહેરા સાથે સોંપ્યું હતું. નહીં કે ઉદાસ ચહેરા સાથે.’
એક વર્ષ બાદ ભાજપે રૂપાણીને બનાવ્યા પંજાબના પ્રભારી
રૂપાણીને મુખ્યમંત્રી પદેથી હટાવ્યાના બરાબર એક વર્ષ બાદ ભાજપે તેઓને પંજાબના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા. તેઓ આ નવા કાર્યને રાષ્ટ્રીય રાજકારણમાં તેમની પ્રગતિ તરીકે જોઈ રહ્યાં છે. તેઓએ કહ્યું કે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે પાર્ટીએ મને પહેલા શહેર સ્તરે, પછી પ્રદેશ સ્તરે કામ સોંપ્યું અને મે તે મુજબ કામ પણ કર્યું. મને રાજ્ય કક્ષાએ મહાસચિવ તરીકે ચાર વર્ષ સુધી જવાબદારી સોંપવામાં આવી અને અંતે મુખ્યમંત્રી તરીકે સેવા કરવાનો મોકો મળ્યો. હવે મને રાષ્ટ્રીય સ્તરે નવી જવાબદારી સોંપવામાં આવી છે.’
રૂપાણીએ વધુમાં એમ પણ કહ્યું કે, તેઓ આ વર્ષના અંતમાં ગુજરાતમાં યોજાવા જઇ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ઊંડો રસ લેશે અને એ સુનિશ્ચિત કરશે કે ભાજપ બે તૃતીયાંશ બહુમતી સાથે જીતે. તેમનો પ્રયાસ ભાજપને આગામી પાંચ વર્ષમાં પંજાબમાં મજબૂત વિપક્ષ બનાવવાનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને લોકપ્રિયતાને વધારી 2027માં પંજાબમાં સત્તા મેળવવાનો રહેશે.