પૂર્વ કુલપતિ ડૉ.પાઠકની મિલીભગતથી પ્રોબેશન ક્લિયર કરવામાં આવી હોવાના આક્ષેપ
કુલપતિ ડૉ. વી.પી.ચોવટિયાની ઉચ્ચકક્ષાએ રજૂઆત છતાં જાડી ચામડીનાં તંત્રને અસર નહીં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ.વી.પી.ચોવટિયાની નિમણુંકને લઇ ભારે વિવાદ થયો છે. ડૉ.વી.પી.ચોવટિયા સામે અનેક ઉચ્ચકક્ષાએ રજુઆતો થઇ છે. પરંતુ જાડી ચામડીનાં તંત્રને કોઇ જ અસર થતી નથી. તેમજ પૂર્વ કુલપતિ ડૉ.પાઠકની મિલીભગતથી પ્રોબેસન ક્લીયર કરવામાં આવ્યાં હોવાનાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યાં છે. બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારને લઇ તપાસ થઇ શકતી હોય તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કેમ ન થયા ? તેવા સવાલ પર ઉભા થયા છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી વૈશ્ર્વીક ફલક ધરાવે છે. અહીં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્ર્વનાં અન્ય દેશોમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. તેમજ યુનિવર્સિટીમાં કૃષિને લગતા અલગઅલગ સંશોધન પણ કરવામાં આવી રહ્યાં છે. દેશમાં તે સંશોધનની નોંધ લેવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં વહીવટને લઇ આંગળ ચિંધાઇ રહી છે. તેમજ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિનાં પદને લઇ વિવાદ થયો છે. પહેલા તો બે વર્ષ જેટલો સમય કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ચાર્જમાં હતાં. જેના કારણે અનેક નિતીવિષક કામો અટકી ગયા હતાં. તેમજ હાલ પણ કૃષિ યુનિવર્સિટીમાં અનેક પદ પર ઇન્ચાર્જ અધિકારી કામ કરી રહ્યાં છે. તાજેતરમાં જ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કાયમી કુલપતિ તરીકે ડૉ.વી.પી.ચોવટિયાની નિમણુંક કરવામાં આવી છે. તેમની નિમણુંકને લઇ ફરી યુનિવર્સિટીમાં ભડકો થયો છે અને ઉચ્ચકક્ષા સુધી રજુઆતો થઇ હોવા છતા તેમને કૃષિ યુનિવર્સિટીનો તાજ પહેરાવવામાં આવ્યો છે. તેમની સામે તેમનાં પુત્રને નિયમ વિરૂધ્ધ નોકરી મળ્યાનાં આરોપ લાગ્યાં છે. મુખ્યમંત્રી થઇ લઇ એસીબી સુધી રજુઆત કરવામાં આવી છે. પરંતુ જાડી ચામડીનાં તંત્રને કોઇ અસર થઇ રહી નથી. બીજી તરફ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઇ અનેક રજુઆતો થઇ હતી.જેના પગલે સૌરાષ્ટ્ર યુનિ.માં તપાસ કરવામાં આવી રહી છે.પરંતુ સરકાર દ્વારા જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં કોઇ જ પ્રકારની કાર્યવાહી ન થતા અનેક સવાલ ઉભા થયા છે. તેમજ જૂનાગઢનાં વિરલ જોટવાએ એસીબીને કરેલી રજુઆત જણાવ્યું હતું કે,ડૉ.ચોવટિયાની જાન્યુઆરી 2013માં સીધી ભરતીથી કૃષિ મહા વિદ્યાલય અમરેલીમાં આચાર્ય તરીકે નિમણુંક આપવામાં આવેલી. સીધી ભરતીથી નિમણુંક પામેલ હોઇ તો નિયમસર પ્રોબેસન દરમિયાન તેમને સરકારનાં નિયમો મુજબ સીસીસી પ્લસ પરીક્ષા પાસ કરવી ફરજીયાત હોય છે. જેતે સમયે કુલપતિ ડૉ.પાઠકની મિલીભગતથી તેમનો પ્રોબેસન ક્લીયર કરવામા આવેલ,જે પણ નિયમ વિરૂધ્ધ છે. ડૉ.ચોવટિયાનો આચાર્ય તરીકેનો અનુભવ પણ કુલપતિ થવા માટે ધ્યાને લઇ શકાય નહી. તેમજ વર્ષ 2018માં ડૉ.ચોવટિયાની સીધી ભરતીથી સંશોધન નિયામક તરીકે નિમણુંક કરવામાં આવી હતી. તે પણ નિયમ વિરૂધ્ધ થઇ હતી. બાદ ડૉ. પાઠકનો કુલપતિ તરીકેનો સમય પૂરો થતો હોય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જે તે સમયે અન્ય ડીન સીનીયર હોવા છતા ડૉ.ચોવટિયા કે જે સંશોધન નિયામક તરીકે પ્રોબેસનમાં હોવા છતા કુલપતિ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યા હતો તે પણ નિયમ વિરૂધ્ધ હતો.તેમજ તે દરમિયાન 2020માં ડૉ. ચોવટિયાએ પોતાનાં સંશોધન નિયામકનાં સ્વમુલ્યાંકન પોતાની રીતે પોતાની સહીથી રજુ કરી સંશોધન નિયામકની સેવા નિયમીત કરી હતી. જે નિયમ વિરૂધ્ધ અને ગેરકાનુની હતી. ડૉ.ચોવટિયાનાં સંશોધન નિયામક અને ઇન્ચાર્જ કુલપતિનાં સમયગાળામાં બનેલ બાયોડટા કુલપતિ થવા માટે યોગ્ય નથી. ડૉ.ચોવટિયા કુલપતિ થવા માટેની જરૂરી લાયકાત કોઇપણ રીતે પૂર્ણ થતી નથી. છતા પણ તેમની કુલપિત તરીકે નિમણુંક કરવામાં આવી છે તે અયોગ્ય અને સરકારનાં નિયમ વિરૂધ્ધ છે.
એક રાજકીય જુથ તેની તરફેણમાં કામ કરતું હોવાની ચર્ચા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ડૉ.ચોવટિયાની નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંક પાછળ જૂનાગઢનું ભાજપનું એક જુથ તેની તરફેણ કરતું હોવાની ચર્ચા પણ જાગી છે. ડૉ.ચોવટિયાની સામે જૂનાગઢમાંથી પ્રદેશ ભાજપ સુધી રજુઆત થઇ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.